પાકિસ્તાન કનેક્શનની શંકાએ રાજકોટમાંથી બે શખ્સને ઉઠાવી લેવાયા, બંને ઇમિટેશનના કારીગર, મોબાઈલમાં FSLમાં મોકલાયા

  • May 09, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ભગવતીપરા વિસ્તારમાં સુખસાગર સોસાયટી શેરી નંબર 4 માં રહેતા અને ઈમીટેશનનું કામ કરનાર બે શખસોને બી ડિવિઝન પોલીસે સોશિયલ મીડિયામાં મારફત પાકિસ્તાન સાથે કનેક્શનની શંકાએ ઉઠાવી લેવામાં આવ્યા છે. પોલીસે આ બંને શખસો અંગે તપાસ કરતા બંને પશ્ચિમ બંગાળના વતની હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસ દ્વારા બંને શખસો પાસેથી કબજે લેવામાં આવેલા મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. મોબાઇલમાં શંકાસ્પદ ચેટ કે અન્ય કોઈ શંકાસ્પદ સાહિત્ય મળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.


જાણવા મળતી વિગતો મુજબ, ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટી શેરી નંબર 4 માં રહેતા અને ઈમીટેશનનું કામ કરનાર બે શખસો સોશિયલ મીડિયા મારફત પાકિસ્તાન સાથે સંપર્કમાં હોવાની માહિતી પોલીસને મળતા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એસ.રાણેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.ચૌધરી તથા ટીમે ભગવતીપરા વિસ્તારમાં સઘન તપાસ કરી બાદમાં આ બંને શખસોને ઉઠાવી લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પ્રથમ આ બંને શખસો ભારતના નાગરિક છે કે કેમ? તે બાબતે તપાસ કરવામાં આવી હતી. બંને પશ્ચિમ બંગાળના વતની પવન માલુમ પડતા તેમના વતનમાં પણ આ બાબતે ખરાઈ કરી હતી જેમાં આ બંને પશ્ચિમ બંગાળના જ વતની હોવાનું સ્પષ્ટ થયું હતું.


બંને શખસો અહીં ઇમિટેશનનું મજૂરી કામ કરતા હતા આ બંને શખસો પૈકી એક છેલ્લા છ વર્ષથી અહીં રાજકોટમાં રહેતો હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે અન્ય શખસના માતા બીમાર હોય જેથી રોજગારી માટે તે છેલ્લા થોડા સમયથી અહીં રાજકોટ આવ્યો હોવાનું માલુમ પડ્યું છે. પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ બાબત જણાઇ આવી નથી.


પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, બંને શખસો સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન સાથે સંપર્કમાં હોવાની માહિતી મળી હોય જેથી આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ હાલ બંને પાસેથી મોબાઇલ કબજે લેવામાં આવ્યા છે અને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. એફએસએલ તપાસ દરમિયાન આ બંને શખસો સોશિયલ મીડિયા મારફત પાકિસ્તાનના કોઈ ગ્રુપ સાથે સંપર્કમાં હતા કે કેમ અને તેઓ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે કે દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે કેમ? સહિતની બાબતો જાણી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છ કે, હાલમાં સરહદ પર તણાવભરી સ્થિતિ વચ્ચે દેશભરમાં એલર્ટ છે. ગુજરાત રાજયના પોલીસ વડા દ્વારા તમામ જિલ્લાના એસ.પી અને શહેરના પોલીસ કમિશનરને ખાસ તકેદારી રાખવા સુચના આપી દેવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનરે તમામ થાણા અધિકારીઓને તેમના વિસ્તારમાં કોઇપણ શંકાસ્પદ બાબત જણાઇ તો અંગે તપાસ કરી રિપોર્ટ કરવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application