‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’

  • May 02, 2025 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના સોઢાણા ગામે ઢેલના મૃતદેહ સાથે અડવાણાના બે શખ્શોને શંકાસ્પદ હાલતમાં ગ્રામજનોએ પકડીને પોલીસને સોંપ્યા બાદ તે અંગેની જાણ વનવિભાગને કરવામાં આવતા પી.એમ.ની કાર્યવાહી સહિત તપાસ હાથ ધરવામાં આવી હતી તો બીજી બાજુ પકડાયેલા બંને શખ્શોએ એવી કબુલાત આપી હતી કે તેઓ ઢેલને શાક કરવા માટે લઇ જતા હતા તેથી તેઓએ શિકાર કર્યો છે કે કેમ સહિતની વિગતો બહાર લાવવા એક દિવસના રીમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે.


પોરબંદર નજીકના સોઢાણા ગામે બપોરના સમયે બે ઇસમો એક કોથળામાં ઢેલનો મૃતદેહ લઇને નીકળ્યા ત્યારે ગ્રામજનોએ તેમને ઘેરી લીધા હતા અને કોથળામાંથી ઢેલનો મૃતદેહ કાઢયા બાદ તેના શરીર ઉપર ઇજાના નિશાન જણાયા હોવાથી આ રાષ્ટ્રીયપક્ષીને આ બંને શખ્શોએ મોતને ઘાટ ઉતાર્યું હોવાની શકયતા જણાતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. 


ઢેલ ઇજાગ્રસ્ત થઇ હોવાથી તેને લઇને જતા હતા તેમ જણાવ્યું હતું

બગવદર પોલીસમથકની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઇ હતી અને પૂછપરછ કરતા  ભુપત રવજી સોલંકી અને ધમા કુરજી પરમાર એ બંને શખ્શો અડવાણા ગામે રહેતા હોવાનુ કબલ્યુ હતુ અને પોલીસે આ બાબતમાં વનવિભાગને જાણ કરતા જંગલખાતાની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઇ હતી અને ઢેલના મૃતદેહનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પ્રાથમિક પૂછપરછમાં તે બંને શખ્શો પોતાનો બચાવ કરી રહ્યા હતા અને ઢેલ ઇજાગ્રસ્ત થઇ હોવાથી તેને લઇને જતા હતા તેમ જણાવ્યું હતું.


ઢેલનું શાક કરવા માટે લઈને જતા હતા

પરંતુ જો ઢેલ ઇજાગસ્ત હોય તો આ રીતે કોથળામાં પૂરીને શા માટે લઈ જવામાં આવતી હતી? તેવા સવાલો ઉપસ્થિત થયા હતા તથા પૂછપરછમાં એવી કબુલાત આપી હતી કે તે ઢેલનું શાક કરવા માટે લઈને જતા હતા. માટે જો તેમણે શિકાર કર્યો ન હોય તો પણ રાષ્ટ્રીયપક્ષીને આ રીતે ભોજન માટે લઈ જઈ શકાય નહીં. તે મુદા ઉપર તેના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને તેમણે શિકાર કર્યો હતો કે કેમ? સહિતની વિગતો બહાર લાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application