અનિલ અંબાણી, સચિન તેંડુલકર, જેકી શ્રોફ અને ઘણા ધનિક પરિવારો ઇડીના રડાર પર, જાણો શું છે પેન્ડોરા પેપર્સ 

  • February 05, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇડી દ્વારા પેન્ડોરા પેપર્સ તપાસમાં ઓફશોર કંપનીઓના ભારતીય માલિકોની પુછપરછ શરુ 




વિવાદાસ્પદ પેન્ડોરા પેપર્સ તપાસમાં ઇડીની તપાસ વધુ આકરી બનતી જાય છે. થોડા વર્ષો પહેલા ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્ટરનેશનલ જર્નાલિસ્ટ્સ (આઈસીઆઈજે) એ કેટલાક ખુલાસા કર્યા હતા, અને તે ડેટાને ૧૫૦ મીડિયા પાર્ટનર્સ સાથે શેર કરવામાં આવ્યો હતો. ૨.૯૪ ટેરાબાઈટ (ટીબી)ના ડેટામાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમાં એવા ધનિકોના નામ છે કે જેઓએ ઓછા ટેક્સ અથવા ટેક્સ વગરના ક્ષેત્રોમાં શેલ કંપનીઓ, ટ્રસ્ટ, ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓ બનાવી અથવા તેમાં નાણાંનું રોકાણ કર્યું. પેન્ડોરા પેપર્સ લગભગ ૧ કરોડ ૧૯ લાખ ગુપ્ત ફાઈલોનો સંગ્રહ છે. જેમાં ૨૦૦ દેશોના અલગ-અલગ લોકોના નામ છે અને તેમાં અંદાજે ૩૮૦ ભારતીયોના નામ સામે પણ સામે આવ્યા છે, જેમાં ઉદ્યોગપતિઓ, બોલીવૂડ અને સ્પોર્ટ્સની ખ્યાતનામ હસ્તીઓથી લઈને ભાગેડુ ઉદ્યોગપતિઓ સામેલ છે. આ મામલે ઉદ્યોગપતિ અનિલ અંબાણી, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી, ક્રિકેટર સચિન તેંડુલકર, જેકી શ્રોફ, નીરા રાડિયા, ગૌતમ સિંઘાનિયા, લલિત ગોયલ અને માલવિંદર સિંહના નામો સામે આવ્યા છે.


હાલમાં પેન્ડોરા પેપર્સ તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમો સંપત્તિ જપ્ત કરવા માટે નિવેદનોનું રેકોર્ડિંગ, સમન્સ, આવકવેરા અને આરબીઆઈ પાસેથી વિગતો મેળવવી અને મની લોન્ડરિંગ ઉલ્લંઘનની તપાસ કરી રહી છે. પેન્ડોરા પેપર્સમાં ૧૪ ઑફશોર સર્વિસ પ્રોવાઈડર્સ પાસેથી મેળવેલા ૧૧.૯ મિલિયન ગુપ્ત દસ્તાવેજો છે જેમાં ૨૯,૦૦૦ ઑફશોર એન્ટિટીની માલિકીની વિગતો આપવામાં આવી હતી જેનો ઉપયોગ સુપર-રિચ લોકો દ્વારા તેમના ગ્લોબલ માની ફ્લોનું સંચાલન કરવા માટે કરવામાં આવ્યો હતો.


આ દેતાં યાદીમાં ભારતીય નામોની તપાસ માટે કેન્દ્રએ ભારતીય નામોની તપાસની આગેવાની માટે મલ્ટી એજન્સી ગ્રુપ (એમએજી) ની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ, આવકવેરા વિભાગે મોટાભાગના ભારતીય નાગરિકોને નિર્દેશો મોકલ્યા હોવાનું જણાયું હતું, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટએ ૨૦૨૨ના અંત સુધી, અહેવાલોમાં નામ આપવામાં આવેલા ૪૮૨ લોકો માટે વિદેશી અધિકારક્ષેત્રોને વિનંતીઓ મોકલી હતી. કેટલાક કિસ્સાઓમાં, ઇડીએ ઑફશોર એન્ટિટી વિશે વધુ માહિતી મેળવવા માટે, ૧૬૭ અધિકારક્ષેત્રોના નાણાકીય ગુપ્તચર એકમોની સંસ્થાઓને "એગમોન્ટ રીક્વેસ્ટ" મોકલી છે.


