BREAKING NEWS

જામનગર​​​​​​​: જીએસટી ચોરી પ્રકરણમાં જસદણના વેપારીને સમન્સ: તપાસ તેજ

  • July 04, 2026 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર​​​​​​​: જીએસટી ચોરી પ્રકરણમાં જસદણના વેપારીને સમન્સ: તપાસ તેજ


ઓખાના સુદર્શન બ્રીજની ભંગારની હેરાફેરી અંગે એન્ફોર્સમેન્ટ ખાતાએ તપાસ કરી, ત્યારબાદ જીએસટીને મામલો સોંપાય તેવી શકયતા: હાલ આરોપીની પોલીસે કરી પુછપરછ


જામનગર શહેરમાં ઉદ્યોગનગર વિસ્તારમાં ૨૦ જેટલી ટીમોએ વ્યાપક દરોડા પાડયા બાદ સૌથી વધુ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી આખરે રૂ.૨૩.૦૮ કરોડની ચોરી નીકળી હતી અને આ તપાસ બાદ દસ્તાવેજ અને અન્ય પુરાવા સાથ આ ચોરીમાં જસદણના એક વેપારીનો સાથ હોવાની શંકાના આધારે આ વેપારીની પુછપરછ કરવા માટે સમન્સ પાઠવવાનું બહાર આવ્યું છે એટલુ જ નહિ અમદાવાદ જીએસટી કચેરીની સુચના અનુસાર આ તપાસ તેજ બનાવવામાં આવી છે.


બીજી તરફ ઓખાના સુદર્શન બ્રીજના ભંગારની હેરાફેરીમાં જીએસટીની ચોરી કરાતી હોવાની વિગતો બહાર આવી રહી છે અને આ અંગે એલસીબી તપાસ કરી રહી છે, સાત જેટલા લોકો સામે વિવિૂધ કલમ હેઠળ ઓખા પો.સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે. એટલું જ નહિ આ અંગે તપાસમાં એન્ફોર્સમેન્ટ વિભાગે ઝુકાવ્યું હોવાની વિગતો બહાર આવી રહી છે. આવનારા દિવસોમાં કેટલાક કડાકા ભડાકા થાય તેવી શકયતા છે. 


જી.આઇ.ડી.સી. વિસ્તારમાં જીએસટીના ૧૪ જેટલા અધિકારીઓની ટીમે ચિઠ્ઠી, મોબાઇલ, લેપટોપ અને અન્ય દસ્તાવેજની તપાસ શરૂ કરી છે ત્યારે કેટલાક વેપારીઓના નામ હજુ પણ ખુલે તેવી શકયતા છે. બોગસ બીલીંગ કાંડમાં સંડોવાયેલી મનાતી પેઢી સામે પુછપરછ કરવા અભિયાન શરૂ કરાયુ છે, જસદણના એક વેપારીની પુછપરછ કરવા માટે જીએસટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. હાલ તો કોઇપણ કંઇ બોલવા તૈયાર નથી અને વેપારીઓ રૂબરૂ હાજર થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.


જસદણના આ વેપારી પાસેથી કેટલીક સ્ફોટક વિગતો મળે તેવી જીએસટી વિભાગને આશા છે જેથી ટીમ દ્વારા આ વેપારી હાથમાં આવે તેવા પ્રયાસો પણ થઇ રહ્યા છે જીએસટી મળેલા ઇન્પુટ બાદ જસદણના વેપારીની જીએસટીની નોંધણી રદ કરી દેવામાં આવી છે અને તેની સામે ખોટા બીલ બનાવવા, એકસ ક્રેડીટ લોક કરવાની કામગીરી પણ તપાસ કરવામાં આવશે તેવી વિગતો બહાર આવી છે.


કેટલીક પેઢીઓના સંચાલકો દ્વારા કાચી ચિઠ્ઠીથી અનેક વ્યવહારો કરતા હોવાની સનસનાટી ભરી વિગત સામે આવી છે અને તે જોઇને સાતેક જેટલા વેપારીઓ તો હાલ જામનગરથી અન્ય સ્થળે ચાલ્યા ગયા હોવાનું બહાર આવ્યું છે. તેને શોધવા માટે અલગ સ્પે. ટીમ બનાવવામાં આવશે તેમ જાણવા મળે છે. આમ જામનગરના જીએસટીના દરોડા બાદ કેટલાક લોકોની ધરપકડ થયા બાદ કેટલુંક કૌભાંડ બહાર આવે તેવી શકયતા હોય હાલ તો કોઇ અધિકારીઓ કંઇ બોલવા તૈયાર નથી, અને હાલ ઓખા પ્રકરણમાં ઇન્ફોર્સમેન્ટ વિભાગ તપાસ કરી રહ્યું છે તેમાં વિગત ખુલશે તો બીલીંગ અંગેની તપાસ જીએસટીને સોંપવામાં આવે તેવી શકયતા સુત્રો જણાવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application