અનોખો રીવાજ : પુત્રો અને પૌત્રો સાથે મળીને કરાવે છે કુંવારા દાદા-દાદીના લગ્ન

  • May 04, 2023 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ તો તમે સાંભળ્યુ હશે કે, કોઈએ લગ્ન આધેડ વયે કર્યા હશે અને કોઈએ પચાસી વટાવીને કર્યા હશે. તો કોઈએ સાંઈઠી વટાવીને કર્યા હશે. પરંતુ એ લગ્ન કરવાનુ કારણ પણ એ કે એક બીજાની સંભાળ અને હૂંફ રાખનાર મળી રહે. પરંતુ એવુ સાંભળ્યુ છે ક્યારેય કે કોઈ વૃદ્ધ જોડી લગ્ન કર્યા વિના સાથે રહી હોય. સંસાર લાંબો પહોળો ફેલાયો હોય અને બાદમાં લગ્ન થયા હોય? જવાબ તમારો ના હશે, પરંતુ હા આવુ થયુ છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં અનોખા લગ્ન યોજાયા હતા. 70ની ઉંમર વટાવી ચુકેલા કુંવારા દાદા-દાદીને તેમના પુત્રો અને પૌત્રોએ લગ્ન કરાવ્યા હતા.

દાદા અને દાદીના લગ્ન હોય અને પુત્રો અને પૌત્રો સાથે મળીને ધામધૂમ થી નાચતા હોય આવા દૃશ્યોની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ આવા દૃશ્યો સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યા છે. પોશીના તાલુકામાં એક વૃદ્ધ જોડીના લગ્ન થયા છે.


પોશીના તાલુકાના ગામના એક 70 વર્ષના દાદા-દાદીના લગ્ન યોજાયા હતા. આ જોડી વર્ષોથી સાથે જ રહેતી હતી. બંને એક બીજાના સુખ દુઃખમાં સાથે ઉભા રહીને જીવન પસાર કર્યુ હતુ. લગભગ પચાસેક વર્ષનો સાથ નિભાવ્યો હતો. જોકે સમય જતા હવે બંનેએ લગ્ન કર્યા છે. જેતે સમયે પાંચેક દાયકા અગાઉ બંનેએ સમાજ અને પરીવારને નારાજ કરીને અલગ રહ્યા હશે. પણ એવુ જરાય નથી. વર્ષો પહેલા આ જોડી એટલે કે કેસરાભાઈ ગમાર અને મંગુબેન ગમાર સામાજીક રીત રીવાજ મુજબ જ જોડાયા હતા. બસ ખાલી લગ્ન જ બાકી હતા. બંનેના પરીવારે જેતે સમયથી સામાજીક રીત મુજબ જ બંનેને એક બીજા સાથે જોડ્યા હતા અને બંને સાથે રહેવા લાગ્યા હતા.



કેસરાભાઈ અને મંગુબેનનો પરીવાર ધીરેધીરે મોટો થવા લાગ્યો હતો. પુત્રો અને બાદમાં પૌત્રોનો પ્રેમ મેળવવાનુ સુખ શરુ થયુ હતુ. પરીવારે પણ હવે દાદા અને દાદીને લગ્ન કરવાનુ નક્કી કર્યુ અને એ મુજબ તેઓએ ચોઘડીયા જોવાડાવ્યા અને દાદાની જાન દાદીના ઘર માટે જોડી અને લગ્ન ધામ ધૂમ થી લેવાયા. સૌ સગા સંબંધી સૌ કૌઈ હાજર રહ્યા હતા. અને દાદા દાદીના બાકી રહેલા લગ્ન પૂરા થયા હતા. અશક્ત વૃદ્ધ માતાને પુત્રએ તેડીને ફેરા પિતા સાથે ફરાવ્યા હતા. અહીં પીઠીની રસમ થી લઈને એ બધુ જ હતુ, જે સામાન્ય રીતે લગ્નમાં હોય છે. ડીજેના તાલનુ પણ જબરદસ્ત આયોજન કરવામાં આવ્યુ હતુ. લગ્નમાં 10 પુત્રો અને 50 જેટલા પૌત્રો અને પોત્રીઓ નાચ્યા હતા અને મન મૂકીને લગ્નનો આનંદ માણ્યો હતો.


સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં અનોખો રિવાજ છે. આ રિવાજ ધરાવતા ગામડા બનાસકાંઠા અને રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં પણ આવેલા છે. આ વિસ્તારમાં લગ્ન કર્યા વિના જ પતિ પત્નિની જેમ જોડીઓ રહેતી હોય છે. સમય જતા આ જોડી આર્થિક સગવડ કે સામાજીક અનુકૂળતા આધારે લગ્નની તારીખ નક્કી કરતા હોય છે. જેમાં મોટેભાગે સંતાનો થયા બાદ આ લગ્ન થતા હોય છે. કેટલીક વાર 7 સંતાનોના માતા પિતાના અને 9 સંતાનના માતા પિતાના લગ્ન પણ અહીં જોવા મળ્યા છે. લગ્નની રીત રસમ બધી જ સામાન્ય હોય છે અને જાન જોડવા થી લઈને ફેરા ફરવા અને જમણવાર પણ રાખવામાં આવતા હોય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application