સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાની ગતિએ પવન ફૂંકાવાની ચેતવણી, નૈઋત્યનું ચોમાસુ મુંબઈ સુધી પહોંચ્યા બાદ આગળ વધતું નથી

  • May 30, 2025 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નૈઋત્યનું ચોમાસુ આ વર્ષે વહેલું શરૂ થયું છે પરંતુ તેની ગતિમાં છેલ્લા 24 કલાકથી વિપરીત અસર જોવા મળી રહી છે. કેરળમાં નૈઋત્યના ચોમાસાએ એન્ટ્રી માર્યા પછી ગણતરીના દિવસોમાં તે ઝડપભેર છેક મુંબઈ સુધી પહોંચી ગયું હતું પરંતુ હવે મુંબઈથી આગળ વધતું નથી અને આગામી થોડા દિવસો ચોમાસાની આગળ વધવાની ગતિ ધીમી રહેવાની શક્યતા હવામાન ખાતાના નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. હવામાન ખાતાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ અત્યારે તો એક સપ્તાહ માટે જ આગાહી કરવામાં આવી છે તેમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધે તેવી સંભાવના નથી. પરંતુ હવે નવેસરથી મોનસુન સિસ્ટમ એક્ટિવેટ થવામાં કેટલો સમય લાગશે તે નક્કી નથી. જો દરિયામાં કોઈ નવી સિસ્ટમ જનરેટ થાય અને આગળ વધે તો ચોમાસાને ગતિ મળે પરંતુ નહીં તો તે ફરી ઊભું રહી જાય અથવા તો પાછું ખેંચાઈ જાય તેવી સંભાવના છે. જો આવું થશે તો રેગ્યુલર વરસાદ આવવામાં વિલંબ વધુ લંબાય અને આ માટે કોઈ ચોક્કસ સમયગાળો નક્કી ન કહેવાય તેવું પણ બને.


વહેલા ચોમાસાના કારણે ગુજરાતમાં ખેડૂતોએ આગોતરી વાવણી પણ કરી દીધી છે. પરંતુ હવે જૂન માસની 17 થી 20 તારીખ વચ્ચે જે રેગ્યુલર ચોમાસું આવવું જોઈએ તે પણ આવશે કે કેમ તે નક્કી નથી. ચોમાસુ વિલંબમાં પડવાના કારણે ખેડૂતોની અને કૃષિ ક્ષેત્રની મુશ્કેલીમાં ઘણો વધારો થવાની ભીતિ છે.


હવામાન ખાતાના નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે આજે દેશના અનેક રાજ્યોમાં વરસાદ છે પરંતુ આવતીકાલથી વરસાદ વાળા રાજ્યોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થતો જશે અને મહારાષ્ટ્રની બોર્ડર પર ચોમાસુ અટકી પડ્યું છે અને દેશના અનેક રાજ્યોમાંથી પણ ચોમાસું પાછું ખેંચાઈ જાય તેવું જણાઈ રહ્યું છે.


હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ નૈઋત્યનું ચોમાસુ કેરળમાં બેસી ગયા પછીના ત્રણથી ચાર દિવસમાં જ બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ ઊભી થઈ હતી. આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધવાના બદલે બાંગ્લાદેશ તરફ ગતિ કરતા નૈઋત્યના ચોમાસાને આગળ વધવામાં અવરોધ ઊભો થયો છે. અત્યારે બંગાળની ખાડીની આ સિસ્ટમ બાંગ્લાદેશના તન્ગાઈલ અને ભારતના બહેરામપુરા વચ્ચે છે. 24 કલાકમા તે વેલમાર્ક લો પ્રેસરમાં પરિવર્તિત થશે.


ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં સામાન્ય ઝાપટા પડ્યા છે. ક્યાંય પૂરો એક ઈંચ પણ વરસાદ થયો નથી. સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં 24 મીલીમીટર નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં લીંબડી, ભાવનગરમાં માત્ર એક થી ત્રણ મિલીમીટર વરસાદ પડ્યો છે.


હવામાન ખાતાના બુલેટિનમાં પણ હવે ગુજરાતમાં વરસાદ માટે કોઈ આગાહી કરવામાં આવી નથી. પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી તારીખ 2 જૂન સુધી પ્રતિ કલાકના 45 થી 60 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફુકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. માછીમારોને આગામી તારીખ ત્રણ જૂન સુધી ગુજરાત ઉપરાંત તમિલનાડુ આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળના દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application