જમ્મુ અને કાશ્મીરમાં આર્મીનું ઓપરેશન ધનુષ-2, 3 આતંકવાદી ઠાર

  • July 14, 2024 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. ઓપરેશન ધનુષ-2 હેઠળ, ભારતીય સેનાએ કુપાવાડાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર આતંકવાદીઓને ઘેરી લીધા અને ગોળીબાર કર્યો. આ તમામ આતંકવાદીઓ એલઓસી પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેટલાક કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ ભારતીય જવાનોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે.

ભારતીય સેનાએ કહ્યું કે 3 આતંકીઓને ઠાર કર્યા પછી પણ કેરન સેક્ટરમાં એન્કાઉન્ટર ચાલુ છે. હજુ ઘણા આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. સેનાએ કહ્યું કે ટૂંક સમયમાં બાકીના આતંકીઓને પણ ઠાર કરવામાં આવશે. ભારતીય સેનાએ કહ્યું કે કુપવાડામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેના દ્વારા ઓપરેશન ધનુષ-2 શરૂ કરવામાં આવ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. લડાઈમાં વપરાયેલી ઘણી વસ્તુઓ પણ મળી આવી છે.

તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં વધારો થયો છે. આ આતંકી હુમલા દક્ષિણ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા દરમિયાન થયા હતા. ગયા મહિને 9 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટે શપથ લીધા હતા તે જ દિવસે રિયાસીમાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ પછી બસ ખાડામાં પડી હતી. આ ઘટનામાં નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ મહિનાની શરૂઆતમાં, 8 જુલાઈએ, કઠુઆના બદનોટા વિસ્તારમાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના જૂથ દ્વારા સેનાના પેટ્રોલિંગ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા હતા અને આઠ ઘાયલ થયા હતા. તાજેતરમાં જ કુલગામ જિલ્લામાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application