જામનગર: જામજોધપુરમાં પિતા - પુત્રને ધમકી આપ્યાની ચાર વ્યાજખોર સામે રાવ
જામજોધપુરમાં એક યુવાન અને તેના પિતાને વ્યાજખોરો દ્વારા ધમકી દેવામાં આવતા મામલો પોલીસમાં પહોચ્યો છે. આરોપીઓ દ્વારા સિકયુરીટી પેટે કોરા ચેક લઇ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતો હોવાનું ફરીયાદમાં જણાવ્યુ છે. ચાર સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
જામજોધપુરના તિરૂપતી સોસાયટીમાં નવી પોસ્ટ ઓફીસ પાછળ રહેતા ખાનગી નોકરી કરતા રવિકુમાર વિજયભાઇ ગઢેચા (ઉ.વ.૩૪) નામના યુવાને સત્યજીતસિંહ પાસેથી ૪૫ હજાર લીધેલ જેની સામે ૩.૨૬.૫૦૦ ચુકવી આપેલ તથા સંદીપ પાસેથી ૧૦ હજાર જેની સામે ૪૨ હજાર ચુકવી આપેલ હોય, કાનાભાઇ પાસેથી ૮૦ હજાર લીધા હતા જેની સામે ૧ લાખ ચુકવી આપેલ, દિપભાઇ પાસેથી ૫.૨૦ લાખ લીધેલ હોય જેની સામે ૨.૨૪ લાખ ચુકવી આપેલ હોય આમ ચારેય આરોપીઓને મુદલ રકમ તથા વ્યાજ સહિત ૬.૯૨ લાખ નાણા ચુકવ્યા હતા.
આટલી રકમ ચુકવવા છતા મુદલ રકમ તથા ઉંચા વ્યાજની માંગણી કરી ચારેય આરોપીઓએ ફરીયાદી યુવાનને ઉચા વ્યાજે વગર લાયસન્સે નાણા આપી તેની પર મોટુ વ્યાજ ઉઘરાવી વધુ રકમની ફરીયાદી પાસે તેમની સહીવાળા સિકયુરીટી પેટે કોરા ચેકો લઇ પુરા નાણા પરત આપવા છતા આરોપીઓએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી.
ફરીયાદીને તથા તેના પિતાને રૂબરૂ તેમજ ફોન પર અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી માનસીક ત્રાસ આપતા હતા, આખરે મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે.
રવિકુમાર દ્વારા આ અંગે ગઇકાલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ધ્રાફા ગામના સત્યજીતસિંહ જાડેજા, ખરાવાડના સંદીપ કરણા કરોતરા, જામજોધપુર સ્વામીનારાયણ મંદિર પાસે રહેતા કાના કરશન મોવાણીયા અને સોનવડીયા ગામના દિપ પરાગ બાવરીયા નામના ચાર શખ્સો વિરુઘ્ધ બીએનએસ કલમ ૩૫૨, ૩૫૧(૩) તથા ગુજરાત નાણા ધીરધારની કલમ ૫,૩૯, ૪૦, ૪૨(એ) મુજબ ફરીયાદ નોંધાવી છે. જેની તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી છે.