ભાણવડ નજીક કારની ઠોકરે બાઈકચાલક વૃદ્ધનું મૃત્યુ
રૂપામોરા ગામે પુત્રીના ઘરેથી પરત ફરતી વેળાએ કાળનો ભેટો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે રહેતા પરબતભાઈ નારણભાઈ પાથર નામના સગર વૃદ્ધ તેમના જી.જે. ૧૦ ડી.ડી. ૭૪૯૯ નંબરના મોટરસાયકલ પર બેસીને રૂપામોરા ગામ (તા. ભાણવડ) ખાતે રહેતી તેમની પુત્રીના ઘરેથી પોતાના ઘરે મોટી ગોપ ગામે જઈ રહ્યા હતા, ત્યારે ભાણવડ નજીક ત્રિવેણી નદીના પુલ પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૦૩ પી.આર. ૯૨૦૦ નંબરની એક મોટરકારના ચાલક હસમુખભાઈ મનોરદાસ ગાંગાણી (રહે. મૂળ ભાણવડ) એ પરબતભાઈ પાથરના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા પરબતભાઈ પાથરનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ભાણવડ પોલીસે મૃતકના ભત્રીજા સુરેશભાઈ નગાભાઈ પાથર (ઉ.વ. ૩૫. રહે. મોટી ગોપ)ની ફરિયાદ પરથી કારચાલક હસમુખભાઈ ગાંગાણી સામે બી.એન.એસ. અને એમ.વી. એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.આર. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.