આ વખતે તમારું ભાગ્ય જાગી ગયું છે...સુરતમાં વિધિના બહાને ભાઈની પત્ની પર ધારીના ભુવાએ દુષ્કર્મ આચર્યું, વતન આવતા જ લોકોએ કર્યું આવું

  • March 11, 2025 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના કાપોદ્રામાં પિતરાઈ ભાઈના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ધારીના ભૂવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી રોષ ફાટી નીકળ્યો હતો. ફરાર થઈ ગયેલો ભુવો વતન જતા લોકોએ તેને પકડીને અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી. જાન્યુઆરીમાં બનેલી હિચકારી ઘટના અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ અમરેલી પોલીસની એક ટીમને રવાના કરી આ ભુવાને પકડી પાડવામાં આવ્યો છે.


કાપોદ્રા વિસ્તારમાં રહેતી 42 વર્ષીય પરિણીતાને ત્યાં અવારનવાર અમરેલીના ધારીના નવા ચરખા ગામે રહેતો ફઈજીનો દીકરો એવો ભુવો ભરત કડવા કુંજડિયા આવતો જતો હતો. આ ભૂવો આ પરિવારનો સંબંધી જ થતો હોવાથી સુરતમાં કોઈ વ્યક્તિને ત્યાં વિધિ કરવા આવવાનું થાય ત્યારે અહીં પણ આવતો અને રોકાતો હતો. ગત 19મી જાન્યુઆરીએ આ ભુવો વિધિ માટે આવ્યો હતો. તેની સાથે તેમના સેવક તરીકે તેમનો પુત્ર ધ્રૂવ અને સંબંધી અતુલ પણ આવ્યા હતા. થોડાક સમય રોકાયા બાદ યજમાનને ત્યાં વિધિમાં ગયા બાદ 21મીએ પરિણીતાના પતિને બોલાવી એક સંબંધીને ત્યાં લઈ ગયો હતો.


રાત્રે આ પરિણીતાના ઘરે જ ભુવો રોકાઈ ગયો હતો. આ વખતે તમારું ભાગ્ય જાગી ગયું છે કહી વિધિના બહાને આ દંપતીને એક રૂમમાં લઇ ગયો હતો. અહીં બંનેને નગ્ન કરી વિધિનું નાટક કરી પતિને રૂમની બહાર મોકલી દીધો હતો. પરિણીતા એકલી રહી ત્યારે ભુવાએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. પોતાને જાગૃત કરી અંદર પ્રવેશ કરાવ, હું તને કશું થવા નહિ દઉં તેમ કહી દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ પોતાની સાથે થયેલા બળાત્કારને લઈ ગઈકાલે રાત્રે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જ ભુવો ફરાર થઈ ગયો હતો.


ભુવાએ જે રીતે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું તેનાથી ધારી અને સુરતના સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિધિના બહાને પરિણીતાને પીંખી નાખ્યા બાદ સુરતથી ભાગી છૂટેલા ભૂવાએ 7મી માર્ચે સીમાડા ગામે મદદ ફાઉન્ડેશનમાં મળેલી સમાજની મિટિંગમાં પોતે બળાત્કાર કર્યાનું સ્વીકાર્યું હતું. ભુવો વતન અમરેલીના ગામ પહોંચતાં લોકો એટલી હદે રોષે ભરાયા હતા કે, તેને માતાજીના મઢમાં લઇ જઇ અડધો ટકો કરી મોઢામાં ચંપલ મુકાવી માફી પણ મંગાવી હતી. ભૂવાને પકડી સખત સજાની માંગણી કરાઇ રહી છે.

ભુવાએ માફી માંગતા જણાવ્યું હતું કે, મારું નામ ભરતભાઈ કડવાભાઇ કુંજડિયા, ગામ નવા ચરખા છે. મેં તાંત્રિક વિધિ કરી હતી, જેની હું માફી માગું છું. હું રણુજાવાળાની સાક્ષીમાં માફી માગું છું. એનો કોઈ ગુનો નહોતો. આ લખાણ મેં કરી દીધું છે. મેં કોઈના દબાણથી કર્યું નથી. રાજીખુશીથી મેં લખાણ કર્યું છે. આજથી હું આ બધું બંધ કરું છું અને માફી માગું છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application