૩૭ પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ: ર૩ વિજ ફીડરો બંધ થઈ ગયાં: હાપામાં જલારામ મંદિરે ૧૧૧ રોટલાંનો અન્નકોટ યોજાયો: યુવા હૈયાઓએ બ્યૂગલ સાથે મકર સંક્રાંતિની મોજ માણી: ઠેર-ઠેર ગરીબોને નાસ્તો અને ભોજન તેમજ પશુઓને નિરણ અને લાડવા અપાયા
જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઈકાલે સંક્રાંતિના પવિત્ર પર્વની હરખભેર ઉજવણી થઈ હતી, ગઈકાલે સારો પવન હોવાના કારણે પતંગ રસિયાઓને મોજ પડી ગઈ હતી. ઠેર-ઠેર દાનનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજન તથા પતંગોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ૩૭ પક્ષીઓ પતંગના દોરાના કારણે ઘાયલ થઈ ગયાં હતાં, બે બાળકો સહિત પાંચને ઈજા પણ પહોંચી હતી. પીજીવીસીએલની ૭૦ ટૂકડીઓ સતત પેટ્રોલિંગ કરી રહી હતી અને ર૩ ફીડર બંધ થઈ ગયાં હતાં. જિલ્લા પોલીસ વડાએ પોલીસ પરિવાર સાથે હેડકવાર્ટર ખાતે પતંગની મોજ માણી હતી જ્યારે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે ગાય માતા માટે ગૌચારા અન્નકોટ અને ૧૧૧ રોટલાનો અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો.
ગયા વખત કરતાં આ વર્ષે પતંગ અને દોરા ર૦થી રપ ટકા મોંઘા હોવા છતાં છેલ્લા ૩ દિવસ જામનગરની બજારોમાં ધૂમ વેંચાણ થયું હતું, છાનેખૂણે ચાઈનીઝ દોરા અને ફિરકીનું પણ વેંચાણ થયું હતું. યુવા હૈયાઓએ ગઈકાલે ઊંધિયું-પુરી, ચીક્કી, શેરડી, ઝીંઝરાની અગાશી ઉપર જઈને મોજ માણી હતી. ગ્રુપમાં લોકો અગાશી અને મેદાનમાં એકઠાં થયાં હતાં અને જામનગર સહિત કાલાવડ, ખંભાળિયા, દ્વારકા, જામજોધપુર, કલ્યાણપુર, ધ્રોલ, જોડિયા, ભાણવડ, લાલપુર સહિતના ગામોમાં એ કાપ્યો છે.. ના નાદ સાથે સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી.
ગઈકાલે સારો પવન હોવાથી પતંગ રસિકોએ ઠેર-ઠેર બ્યૂગલ વગાડી લોકોનું ધ્યાન દોર્યું હતું. મોડી રાત સુધી અગાશીમાંથી લોકો તુક્કલ ઉડાડતાં હતાં. તળાવની પાળ, ભીડભંજન મંદિર, ડીકેવી કોલેજ, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની જગ્યાઓએ લોકોએ દાન-પૂન કર્યું હતું અને ગરીબોને વસ્ત્રો પણ આપ્યા હતાં. ગૌશાળા અને ઠેક ઠેકાણે ગાય માતાને ઘાંસચારો, નિરણ અને લાડવા ખવડાવવામાં આવ્યા હતાં. દર વર્ષે જલારામ બાપાના મંદિરમાં હાપા ખાતે સંક્રાંતિની ઉજવણી કરાય છે. ગઈકાલે ૧૧૧ પ્રકારના રોટલાંનો અન્નકોટ પણ ધરવામાં આવ્યો હતો ત્યારબાદ શ્રીનાથજીની ઝાંખીમાં પણ લોકોએ ઉત્સાહથી લાભ લીધો હતો.
અવાર નવાર પતંગની દોરી થાંભલામાં ફસાઈ જતાં પીજીવીસીએલના ર૩ ફીડરો બંધ થઈ ગયાં હતાં, સતત ૭૦ કર્મચારી-અધિકારીઓની ટીમ દોડતી હતી, સદ્ભાગ્યે જાનહાનિના અહેવાલો મળ્યા નથી. ધરારનગર, નંદન પાર્ક, રણજીત વીલા ફીડર, રામવાડી, ટીટોડી વાડી, મોમાઈનગર, ભીમવાસ, બાલાજી પાર્ક, બેડી રોડ, સુભાષ બ્રીજ સહિતના અન્ય ફીડરો બંધ થઈ ગયાં હતાં અને સ્પાર્ક થવાના બનાવો પણ બન્યા હતાં.
પોલીસ પરિવાર માટે ગઈકાલે આનંદનો દિવસ હતો. એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અધિકારીઓએ હડકવાર્ટરમાં પતંગોત્સવ યોજ્યો હતો. ગામે-ગામ ગઈકાલે સંક્રાંતિની ભવ્ય ઉજવણી કરી હતી અને કેટલાંક લોકો આજે સંક્રાંતિનું પર્વ મનાવી રહ્યાં હોવાનું પણ જાણવા મળે છે.
હવે આજથી શુભકાર્યોની શરુઆત થઈ જશે, લગ્ન પ્રસંગ, વાસ્તુ પૂજન સહિતના શુભકાર્યો આજથી થશે ત્યારે ગઈકાલે યુવા હૈયાઓએ મન મૂકીને સંક્રાંતિની મોજ માણી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech