જામનગર: જામજોધપુર પંથકમાં સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા
ભોગ બનનારને ૪ લાખ વળતર ચુકવવા અદાલતનો હુકમ
જામજોધપુર તાલુકાની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીને જામનગરની સ્પે. પોકસો અદાલતે તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે અને સરકારી યોજના હેઠળ ભોગ બનનારને ૪ લાખનું વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે.
જામજોધપુર તાલુકાના ઉધેયપુર ગામે રહેતા એક મજુર પરિવાર ખેત મજુરી કામ કરતા હોય તે દરમ્યાન આ ગામના આરોપી ભરત રાજાભાઇ સાગઠીયા ત્યાં ખેત મજુરી કરતો અને આજથી ત્રણેક વર્ષ પહેલા સગીરાને રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે સગીરાનું લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયેલ જે મતલબની ફરીયાદ સગીરાના પીતા દ્વારા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ કરી આરોપીને પકડી પાડી તેના વિરુઘ્ધ ચાર્જસીટ તૈયાર કરી કોર્ટમાં રજુ કરેલ જયારે આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આ કેસ જામનગરની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ દ્વારા કુલ ૧૦ સાહેદો તપાસવામાં આવેલ અને ૨૪ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલ હતા ત્યાર બાદ સરકાર તરફે વકીલની દલીલો, દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાની વિગેરે ઘ્યાને લઇ સ્પે. પોકસો કોર્ટના જજ મોગેરા દ્વારા આરોપી ભરત સાગઠીયાને તકસીરવાન ઠેરવી પોકસો કલમ ૪ હેઠળ ૧૦ વર્ષની સખત કેદની સજા, પોકસો કલમ ૬ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા અને ભોગ બનનારને ૪ લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે, આ કેસમાં સરકાર તરફે વકીલ એમ.પી. જાની રોકાયા હતા.