નિહાળો રામલલાની મનમોહક તસવીર, જાણો, પ્રાણપ્રતિષ્ઠા નિમિતે થતા ધાર્મિક આયોજનો અને ગર્ભગૃહ સુધીની યાત્રા

  • January 19, 2024 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અરણી મંથન સાથે ચોથા દિવસના અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે. દરમિયાન, ગર્ભગૃહમાંથી રામલલાની નવી તસવીર સામે આવી છે. તેનું સંપૂર્ણ સ્વરૂપ આ તસવીરમાં જોઈ શકાય છે. રામલલાના એક હાથમાં ધનુષ અને બીજા હાથમાં તીર છે. શુક્રવારે રામલલાના અભિષેકની વિધિના ચોથા દિવસે સવારે 9 વાગ્યે અરણી મંથન દ્વારા અગ્નિ પ્રકટ કરાઇ હતી. ચોથા દિવસની ધાર્મિક વિધિઓ અગ્નિના અનુષ્ઠાન સાથે શરૂ થઈ છે. શુક્રવારથી યજ્ઞમંડપમાં હવનની પ્રક્રિયા પણ શરૂ થશે. મંત્રોચ્ચાર અને યજ્ઞોપવિત કરવામાં આવશે. આ પહેલા ગણપતિ વગેરે સ્થાપિત દેવતાઓની પૂજા કરવામાં આવી હતી. પૂજાના ક્રમમાં, દ્વારપાલો વેદ પારાયણ, દેવ પ્રબોધન, ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ, કુંડપૂજન અને તમામ પંચભુસંસ્કાર કરવામાં આવશે.


પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે દરરોજ ધાર્મિક વિધિ થઇ રહી છે અને ભગવાન રામની તસવીર પણ સામે આવી રહી છે. ત્યારે ગુરુવારે મોડી રાત્રે સામે આવેલી તસવીરમાં ભગવાનનો ચહેરો ઢંકાયેલો હતો. જ્યારે આજે એટલે કે શુક્રવારે સામે આવેલી મૂર્તિની નવી તસવીરમાં માત્ર ભગવાનની આંખો જ બંધ જોવા મળે છે. આ પછી ત્રીજો સંપૂર્ણ ફોટો સામે આવ્યો છે. આ દરમિયાન રામલલાની સ્થાવર મૂર્તિ, ગર્ભગૃહ અને યજ્ઞમંડપનો પવિત્ર નદીઓના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. પૂજા દરમિયાન જ રામમંદિરના ગર્ભગૃહમાં રામલલાના જલાધિવાસ અને ગંધાધિવાસ થયા હતા.


બુધવારના દિવસે રામનગરી ભક્તિના મહાસાગરમાં ઉછળતી રહી. જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠાની શુભ તિથિ નજીક આવી રહી છે તેમ તેમ રામ ભક્તોમાં આનંદ વધી રહ્યો છે. પ્રાણપ્રતિષ્ઠા માટે વિધિઓ પણ ચાલી રહી છે. બુધવારે રામલલાની સ્થાવર મૂર્તિ મંદિર પરિસરમાં પહોંચી હતી. આ એ જ રામલલા છે જે 23 જાન્યુઆરીથી નવા મંદિરમાં વિશ્વભરના ભક્તોને દર્શન આપશે. અયોધ્યાના લોકો રામલલાની સ્થાવર મૂર્તિની ઝલક મેળવવા માટે દિવસભર ઉત્સુક રહ્યા હતા. હવે ગર્ભગૃહમાંથી મૂર્તિના ચિત્રો બહાર આવતાં ભક્તોમાં દર્શન કરવાની ઈચ્છા વધી રહી છે.


ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિમાં અનેક ગુણો રહેલા છે. શ્યામ શિલાની ઉંમર હજારો વર્ષ છે, તે પાણી પ્રતિરોધક છે. ચંદન, રોલી વગેરે લગાવવાથી મૂર્તિની ચમક પર અસર નહીં થાય. રામલલાની મૂર્તિની પગના અંગૂઠાથી કપાળ સુધીની કુલ ઊંચાઈ 51 ઈંચ છે. પસંદ કરેલી મૂર્તિનું વજન લગભગ 150 થી 200 કિલો છે. મૂર્તિની ટોચ પર મુગટ અને આભામંડળ હશે. શ્રીરામના હાથ ઘૂંટણ સુધી લાંબા છે. માથું સુંદર છે, આંખો મોટી છે અને કપાળ ભવ્ય છે. મૂર્તિ કમળના ફૂલ પર સ્થાયી મુદ્રામાં હશે, તેના હાથમાં ધનુષ અને તીર હશે. પાંચ વર્ષના બાળકની બાળસહજ કોમળતા મૂર્તિમાં પ્રતિબિંબિત થશે.


રામલલાની ચાંદીની મૂર્તિને રામમંદિર પરિસરનું ભ્રમણ કરાવવામાં આવ્યું છે. આ પહેલા રામજન્મભૂમિ સંકુલમાં રામલલાની સ્થાવર મૂર્તિનું ભ્રમણ કરાવવાની યોજના હતા. પરંતુ મૂર્તિના ભારે વજન અને સુરક્ષાના કારણોસર આ આયોજન રદ કરવામાં આવ્યું હતું. પરિભ્રમણની વિધિ રામલલાની નાની ચાંદીની પ્રતિમા સાથે પૂર્ણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application