'અમે ત્રણ દાયકા સુધી યુએસ અને પશ્ચિમી દેશો માટે આતંકી સંગઠનોને ટેકો આપ્યો: પાકિસ્તાન

  • April 25, 2025 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પહલગામમાં આતંકવાદીઓ દ્વારા 28 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે બ્રિટિશ મીડિયા સાથે વાતચીત દરમિયાન એક નિવેદનમાં સ્વીકાર્યું કે પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદને પોષી રહ્યું છે.


આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ હુમલામાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ મામલે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે આતંકવાદીઓને રક્ષણ પૂરું પાડવાની કબૂલાત કરી છે. તેમણે એક બ્રિટિશ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કબૂલી હતી. જ્યારે એન્કરે ઇન્ટરવ્યુમાં પાકિસ્તાની સંરક્ષણ પ્રધાનને પૂછ્યું કે, શું તમે સ્વીકારો છો કે પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને ટેકો આપવા, તાલીમ આપવા અને ભંડોળ પૂરું પાડવાનો લાંબો ઇતિહાસ છે?' જવાબમાં, આસિફે એક સનસનાટીભર્યા કબૂલાત કરી, 'હા, અમે છેલ્લા ત્રણ દાયકાથી અમેરિકા અને બ્રિટન સહિત પશ્ચિમ માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું, 'અમે ત્રણ દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આતંકવાદી સંગઠનોને ટેકો આપ્યો કારણ કે તે તેમની વ્યૂહરચનાનો એક ભાગ હતો.' સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ માટે પાકિસ્તાનને દોષ આપવો અયોગ્ય છે, કારણ કે તે પશ્ચિમી દેશોના નિર્દેશો પર કામ કરી રહ્યું હતું.


પહેલગામ હુમલા પછી એ નક્કી માનવામાં આવે છે કે ભારત પાકિસ્તાન સામે મોટો અને નિર્ણાયક હુમલો કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાન સરકાર પણ આ વાતથી વાકેફ છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન હવે અમેરિકા પાસે મદદ માટે વિનંતી કરી રહ્યું છે. ખ્વાજા આસિફે બ્રિટિશ ન્યૂઝ ચેનલ 'સ્કાય ન્યૂઝ' પર પહેલગામના મુદ્દા પર વાત કરતા કહ્યું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે સંપૂર્ણ યુદ્ધની સ્થિતિ છે. બંને રાષ્ટ્રો પરમાણુ શક્તિઓ છે. આવી સ્થિતિમાં, જો યુદ્ધની સ્થિતિ સર્જાય તો વિશ્વએ ચિંતા કરવી જોઈએ. તેમણે આ મામલે ટ્રમ્પના હસ્તક્ષેપની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પ વિશ્વની મોટી શક્તિઓનું નેતૃત્વ કરે છે, તેઓ ઇચ્છે છે કે ટ્રમ્પ આગળ આવે અને આ મુદ્દા પર પણ નેતૃત્વ કરે. વધુમાં, મીડિયા સાથે વાત કરતા, ખ્વાજા આસિફે કહ્યું કે કોઈપણ વિવાદ વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. પાકિસ્તાનના સંરક્ષણમંત્રીના આ નિવેદનથી ભારતનું વલણ મજબૂત બન્યું છે. ભારતે વૈશ્વિક મંચ પર હંમેશા કહેતું આવ્યું છે કે પાકિસ્તાની સરકાર આતંકવાદને સમર્થન આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application