રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું, કોંગ્રેસ ડરતી નથી

  • January 20, 2024 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહી છે. ભારત જોડો ન્યાય યાત્રા પર આસામમાં ભારે રાજકારણ ચાલી રહ્યું છે. દરમિયાન શુક્રવારે બીજા દિવસે પણ કોંગ્રેસની આસામમાંથી પસાર થતી યાત્રા દરમિયાન કોંગ્રેસના વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ માટે ભાજપ યુવા મોરચા પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે. કોંગ્રેસ ભાજપ યુવા મોરચાના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરવાની પણ યોજના બનાવી રહી છે.


કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, લખીમપુર જિલ્લામાં 'ભારત જોડો ન્યાય યાત્રા'ના પ્રવેશ પહેલા ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ શુક્રવારે રાત્રે વાહનોમાં તોડફોડ કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસ ઉપદ્રવ મચાવનારાઓની ધરપકડની માંગ કરવાની યોજના બનાવી રહી છે. આ પહેલા લખીમપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કટઆઉટ અને બેનરો પણ ફાડી નુકસાન કરવામાં આવ્યું હતું.


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ હુમલાની નિંદા કરી છે. આ માટે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ આસામના લખીમપુરમાં ભાજપના ગુંડાઓ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન વાહનો પરના હુમલા અને કોંગ્રેસ પાર્ટીના બેનરો અને પોસ્ટરો ફાડવાની નિંદા કરે છે. વધુમાં ખડગેએ લખ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં ભાજપે બંધારણ દ્વારા ભારતના લોકોને આપવામાં આવેલા દરેક અધિકારને કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે. આસામમાં કોંગ્રેસ પર થયેલા હુમલા અને ધમકીઓથી કોંગ્રેસ ડરતી નથી.


આ દરમિયાન આસામ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેન કુમાર બોરાનું કહેવું છે કે, શુક્રવારે સાંજે લખીમપુરમાં ભાજપ સાથે જોડાયેલા કેટલાક લોકોએ વાહનો પર હુમલો કર્યો હતો. આ સાથે જ રાહુલ ગાંધીના કટઆઉટ લઇ જઇ રહેલી ટ્રકો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ભૂપેન કુમાર બોરાનો આરોપ છે કે આ હુમલો આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નિર્દેશ પર થયો છે.


તમને જણાવી દઈએ કે આસામમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાના આગમન સાથે જ ત્યાંનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રાજ્યના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા એકબીજા પર ઉગ્ર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે જે રીતે લોકો કોંગ્રેસની યાત્રાને સમર્થન આપી રહ્યા છે તે જોઈને મુખ્યમંત્રી બિસ્વા ડરી ગયા છે. તેથી તેઓ યાત્રામાં અડચણો ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, કોંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેશનું કહેવું છે કે આસામ સરકાર કોઈપણ રીતે ભારત જોડો યાત્રાને નિષ્ફળ બનાવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે અને તેને સફળ થવા નહીં દે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application