ઇડીએ અનિલ અંબાણી અને ટીના અંબાણીના નિવેદનો નોંધ્યા   


એડીએ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી અને તેમના પ્રતિનિધિઓ જર્સી, બ્રિટિશ વર્જિન ટાપુઓ અને સાયપ્રસમાં ઓછામાં ઓછી ૧૮ ઑફશોર કંપનીઓના માલિક છે. આમાંથી સાત કંપનીઓએ ૧.૩ બિલિયન ડોલરનો ઉધાર લઇ રોકાણ કર્યું છે. આ કંપનીઓનું સંચાલન કરનારા લોકોએ જણાવ્યું હતું કે બેંકોમાંથી તેમની લોન "રોકાણ કરવા માટે રિલાયન્સ/અનિલ અંબાણી દ્વારા બાંયધરી આપવામાં આવી હતી..." અંબાણીના વકીલે તે સમયે કહ્યું હતું કે તમામ જાહેરાતો ભારતીય કાયદાના પાલનમાં કરવામાં આવી હતી. હાલમાં ઇડીએ તમામ અહેવાલ એકમોની વિગતો માંગી છે અને ત્રણ ભારતીય કંપનીઓને નિર્દેશો જારી કરવામાં આવ્યા છે આ ઉપરાંત અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણીને સમન્સ મોકલવામાં આવ્યા હતા અને ઇડીની મુંબઈ ઓફિસમાં તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.


સચિન તેંડુલકરની સાસ ઈન્ટરનેશનલનું નામ પણ આ લીસ્ટમાં શામેલ 

સચિન તેંડુલકર અને તેના પરિવારના સભ્યો સાસ ઇન્ટરનેશનલ લિમિટેડ, બીવીઆઈ કંપનીના માલિક હતા. પનામા પેપર્સના પ્રકાશન પછી તરત જ ૨૦૧૬માં સાસ ઈન્ટરનેશનલને બંધ કરી દેવામાં આવી હતી. પેન્ડોરા રેકોર્ડમાં તેંડુલકર ભૂતપૂર્વ સાંસદ હોવાને કારણે રાજકીય રીતે એક્સપોઝ્ડ પર્સન તરીકે લીસ્ટેડ ફેમેલીમાં દર્શાવાયા છે. તેંડુલકરના કાર્યાલયના અધિકારીઓએ તે સમયે બીવીઆઈ રોકાણોને કાયદેસર ગણાવ્યા હતા. એફઇએમએને બોલાવીને, ઇડીએ ક્રિકેટ સ્ટારની આઈટીઆર વિગતો માટે ઇન્કમ ટેક્સને મેસેજ મોકલ્યો હતો. તેંડુલકરની કંપનીના સીઇઓ અને તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સાસ વિશે માહિતી માગતા નિર્દેશો મોકલવામાં આવ્યા હતા. હાલમાં વધુ તપાસ ચાલુ છે.


પેન્ડોરા પેપર્સ લીકમાં આ ભારતીયોના નામ પણ શામેલ 


આ ડેટામાં દેશની ખ્યાતનામ હસ્તીઓ ઉપરાંત બીઝનેસમેન બાવાગુથુ રઘુરામ શેટ્ટી, ગૌતમ સિંઘાનીયા, યુકેના નાગરિક અને બાયોકોન ચીફ કિરણ મઝુમદાર શૉના પતિ જોહ્ન મેકમૉલમ માર્શલ શૉ, સીતારામ ભરતિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એન્ડ રિસર્ચના માલિક ઓમ પ્રકાશ ભરતિયા, નીરા રાડિયા, હરીશ સાલ્વે, જોધપુરના ભૂતપૂર્વ મહારાજા ગજ સિંહ, ગૌરવ બર્મન, અરવિંદ સિંહ મેવાર, સમીર થાપર, લલિત ગોયલ, રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર્સ શિવિન્દર સિંઘ અને માલવિન્દર સિંઘ, યુનિટેકના પ્રમોટર સંજય ચંદ્ર અને પ્રીતિ ચંદ્રા, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના વિશ્વાસુ અને સહયોગી એવા ઇકબાલ મિર્ચી અને તેનો પરિવાર, દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (ડીએચએફએલ)ના પ્રમોટર્સ કપિલ વાધવન અને ધીરજ વાધવન, દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (ડીએચએફએલ)ના પ્રમોટર્સ કપિલ વાધવન અને ધીરજ વાધવન, કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથના પુત્ર બકુલ નાથ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજીવ સક્સેનાના નામોનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application