ઓખાના રેલવે સ્ટેશનમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડયો

  • August 14, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકાના ઓખા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી ગત તારીખ ૧૧ ઓગસ્ટના રોજ એક અજાણ્યા પુરુષનો સાંપળ્યો હોવા અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. આશરે ૪૦ વર્ષના આ હિન્દુ પુરુષના મુતદેહનું પોસ્ટમોર્ટમ કરી, હાલ દ્વારકાની સરકારી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. આ અજાણ્યા યુવાનના મૃતદેહ સંદર્ભે દ્વારકા રેલવે પોલીસે મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.
**
દ્વારકા જિલ્લામાં હૃદયરોગના કારણે વધુ બે અપમૃત્યુ: સોનારડી ગામમાં યુવાન અને ફતેપુરમાં વૃઘ્ધના ભોગ લેવાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હૃદયરોગના કારણે વધુ બે અપમૃત્યુના બનાવ સામે આવ્યા છે જેમાં સોનારડી ગામમાં યુવાન અને ફતેપુરમાં વૃઘ્ધના ભોગ લેવાયા છે, નાની ઉમરે હૃદયરોગના હુમલાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે.
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા હિતેન્દ્રસિંહ નવલસંગ જાડેજા નામના ૩૫ વર્ષના યુવાન ગઈકાલે રવિવારે તેમના ઘરે હતા, ત્યારે તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ રઘુવીરસિંહ નવલસંગ જાડેજાએ અહીંની પોલીસને કરી છે.
ભાણવડ તાલુકાના ફતેપુર ગામની સીમમાં મૂળ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વતની એવા જશુબેન ભૂલાભાઈ રાઠોડ નામના ૫૨ વર્ષના શ્રમિક પરિવારના હળપતિ મહિલાને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પતિ ભુલાભાઈ સુકાભાઈ રાઠોડએ ભાણવડ પોલીસને કરી છે.
**
મેઘપર ગામમાં યુવાનને બાથરુમમાં હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ
જામનગર જિલ્લામાં હૃદય રોગના હુમલા કારણે મૃત્યુ ના બનાવમાં વધારો થયો છે, અને મેઘપર ગામમાં એક પરપ્રાંતિય યુવાનને બાથરૂમમાં હૃદયરોગનો હુમલો આવી ગયો હતો, અને અપ મૃત્યુ થયું છે.
મૂળ પંજાબ રાજ્યના અમૃતસરના વતની અને લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સવિન્દરસિંગ મુખ્તારસિંગ શીખ નાના ૩૫ વર્ષના પંજાબી યુવાનને ગઈકાલે પોતાના ઘેર બાથરૂમમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.
 આ બનાવ અંગે ભૂપતસિંહ પુંજાજી કંચવાએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
**
દરેડમાં શ્રમિક યુવાનનું વીજ આંચકો લાગતા મૃત્યુ
જામનગર તાલુકાના દરેડમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના પર પ્રાંતિય શ્રમીક યુવાનને એક કારખાનામાં પાણીની મોટર ચાલુ કરવા જતી સમયે વીજ આંચકો લાગ્યા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહીને એક બ્રાસપાટના કારખાનામાં મજૂરી કામ કરતા સ્વામિનાથ રામ અવતાર વર્મા નામના ૩૧ વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાનને પોતાના જીઆઇડીસી ફેસ-૩, પ્લોટ નં. ૩૭૨૦ ખાતેના કારખાનામાં ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતી વેળાએ એકાએક વિજ આંચકો લાગ્યો હતો.
જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી એક મહિનાની સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે શ્રી ફેરન લાલ બાલકરામ વર્મા એ પોલીસને જાણ કરતાં પંચકોશી બી.ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application