જામનગરમાં ઠેર ઠેર તાવ, ડેન્ગ્યુના ખાટલા રોગચાળાનો હાહાકાર

  • September 21, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જી.જી. હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓ વઘ્યા: ડેન્ગ્યુના ૮, તાવના ૧૫૦ અને ઝાડા-ઉલ્ટીના ૨૦૦થી વધુ કેસ નોંધાયા: ખાનગી હોસ્પિટલમાં તાવ, ઝાડા ઉલ્ટીના ર૦૦ થી વધુ કેસ, ડેન્ગ્યુના ૭ કેસ


જામનગરમાં ભારે વરસાદ થયા બાદ ચામડીના દર્દીઓ તો વઘ્યા છે, પરંતુ તાવ, ડેન્ગ્યુ, વાયરલ ઇન્ફેકશન, ઝાડા-ઉલ્ટીના ઠેર ઠેર ખાટલા શ‚ થયા છે, બે-ત્રણ દિવસ તાવ આવે તો દર્દી દસ-દસ દિવસ સુધી ઉભો થઇ શકતો નથી, અત્યંત નબળાઇના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે, ડોકટરોએ ઉકાળેલું પાણી પીવાની સલાહ આપી છે, જી.જી. હોસ્પિટલની ઓપીડીમાં ડેન્ગ્યુના ૮, તાવના ૧પ૦ અને ઝાડા-ઉલ્ટીના ર૦૦ થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં તાવ, ઝાડા-ઉલ્ટીના ર૦૦ થી વધુ કેસ, ડેન્ગ્યુના બે દર્દીઓને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લઇ જવાની વાત બહાર આવી છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના અધિક્ષકે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઓ.પી.ડી.માં દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યાં પહેલા ૪૫૦ જેટલા દર્દીઓ આવતા હતા, ત્યાં હવે આ સંખ્યા ૫૫૦ થી ૬૦૦ અને કેટલીકવાર ૭૦૦ સુધી પહોંચી રહી છે. આ ઉપરાંત, આઈ.પી.ડી. માં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જામનગરના નાગરિકોને આ અંગે સતર્ક રહેવા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, જો કોઈને શરદી, તાવ, મેલેરીયા કે ડેન્ગ્યુના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવવી જોઈએ. જામનગર શહેરમાં છેલ્લા ૧૫ દિવસથી ચીકનગુનીયા, ડેન્ગ્યુ, તાવ, ઝાડા-ઉલ્ટી અને શરદી-ઉધરસના કેસોએ માજા મુકી છે, કોર્પોરેશન દ્વારા ૧૨ આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી ખોલવામાં આવી છે અને દવા આપવામાં આવે છે છતાં પણ રોગચાળો વધે છે તે ચિંતાજનક છે, જામનગર શહેર જ નહીં ગામડાઓમાં પણ નવા પાણીના કારણે દર્દીઓની સંખ્યા વધી છે.

મેડિસીન ઈમરજન્સીમાં દાખલ દર્દીઓની સરેરાશ સંખ્યા ૬૦ થી ૮૦ હતી, જે હવે વધીને ૧૧૦ થી ૧૩૦ અને કેટલીકવાર ૧૫૦ સુધી પહોંચી રહી છે. આ વધારાનું મુખ્ય કારણ શરદી, તાવ, મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગોના કેસોમાં વધારો થયો છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે આ રોગો ફેલાવાની શક્યતા વધી ગઈ છે. હોસ્પિટલના સ્ટાફ દર્દીઓની સારવાર માટે સતત પ્રયત્નશીલ છે. પરંતુ દર્દીઓની સંખ્યામાં આટલો વધારો થવાને કારણે સ્ટાફ પર ભાર વધી ગયો છે. હોસ્પિટલ સત્તાવાળાઓ દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે જરૂરી પગલાં ભરી રહ્યા છે.

ગંદા પાણીથી પાણીજન્ય રોગોમાં વધારો
જામનગર શહેરમાં પંચવટી ગૌ શાળા, ગાંધીનગર, પટેલકોલોની, નવાગામ ઘેડ, રણજીત રોડ, ચાંદીબજાર, કાલાવડ નાકા બહાર વિસ્તાર તેમજ વોર્ડ નં.૧૨ અને ૧૬ના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ચામડીના રોગોમાં પણ વધારો થયો છે, એટલું જ નહીં તાવ અને ડેન્ગ્યુના કેસો પણ વઘ્યા છે, કેટલાક લોકો ખાનગી દવાખાના તરફ વળ્યા છે અને ખાનગી દવાખાનાઓમાં પણ દોઢથી બે કલાક બાદ દર્દીને જોવાનો વારો આવે છે, પેટના દુ:ખાવાના કેસો વઘ્યા છે, બે-ત્રણ દિવસ તાવ આવ્યા પછી આઠથી દશ દિવસ સુધી દર્દીને ખુબ જ નબળાઇ રહેતી હોવાની વિગતો બહાર આવી રહી છે, ડોકટરોના જણાવ્યા મુજબ પાણી ઉકાળીને પીવું અને બહારની ચીજવસ્તુઓ ન આરોગવા પણ જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application