જામનગરમાં પાણીના ખાડામાં ડુબી જતા યુવાનનું મોત

  • July 08, 2023 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અન્ય એકની શોધખોળ : ચોમાસાની ચાલુ સીઝનમાં ડુબી જવાથી મૃત્યુ આંક નવ

જામનગરમાં ચોમાસાની ચાલુ સીઝન દરમ્યાન અલગ અલગ વિસ્તારમાં અકસ્માતે પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થવાના બનાવો એક પછી એક બહાર આવ્યા હતા, અત્યાર સુધી કુલ નવ વ્યકિત કાળનો કોળીયો બન્યા છે, ગઇકાલે અહીંના વિશાલ હોટલ પાછળ પાણી ભરેલા ખાડામાં ડુબી જવાથી એક યુવાનનું મૃત્યુ થયુ હતું અન્ય એક યુવાન પાણીમાં ગરકાવ થયાની ચર્ચાઓ વહેતી થતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી.
જામનગરના સમર્પણ નજીક વિશાલ હોટલની પાછળ લક્ષ્મીનગર પાટાની બાજુમાં રહેતા મનિષ મુકેશભાઇ પરમાર (ઉ.વ.૨૦) નામનો યુવાન ઘર નજીક વરસાદી પાણીના ખાડામાં ન્હાવા માટે પડતા ડુબી જવાથી તેનું મૃત્યુ નિપજયુ હતું આ અંગે મહેશ મુકેશભાઇ પરમાર દ્વારા સીટી-સી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
ગઇકાલે સાંજે અહીં પાણીના ખાડામાં બે યુવાન ન્હાવા પડયા બાદ પાણીમાં ગરકાવ થયા છે એવી વિગતો મળતા ફાયર બ્રિગેડની ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને શોધખોળ કરી પાણીમાંથી મનિષ નામના યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો, દરમ્યાન અન્ય એક સાથે હોવાની ચર્ચાઓ ઉઠી હતી આથી ફાયરની ટુકડી દ્વારા પાણીમાં શોધખોળ આદરવામાં આવી હતી, બનાવ અંગેની જાણ થતા સીટી-સી પોલીસની ટુકડી સ્થળ પર દોડી આવી હતી, ફાયર બ્રિગેડના રેસ્કયુ કામગીરી વેળાએ આજુબાજુના લોકો પણ એકત્ર થઇ ગયા હતા, અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સીઝનમાં અલગ અલગ વિસ્તારોમાં પાણીમાં ડુબી જવાથી આઠ વ્યકિતના મૃત્યુ થયા હતા અને ગઇકાલે વધુ એક યુવાન ડુબી જવાથી મૃત્યુને ભેટતા અત્યાર સુધી કુલ નવ વ્યકિતઓના ડુબી જવાથી મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application