યાજ્ઞિક રોડની રવિવારી રાત્રી બજારને કોની મંજૂરી ?

  • May 12, 2025 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭ના પોશ બજાર વિસ્તાર ડો.યાજ્ઞિક રોડ ઉપર દર રવિવારે સાંજે ભરાતી રવિવારી બજાર વેપારીઓની ફરિયાદ બાદ થોડો સમય બંધ રહ્યા બાદ ફરી ધમધમવા લાગતા ગઇકાલે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. યાજ્ઞિક રોડ ઉપરના હીરા પન્ના કોમ્પ્લેક્સથી હોટેલ ઇમ્પિરિયલ પેલેસ સુધીના રોડની બન્ને બાજુએ ભરાતી રવિવારી બજારથી વાહનચાલકો, રાહદારીઓ, વેપારીઓ તેમજ લતાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

એક તરફ હાલ સર્વેશ્વર ચોક વોંકળાના કામે સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં.૨૦ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. દરમિયાન આટલું ઓછું હોય તેમ ન્યુ જાગનાથ પ્લોટની શેરીઓમાં આડેધડ ખોદકામ કરવામાં આવ્યા બાદ હવે યાજ્ઞિક રોડ ઉપર રવિવારી રાત્રી બજાર બેસવા દેવાઇ છે જેના પગલે રહીશોમાં રોષની લાગણી પ્રસરી ગઇ છે. દબાણ હટાવ બ્રાન્ચ હપ્તા લઇને ફેરિયાઓને બેસવા દેતી હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે. સાંકડા યાજ્ઞિક રોડ ઉપર અગાઉથી જ કાયમી ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગની અસુવિધા છે, હાલના સંજોગોમાં તેમાં વધારો થયો છે ત્યારે તાત્કાલિક અસરથી રવિવારી બજાર કાયમી ધોરણે બંધ કરાવવામાં આવે તેવી યાજ્ઞિક રોડના વેપારીઓની માંગણી છે.


શું આ પોલીસ કમિશનરના જાહેરનામનો ભંગ નથી ?

તાજેતરમાં સર્વેશ્વર ચોક વોંકળાના કામે સરદારનગર મેઇન રોડથી ૨૦-ન્યુ જાગનાથ સુધીનો રાજકોટ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાંથી બંધ કરાયો છે ત્યારે ગઈકાલે હીરા પન્ના કોમ્પ્લેક્સની આજુ બાજુમાં પોતાના ફેરિયાઓએ સાંજથી મોડી રાત્રી સુધી અડિંગો જમાવ્યો હતો અને ગ્રાહકો તેમના વાહનો સાથે આ પ્રતિબંધિત વિસ્તારમાં છૂટથી અવરજવર કરતા હતા. અહીં આજુ બાજુમાં ઉંડું ખોદકામ કરેલું છે ત્યારે જો અહીં કોઇ દુર્ઘટના સર્જાઇ તો જવાબદારી કોની ? શું આ રીતે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશવું એ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ નથી ?


મ્યુનિસિપલ કમિશનર સુમેરા પગલાં લેશે કે ?

યાજ્ઞિક રોડને લાગુ ડો.દસ્તુર માર્ગ ઉપર ફૂડ ટ્રક સાથે ભરાતી રાત્રી બજાર અંગે વ્યાપક ફરિયાદો બાદ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરએ આકરો નિર્ણય લઇને તેની કડક અમલવારી કરાવતા દસ્તુર માર્ગની રાત્રી બજાર કાયમી ધોરણે બંધ થઇ છે. જો વર્તમાન મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આવો નિર્ણય લઇ કડક અમલવારી કરાવે તો યાજ્ઞિક રોડ ઉપર ગેરકાયદેસર રીતે ભરાતી રવિવારી બજાર પણ કાયમી ધોરણે બંધ થઇ શકે તેમ છે. તદઉપરાંત જાગૃત કોર્પોરેટરો અને પદાધિકારીઓ પણ ઇચ્છે તો દબાણ હટાવ સ્ટાફની હપ્તાખોરી બંધ કરાવી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઉકેલી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application