નણંદે લગ્નના બીજા દિવસે શારીરિક ચકાસણી કરી, સાસુ જમવાની ડિશમાં પાણી નાંખી દેતાં, તારા પહેલા લગ્નનું છુટું થયું ત્યાંથી મળેલા 1 કરોડ રૂપિયા લઈ આવ

  • May 29, 2025 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ મવડી મેઇન રોડ પર રહેતી પરિણીતાએ પેડક રોડ પર સેટેલાઇટ ચોકમાં રહેતા પતિ,સાસુ અને વડોદરા રહેતા નણંદ-નણદોયા વિરૂધ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.


શહેરના મવડી મેઈન રોડ પર આસ્માન એવન્યુ બિલ્ડિંગમાં માવતરને ત્યાં છેલ્લા આઠેક મહિનાથી રહેતી ધારાબેન (ઉ.વ. 31)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ ઉતમ રમેશભાઈ ભાંખર, સાસુ ભાનુબેન (રહે. બંને પેડક રોડ, સેટેલાઈટ પાર્ક), નણંદ નીધિબેન અને નણદોયા હાર્દિક કાંતિભાઈ નાકરાણી (રહે. બંને આજવા રોડ, વડોદરા) ના નામ આપ્યા છે.


ફરિયાદમાં જણાવ્યું છે કે, 2023માં ઉતમ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સંયુકત કુટુંબમાં રહેવા આવી હતી. તેના પહેલાં લગ્ન 5 વર્ષ પહેલાં થયા હતા. પતિ સાથે મનમેળ ન રહેતા છૂટાછેડા લઈ લીધા હતા. પહેલાં લગ્નથી સંતાનમાં કાંઈ નથી.


તારૂં પહેલું છૂટું થયું ત્યાં તું છોકરા મૂકીને આવી નથી

બીજા લગ્નના બીજા જ દિવસે નણંદે તેની શારીરિક ચકાસણી કરી કહ્યું કે, તારૂં પહેલું છૂટું થયું ત્યાં તું છોકરા મૂકીને આવી નથી ને તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. પતિ અને નણંદે કહ્યું કે તારા પહેલા લગ્નનું છુટું થયું ત્યાંથી મળેલા 1 કરોડ રૂપિયા લઈ આવ. પતિને દારૂ પીવાની ટેવ હતી અને દેણું પણ થઈ ગયું હતું. જેથી દેણું ભરવા માટે તેના પિયર પક્ષે પૈસા આપ્યા હતા. સાસુ કહેતા કે મારા પુત્રની પહેલી પત્ની કેટલું બધું લાવી હતી, તું કાંઈ લાવી નથી. નણંદના ઘરે પતિ અને સાસુ સાથે રોટલો ખાવા ગઈ હતી ત્યારે નણંદ અને નણદોયાએ ઝઘડો કર્યો હતો.

`
સાસુ કામવાળીની જેમ કામ કરાવતા હતા

પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તે સવારે જમવા બેસે ત્યારે સાસુ ડીશમાં પાણી નાંખી દેતાં હતા. ઘરના કામકાજ બાબતે ઝઘડો કરી નાની- નાની વાતમાં મેણાંટોણાં મારતા હતા. એક દિવસ પતિએ પણ ઝઘડો કરી બે- ત્રણ તમાચા ઝીંકી દીધા હતા. સાસુ કામવાળીની જેમ કામ કરાવતા હતા. પતિ અને સાસરિયાઓના માનસિક ત્રાસને લીધે આઘાત લાગતા તેના સારા દિવસોનો અંત આવ્યો તેવું તેને લાગે છે. તેના વડીલોએ અવાર- નવાર સમાધાનની કોશિષ કરી હતી. પરંતુ પતિ સમાધાન કરવા માંગતા ન હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી.


તારી દીકરીને ફળફ્રુટ ખવડાવે છે પૈસા કોણ આપે છે કહી પરિણીતાને સાસરીયાનો ત્રાસ

કાલાવડ રોડ પરના રવિ પાર્કમાં રહેતા હર્ષિતાબા જાડેજા (ઉ.વ.31)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ સહદેવસિંહ જાડેજા, સાસુ મનહરબા હિતેન્દ્રસિંહ જાડેજા, જેઠ ક્રિપાલસિંહ જાડેજા અને જેઠાણી ભાગ્યશ્રીબા ક્રિપાલસિંહ જાડેજાના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન 2020માં થયા હતા, લગ્નના છ મહિના બાદ સાસુ નાનીનાની બાબતોમાં ઝઘડા કરવા લાગ્યા હતા, જેઠ-જેઠાણી પણ મેણાંટોણાં મારતા અને પતિને આ બાબતે ફરિયાદ કરે તો પતિ પણ તે લોકોનો પક્ષ લઇને ઝઘડા કરતા હતા. બે વખત હર્ષિતાબા રિસામણે પણ ગયા હતા, પરંતુ સમાધાન કરીને તેમને પરત લઇ ગયા હતા, આ છતાં પતિ સહિતના સાસરિયાંમાં કોઈ ફરક પડયો ન હતો અને ફરી ત્રાસ દેવાનું શરૂ કર્યું હતું. પતિ સહદેવસિંહ ગોંડલમાં બાયોડીઝલ ઓઇલનો વેપાર કરતાં હોય રાત્રે મોડેથી ઘરે આવે તો પત્નીને સારી રીતે બોલાવતા નહીં, હર્ષિતાબા પોતાની ચાર વર્ષની પુત્રીને જમાડતા હતા ત્યારે સાસુ કહેતા કે, તારી દીકરીને ફળફ્રુટ ખવડાવે છે પૈસા કોણ આપે છે. આ અંગે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application