અમદાવાદ : મદરેસામાં સર્વે કરવા પહોંચેલી ટીમ પર હુમલા મામલે નોંધાઈ ફરિયાદ

  • May 19, 2024 08:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના દરિયાપુરમાં આવેલી મદરેસામાં સર્વે કરવા આવેલી ટીમ પર અચાનક ટોળાએ હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ટીમ પર હુમલો થયો ત્યારે મદરેસા બંધ હતી. સર્વે કરવા આવેલી ટીમના સંદીપ પટેલ નામના શિક્ષક પુરાવા તરીકે ફોટોગ્રાફ લઈ રહ્યા હતા ત્યારે અચાનક નજીકની મસ્જિદની આસપાસ ઉભેલા ટોળાએ ટીમ પર હુમલો કર્યો હતો. ટોળાએ પહેલા ટીમને ઘેરી લીધી અને પછી તૂટી પડી. આ ઘટના અંગેની ફરિયાદ દરિયાપુર પોલીસ સ્ટેશને પહોંચી હતી, જે બાદ પોલીસે એફઆઈઆર નોંધી છે.


શાળાના શિક્ષકો મદરેસાની સર્વે ટીમનો ભાગ હતા, જેમના પર હુમલો થયો હતો. ફરહાન અને ફૈઝલ નામના વ્યક્તિ વિરુદ્ધ રમખાણ, સરકારી કામમાં અવરોધ અને લૂંટના આરોપમાં FIR નોંધવામાં આવી છે. તેની સાથે પાંચ વધુ લોકો અને 35 થી વધુ લોકોના ટોળા સામે કેસ નોંધવામાં આવ્યો છે.


નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ ગુજરાતની 1100થી વધુ મદરેસાઓનો સર્વે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની કુલ 205 મદરેસાઓનો સર્વે ચાલી રહ્યો છે. મદરેસામાં જતા બિન-મુસ્લિમ બાળકોની તપાસ અને મેપ બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે. મેપ વગરના મદરેસાઓના મેપિંગ માટે પણ આદેશો આપવામાં આવ્યા છે. મદરેસામાં ભણતા બાળકો માટે સામાન્ય શાળામાં અભ્યાસ કરવો જરૂરી છે કે કેમ તેની તપાસ કરીને રિપોર્ટ સોંપવાના આદેશ આપવામાં આવ્યા છે.


નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે 7 મેના રોજ ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો, ત્યારબાદ અમદાવાદમાં 11 મુદ્દાઓ પર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મદરેસા સંચાલકની તમામ માહિતી મેળવવામાં આવી રહી છે. જો કોઈ ટ્રસ્ટ કે સંસ્થા મદરેસા ચલાવવામાં સામેલ છે તો તેની પણ માહિતી લેવામાં આવી રહી છે. મદરસામાં શિક્ષકોને મળતા પગાર અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.


સર્વેમાં બાળકો પાસેથી લેવામાં આવતી ફી અને મદરેસાને દાનમાં આપવામાં આવેલા નાણાંની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ગુજરાતની મદરેસાઓમાં થઈ રહેલા સર્વે અંગે અમદાવાદના શિક્ષણ અધિકારી લગધીર દેસાઈએ જણાવ્યું હતું કે RTE કાયદા હેઠળ બાળકોને મૂળભૂત અધિકારો મળી રહ્યા છે કે કેમ, મદરેસાઓમાં થઈ રહેલા સર્વેનો આ સૌથી મોટો ઉદ્દેશ્ય છે. અમદાવાદમાં કુલ 175 ટીમો મદરેસાઓમાં સર્વે માટે ગઈ છે જો બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે તો સરકારને પણ કોઈ વાંધો નથી, તેથી અમે માત્ર એક સર્વે કરી રહ્યા છીએ કે બાળકોને તેમના મૂળભૂત અધિકારો મળી રહ્યા છે કે નહીં. અમે Google શીટ પર તમામ માહિતી મેળવી રહ્યા છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application