જામનગર: વીજ કંપનીનો દાવો રદ કરતી સીવીલ કોર્ટ
આ કામના પ્રતિવાદી પ્રતાપસિંહ લક્ષમણસિંહ શેખાવત કે જેઓ ગુજ. જગનારાયણ રામાવતાર નામના કનેક્શનના વપરાશ કરતા હતા અને તેઓ તેમના વપરાશ મુજબના તમામ બીલ ભરપાઈ કરી આપતા હતા. અગાઉ સપ્ટેમ્બર - ૨૦૨૩ થી ઓક્ટોબર - ૨૦૨૪ સુધીનું રૂા. ૧,૬૧,૮૫૨.૬૦ પૈસાનું વીજ બીલ આપવામાં આવેલ. એ અરસામાં પ્રતિવાદીની જગ્યા બંધ હોવાથી મીટર રીડર દ્વારા લોકના બીલ બનાવી આપી દેવામાં આવતા હતા. ત્યારબાદ વાદી કંપનીના અધિકારીઓ દ્વારા આ મીટર તાત્કાલિક બદલી તેનું એમ. આર. આઈ. કરાવ્યું કારણ કે છેલ્લા બીલમાં મીટર રીડર દ્વારા મીટર ફાસ્ટ થઇ ગયેલ હોય તેવું લખેલું હતું અને મીટર બદલાવવું. જે તે વખતે પ્રતિવાદીની જગ્યામાં જોડાયેલ લોડ માત્ર ૬૧૮ કિલોવોટ હતો. મીટર બદલતી વખતે પ્રતિવાદીને લેબ રોજકામ અંગે કોઈ તારીખ આપવામાં આવેલ નહી અને ત્યારબાદ વીજ કંપની દ્વારા પરફોંમાં - ૧૫ પાછળથી પોતાની કોપીમાં લેબ રોજકામની તારીખ લખી કોર્ટમાં રજુ કરી દીધેલ. લેબ રોજકામ પ્રતિવાદીની ગેરહાજરીમાં એક તરફી કરવામાં આવેલ.
ઉપરોક્ત હકીકત પ્રતિવાદીએ મીટર બદલતી વખતે તેમને આપવામાં આવેલ કાર્બન કોપી અસલ કોર્ટમાં રજુ કરી તેમાં લેબ રોજકામની તારીખ નથી તે દર્શાવેલ તથા વાદી કંપનીના અધિકારીએ પણ આ હકીકત સ્વીકારેલ. ઉપરાંત મીટર ફોલ્ટી હતું તે હકીકત પણ પ્રતિવાદી તરફે સાબીત કરી આપવામાં આવેલ. જેમાં ૬૧૮ વોટનો વપરાશ રાત-દિવસ, ૨૪ કલાક સતત અને એક પણ સ્વીચ બંધ કર્યા વગર સતત ૧૩ મહિના વપરાશ કરવામાં આવે તો પ્રતિવાદીના મીટરમાં ૧૧,૫૮૯.૯૬ યુનીટનો વપરાશ થાય જયારે વાદીએ પ્રતિવાદીને આ સમયગાળા માટે ૧૬,૮૩૬ યુનિટનું બીલ આપવામાં આવેલ.
જેથી સ્પષ્ટ થયેલ કે મીટર ફાસ્ટ છે. જે બાદ વાદી દ્વારા રકમ વસુલવાના દાવામાં વાદી પોતાનો દાવો સાબીત કરી શકેલ નહી અને વિજધારા - ૨૦૦૩ ની જોગવાઈઓ તથા જી.ઈ.આર.સી. કોડની જોગવાઈઓનું પાલન કરેલ નહી. તેવું પ્રતિવાદીએ સાબીત કરી આપેલ. જે બાદ સિવિલ કોર્ટ દ્વારા વાદીનો દાવો રદ કરવામાં આવેલ. દલીલ વખતે પ્રતિવાદી તરફે સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટની ઓથોરીટી રજુ કરવામાં આવેલ જે પણ કોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવેલ. પ્રતિવાદી તરફે વકીલ વસંત ડી. ગોરી, દીપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણીયા રોકાયેલા હતા.