જામનગર શહેરની ખાનગી શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીના નિયમોના થઈ રહેલા ઉલ્લંઘન સામે કડક પગલાં લેવા માંગ
જામનગરમાં પ્રાઈવેટ શાળાઓમાં FRCના નિયમોનું કડક અમલીકરણ કરવા ABVP એ DEOને આપ્યું આવેદનપત્ર
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર શાખાના હોદ્દેદારો અને સભ્યો દ્વારા આજે જામનગરના જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં શહેરની ખાનગી શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીના નિયમોના થઈ રહેલા ઉલ્લંઘન સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
એબીવીપીના કાર્યકરોએ રજૂઆત કરતાં જણાવ્યું છે કે, ફી રેગ્યુલેટરી કમિટીના માધ્યમથી જે ફીનું માળખું નક્કી કરવામાં આવ્યું છે, તે માત્ર કાગળ પર જ સીમિત રહી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. જામનગરની મોટાભાગની પ્રાઈવેટ શાળાઓમાં આ નિયમોનું ચોક્કસ અમલીકરણ થતું નથી. ઘણી શાળાઓ એફઆરસીના નિયમોમાં રહેલી છટકબારીઓ (લૂપહોલ્સ) નો દુરુપયોગ કરીને વાલીઓ પાસેથી વધારે ફી વસૂલી રહી છે. શાળાઓ પોતાના મનસ્વી નિયમો ચલાવી એફઆરસીનો અનાદર કરી રહી છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આર્થિક બોજ હેઠળ દબાવું પડી રહ્યું છે અને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વિદ્યાર્થી સંગઠને ડીઈઓ પ્રશાસન સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે જામનગરની તમામ પ્રાઈવેટ સ્કૂલોમાં એફઆરસીના નિયમોનું ચુસ્તપણે અને ચોક્કસપણે પાલન કરાવવામાં આવે. આ સાથે જ એબીવીપી એ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી ૭ દિવસની અંદર આ નિયમોનું યોગ્ય અમલીકરણ નહીં કરવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રાઈવેટ શાળાઓ સામે અને શિક્ષણ વિભાગ સામે ઉગ્ર આંદોલન છેડશે, જેની સંપૂર્ણ જવાબદારી ડીઈઓ પ્રશાસનની રહેશે. આ આવેદનપત્ર આપતી વખતે એબીવીપી ના નગર મંત્રી ઉત્સવ પંડ્યા સહિતના સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.