જસદણમાં વેપારી યુવાનને માર મારી દુકાનમાં તોડફોડ: ચાર સામે ફરિયાદ

  • November 02, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણમાં પાડોશમાં રહેતા પરિવાર વચ્ચે દિવાલ સરખી કરવા બાબતે થયેલી માથાકૂટ બાદ ચાર શખસોએ જસદણ મેઇન બજારમાં વાસણની દુકાન ધરાવનાર વેપારી યુવાની દુકાને પહોંચી તેને માર મારી દુકાનમાં તોડફોડ કરી હતી. આ મામલે વેપારીની ફરિયાદ પરથી પોલીસે મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણમાં ટાવર ચોક પાસે નાગરિક બેંક સામે રહેતા પાર્થ ગિરીશભાઈ કાગડા(ઉ.વ ૨૬) દ્વારા જસદણ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં જસદણમાં રહેતા ભરત છેલુભાઈ મહેતા, દીપક છેલુભાઇ મહેતા, ઉષાબેન ભરતભાઈ અને ઓમ ભરતભાઈ મહેતાના નામ આપ્યા છે.


યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને જસદણમાં મેઇન બજારમાં ડી.કે. મેટલ્સ નામની વાસણની દુકાન આવેલી છે આજથી પાંચેક દિવસ પૂર્વે યુવાનને તેના કાકા રાજેન્દ્રભાઈ ઉર્ફે દીપકભાઈ શાંતિલાલ કાગડા મળ્યા હતા અને તેમણે વાત કરી હતી કે, મારા મકાન પાછળ ભરતભાઈ મહેતાનું મકાન આવેલું હોય અને મારા કાચા મકાનની દીવાલમાંથી માટી ખરીને તેમના ફળિયામાં પડતી હોય જેથી દીવાલ સરખી કરવા તેમણે કહ્યું છે. બાદમાં યુવાને તેની દુકાનમાં કામ કરતા હિરેનને અહીં ભરતભાઈના ઘરે ક્યારે દિવાલ સરખી કરશું તે પૂછવા માટે મોકલ્યો હતો પરંતુ યોગ્ય જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ તારીખ ૨૮/૧૦ ના યુવાન તથા આ હિરેન બંને બપોરના બારેક વાગ્યા આસપાસ અહીં ભરતભાઈના ઘરે પૂછવા માટે ગયા હતા ત્યારે તેમના પત્ની ઉષાબેને ડેલી ખોલી કહ્યું હતું કે અત્યારે તડકો છે રસોઈ તેમજ આરામ કરવાનો ટાઈમ છે તેમ કહી યુવાન સાથે માથાકૂટ કરી હતી.
ત્યારબાદ સાંજના સમયે આ ભરતે યુવાનને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે તું બપોરે કેમ મારી પત્ની સાથે માથાકૂટ કરતો હતો તેમ કહી ભરતે યુવાને બે લાફા મારી દીધા હતા તેમજ તેમના પત્ની ઉષાબેને યુવાનનું ટીશર્ટ ફાડી નાખ્યું હતું.
​​​​​​​
ગઈકાલ યુવાન પોતાની દુકાને સાંજના સમયે બેઠો હતો ત્યારે ભરત મહેતા, છેલુ મહેતા બંને તેની દુકાને આવ્યા હતા અને અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી ગાળાગાળી કરવા લાગ્યા હતા જેથી યુવાને ગાળો દેવાની ના કહેતા અહીં વાસણમાં તોડફોડ કરી વાસણ રાખવાના શોકેસનો કાચ તોડી રૂ.૧૫૦૦ નું નુકશાન કર્યું હતું.તેમજ જ્યુસ બનાવવાનું મશીન ઉપાડી યુવાનના છાતીના ભાગે ઘા કર્યો હતો જેમાં યુવાનને ઇજા પહોંચી હતી બાદમાં ભરતભાઈનો દીકરો અને તેની પત્ની ઉષા પણ અહીં આવી ગયા હતા અને તે પણ ગાળાગાળી કરી યુવાન સાથે મારકૂટ કરવા લાગ્યા હતા. દરમિયાન યુવાનના અન્ય સગા આવી જતા આ શખસો અહીંથી ચાલ્યા ગયા હતા અને તેમણે ધમકી આપી હતી કે આ બધા આવી ગયા એટલે તું બચી ગયો છે હવે તો તને જીવતો નહીં રહેવા દઈએ. બાદમાં હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application