ઢીંચડા રોડ પર બે માસ પહેલા જ બનેલા ડામર રોડ પર બુલડોઝર શું કામ ?

  • February 05, 2024 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રજાના રુપિયા વેડફાટ કરવામાં હવે તો જામ્યુકોના શાસકો શરમ કરો...!!!: ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવા માટે નવેનવા ડામર રોડને તોડીને સત્તાધીશોએ કરેલા આ નુકશાનની ભરપાઇ કોણ કરશે ?: ડામર રોડ બનાવતા પહેલા પાઇપલાઇન નાખવાનું કેમ યાદ આવ્યું નહીં ?: નવા રોડ બનાવીને ફરી ખોદીને ફરી બનાવવાની આ રમતમાં કોને કોને મળી રહી છે મલાઇ ?: રાજ્ય સરકાર પણ તપાસ કરાવે...

જામનગરમાં ઢીંચડા રોડથી મહાકાળી વિસ્તાર પર તાજેતરમાં નવેનવો બનાવાયેલા ડામર રોડ પર ખુદ મનપાની જ ભુગર્ભ ગટર શાખાના અધિકારીઓની સૂચનાથી આ રસ્તા પર બુલડોઝર ફેરવી દેવાતા પ્રજાના રુપિયાનું પાણી પાણી થઇ ગયું છે, જો ભુગર્ભ ગટર બનાવવાની હતી તો પહેલા સીવીલ શાખા સાથે શા માટે સંકલન જાળવવામાં ન આવ્યું, પહેલા રસ્તા બનાવવાના, પછી તોડીને થીગડા મારવામાં આ બધુ કારસ્તાન જામનગર કોર્પોરેશનમાં વર્ષોથી ચાલ્યું આવે છે અને આ પ્રકારના બખડજંતરમાં કોને કોને મલાઇ મળી રહી છે ? તે અંગે પણ રાજ્ય સરકારે હવે તપાસ કરવાની જરુર છે, પ્રજાના લાખો રુપિયા જામનગર કોર્પોરેશન ઘણી વખત વેડફાટ કરી ચૂક્યું છે, ત્યાં મહાકાળી વિસ્તારમાં ઢીંચડા રોડ સુધી નવેનવો બનાવાયેલો ડામર રસ્તો ભુગર્ભ ગટર માટે તોડી પાડવામાં આવતા લોકોમાં ઉગ્ર રોષની લાગણી જન્મી છે.
જામનગર શહેર વિકાસના પંથે ચાલી રહ્યું છે, રુા. રપ૬ કરોડના ખર્ચે સમગ્ર શહેરભરમાં અને નવા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની લાઇનો પાથરવામાં આવી રહી છે, પરંતુ અહીં પ્રશ્ર્ન એ છે કે ઢીંચડા રોડ પર અગાઉથી ભુગર્ભ ગટર બનાવવા માટે નક્કી થઇ ગયું હતું, તો પછી આશરે બે માસ પહેલા નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો, તો પછી ભૂગર્ભ ગટર શાખા અને સીવીલ શાખા વચ્ચે શા માટે સંકલન થયું નહીં, આ ખર્ચો કોણ ભોગવશે ? ખરી રીતે સંકલન વિનાના થતાં રસ્તા અને અન્ય ખર્ચા અંગે હવે વિજીલન્સ તપાસ કરવાની જરુર છે, ખુદ રાજ્ય સરકારે મોકલેલી ગ્રાન્ટ આ રીતે વેડફાટ થઇ રહી છે, જેથી સરકારે પણ આ અંગે કડક પગલા લેવાની જરુર છે તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
એક ચોંકાવનારી બિનસત્તાવાર બાબત એવી પણ જાણવા મળી છે કે, અમુક સ્થળે રસ્તા બનતા જ નથી અને બીલ પાસ થઇ જતાં હોય છે, અમુક સ્થળે નવાનકોર રસ્તા જાણી જોઇને તોડીને ફરી તેના પર નવા બનાવીને ચોક્કસ લોકોને કમાવી દેવાનો એક રીતસરનો કારસો જ ચાલી રહ્યો છે અને આ બધુ સાચું હોય તો માત્ર શરમજનક જ નથી, પરંતુ તેની ઉંડાણપૂર્વકની તપાસ પણ થવી જોઇએ અને આવા પ્રજાના વિરુઘ્ધ કૃત્યોમાં કોના કોના મોઢા કાળા થયા છે, એ બધાને પ્રજાની સામે ખુલ્લા પાડવા જોઇએ.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની કાર્યશૈલી પઘ્ધતિ પણ લોકભોગી છે અને તેઓ સિસ્ટમમાંથી ભ્રષ્ટાચારને ઉખેડી ફેકવા માટેના અગાઉ ઘણાં સંકેતો આપી ચૂક્યા છે અને આ દિશામાં કામગીરી પણ કરી રહ્યા છે ત્યારે જરુરી છે કે મુખ્યમંત્રી પોતે ચાલબાજીપૂર્વક પૈસા બનાવવાની ચાલતી આ પ્રકારની રમતો ઉઘાડી પાડવા ખાસ ટીમને ગુપ્ત તપાસ સોપે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે.
જામનગર મહાનગરપાલિકામાં આ પ્રકારના રસ્તા તોડ કામમાં અન્ય કોઇ તોડ થયો છે કે કેમ ? તે અંગે પણ હવે ઝીણવટભરી તપાસ કરવાનો સમય આવી ગયો છે, અવારનવાર ડામર રોડ ઉપર સીસી રોડ બનાવી દેવાઇ છે, થોડા ઘણાં થીગડા મારીને રુપિયા કમાઇ લેવાના અને કોન્ટ્રાક્ટરને લાભ આપવાના કારસા પણ ઘડાઇ રહ્યા છે ત્યારે આ સમગ્ર કૌભાંડમાં મલાઇ મેળવનારાઓ સામે તપાસ કરવાની જરુર છે તેમ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application