બજેટ 2024-25 : રાજકોટના વિંછીયા અને ધરોઈ જળાશયને 160 કરોડના ખર્ચે જોડવાનું આયોજન

  • February 02, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જળસંપત્તિ વિભાગ માટે ભુપેન્દ્ર સરકારે કરી ૧૧,૫૩૫ કરોડની ફાળવણી ; ચેકડેમ, તળાવો ઉંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે સરકાર દ્વારા ૨૩૬ કરોડની જોગવાઇ


આજે નાણામંત્રી કનુ દેસાઈએ સતત ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને કૃષિની સુવિધાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે જળસંપત્તિ વિભાગ માટે ભુપેન્દ્ર સરકારે કરી ૧૧,૫૩૫ કરોડની ફાળવણી કરી છે. બજેટ સેશનમાં નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, મોટા ડેમથી તળાવો અને ખેત તલાવડી સુધી વિવિધ યોજનાઓ થકી જળ સંગ્રહની કામગીરી પૂરી કરી ગુજરાતે જળસંચયના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરેલ છે. ઉપલબ્ધ જળસંપત્તિનો કાર્યક્ષમ ઉપયોગ કરવા સૂક્ષ્મ સિંચાઇનો વ્યાપ વધારવામાં આવશે. 


બજેટમાં કચ્છમાં નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે ત્રણ પાઈપલાઈન યોજનાના કામો ૪૧૧૮ કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે તથા બીજા તબક્કામાં અંદાજિત ૨૨૫૫ કરોડની બે પાઈપલાઈનના કામો આયોજનમાં લીધેલ છે. આ કામો માટે ૨૭૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે. નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયો જોડવા માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે તેમાં બાકી રહેતી કામગીરી માટે ૪૩૨ કરોડની ફાળવણી કરાઈ છે. પ્રગતિ હેઠળની અંદાજિત ૭૧૧ કરોડના ખર્ચની તાપી-કરજણ લીંક પાઇપલાઇન માટે ૨૨૦ કરોડની જોગવાઇ કરાઇ છે. ખેરાલુ અને સતલાસણા તાલુકાના તળાવોને ભરવા માટેની પાઇપલાઇનની કામગીરી માટે ૧૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે. સાબરમતી નદી ઉપર સીરીઝ ઓફ બેરેજની કામગીરી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સંત સરોવર અને વલાસણા બેરેજની કામગીરી પૂરી થયેલ છે. હીરપુરા, આંબોડ, માધવગઢ અને ફતેપુરા ખાતે બેરેજ બનાવવાની કામગીરી માટે ૧૬૯ કરોડની જોગવાઈ. રાજ્યભરના ચેકડેમ, તળાવો ઉંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે ૨૩૬ કરોડની ફાળવણી કરાઈ છે.

સૌની યોજના હેઠળ બાકી રહેતા રાજકોટ જિલ્લાના વિંછીયા અને ધરઇ જળાશયને અંદાજિત ૧૬૦ કરોડના ખર્ચે જોડવાનું આયોજન કરવમાં આવ્યું છે. પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન છે. જેના માટે ૧૫૦ કરોડની જોગવાઇ કરાઈ છે તો પ્રગતિ હેઠળની અંદાજિત ૧૦૨૦ કરોડના ખર્ચની ઉકાઇ જળાશય આધારીત સોનગઢ–ઉચ્છલ–નિઝર ઉદ્દવહન પાઇપલાઇન માટે ૧૫૦ કરોડની ફાળવણી થશે. દક્ષિણ ગુજરાતના પૂર્ણા, અંબિકા, કાવેરી, પાર, નાર, તાન, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો / બેરેજો / વિયર બનાવવા માટે ૧૩૦ કરોડની જોગવાઈ છે, સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરના આધુનિકીકરણ માટે ૧૨૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે.


કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર, બાલાસિનોર વગેરે તાલુકાઓના સિંચાઇ વંચિત વિસ્તારમાં મહીનદી આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજનાઓની કામગીરી માટે ૧૨૦ કરોડની જોગવાઈ કરાઈ છે. અંદાજિત ૧૩૨ કરોડના ખર્ચની પાનમ જળાશય આધારીત વાંકડી ગામથી સંતરામપુર તાલુકાના તળાવો માટે ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે ૮૦ કરોડની ફાળવણી કરાઈ છે. અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે ૬૦ કરોડની જોગવાઇ અને મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમ માટે ૫૫ કરોડના ખર્ચે વિકાસ કામો થશે. કચ્છમાં મોટા ચેકડેમો, તળાવો વગેરેમાં જળસંગ્રહના કામો માટે ૪૫ કરોડની જોગવાઈ તો મહિસાગર જિલ્લાના કડાણા જળાશય આધારીત સરસડી ઉદ્દવહન સિંચાઇ યોજના માટે ૩૫ કરોડની ફાળવણી કરાઈ છે. મેશ્વો અને હાથમતી જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે ૭૦ કરોડની જોગવાઇ કરવમાં આવી છે. ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે નર્મદા નદી ઉપર બેરેજ બનાવવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. જેના માટે ૧૧૬૭ કરોડ ખર્ચવામાં આવશે.


સરદાર સરોવર યોજનાથી રાજ્યભરમાં આવ્યું હકારાત્મક પરિવર્તન : નાણામંત્રી 
​​​​​​​

ગુજરાતની સમૃદ્ધિમાં નર્મદા યોજનાનું યોગદાન અમૂલ્ય છે. આ યોજના થકી સિંચાઇ, જળવિધુત ઉત્પાદન, પીવાના પાણી અને ઔધોગિક વપરાશના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી રાજયમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સબંધી સૂચકાંકોમાં હકારાત્મક પરિવર્તન આવેલ છે. આ યોજના માટે ૪૭૯૮ કરોડની જોગવાઈ. કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે ૭૬૫ કરોડની જોગવાઈ છે. નર્મદા યોજનાના કમાન્ડ એરિયામાં નહેરના વિસ્તરણ-વિકાસના કામો માટે ૫૯૦ કરોડનો સરકાર ખર્ચ કરશે અને અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ કરવા માટે ૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે ૧૮૬ કરોડની જોગવાઈ છે તો ગરૂડેશ્વર વિયર તથા વિવિધ શાખા નહેરો પરના વીજ મથકો તેમજ એકતાનગર ખાતેના જળ વિદ્યુત મથકોના જાળવણી અને મરામત માટે ૧૩૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application