ચાર દિવસમાં ૩૧૫ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાયા બાદ આજે બાકી વધેલી બે ધાર્મિક સ્થળ સહિત ૩૫ મિલકતો તોડી પાડવા કાર્યવાહી થશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારથી સ્વામિનારાયણનગરથી ગાંધીનગર સુધીના માર્ગે ૧૨ મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરીનો પ્રારંભ કરાયો હતો, ગઈકાલ સુધીમાં ૩૧૫ મિલકતો તોડી પાડવામાં આવી હતી જ્યારે આજે બાકી રહેલી ૩૫ મિલકતોમાં પાડતોડ કરવામાં આવશે.
જામનગરના સ્વામિનારાયણનગરથી નવાગામ ઘેડ સુધી ૩.૫ કી.મીનો વિસ્તાર કે જેમાં ૩૩૧ મિલકત ધારકોને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી અને તેના ભાગરૂપે મેગા ડીમોલેસન હાથ ધરવામાં આવ્યું છે અને પ્રથમ દિવસે ૧૧૧ મિલકતોમાં માર્કિંગ કરાયેલી જગ્યા સુધીનું ડીમોલેશન કરી લેવામાં આવ્યું હતું. ગઇકાલે ૬૦ જેટલી મિલ્કતો ઉપર જામ્યુકોનું બુલડોઝર ફરીવળ્યું હતું તેમાં કેટલીક દુકાનો અને મકાનોનો સમાવેશ થાય છે, આજ સવારથી મચ્છરનગર, શાંતિનગર સહિતના વિસ્તારોમાં પાડતોડ કરવામાં આવી રહી છે, ૧૦ જેસીબી, ૨ હીટાચી, ૧૦ ટ્રેકટર, કોર્પોરેશનનના ૧૦૦ કર્મચારીઓ, ૫૦થી વધુ પોલીસના કર્મચારીઓ આ ડીમોલીશન ઓપરેશનમાં જોડાયા છે.
ચાર દિવસથી મેગા ડીમોલીશનની કામગીરી થઇ રહી છે જેમાં મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, આસી.કમિશ્નર ભાવેશ જાની, એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા સહિતના સ્ટાફે પીજીવીસીએલ, ડોકટરોની ટીમ, એમ્બ્યુલન્સ વાન, લેબર માટેનો સ્ટાફ સાથે રાખીને સવારથી કામગીરી શ કરી છે. મ્યુ.કમિશ્નર અને જિલ્લા પોલીસ વડા જામનગરના આ સૌથી મોટા મેગા ડીમોલીશનની કામગીરી થઇ રહી છે તેમાં સવારથી સાંજ સુધી ચાંપતી નજર રાખી રહ્યા છે, કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પુરી તૈયારી કરવામાં આવી છે.
ત્યારબાદ રવિવાર-સોમવાર અને મંગળવારે પણ સવારથી ડિમોલીશન અવિરત ચાલુ રાખવામાં આવ્યું હતું અને આજે બાકી વધેલી ૩૫ જેટલી મિલકતોમાં પાડતોડની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે જેમાં પણ તમામ મશીનરી કામે લગાડવામાં આવી છે અને એકંદરે શાંતિ પૂર્ણ રીતે ડિમોલેશન કાર્ય ચાલી રહ્યું છે.
ગઈકાલે ચોથા દિવસે પણ આ ડિમોલિશનની કામગીરી યથાવત રીતે ચાલુ રાખવામાં આવી હતી, ૬૦ મિલકતો તોડવામાં આવી હતી જયારે આજે બુધવારે બાકી ૩૫ મિલકતોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. આમ અત્યાર સુધીમાં ૩૧૫ મિલકતોમાં પાડતોડ પૂર્ણ કરી લેવામાં આવી છે અને બાકી રહેલી અધુરી કામગીરી આજે જુદી જુદી ચાર ટીમોને દોડાવીને પૂર્ણ કરાવવામાં આવી રહી છે.
બે ધાર્મિક સ્થળોમાં સ્થાનિકો દ્વારા સ્વયંભૂ જગ્યા ખોલી કરાવવાની બાંહેધરી...
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં તેમજ રામેશ્વરનગર વિસ્તારમાં ડીપી રોડની કપાતની કામગીરી દરમિયાન બે ધાર્મિક સ્થળો આવી જાય છે. આ મિલકત જ્યાં પણ કપાત કરવાની હોવાથી બંને ધાર્મિક સ્થળના સંચાલકો-વ્યવસ્થાપકો વગેરેને નોટિસ પાઠવી દેવામાં આવી હતી. જેમાં બંને ધાર્મિક સ્થળો ને સ્વયંભૂ રીતે દૂર કરવા માટેની કામગીરી કરી લેવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જેથી તંત્રએ બંને ધાર્મિક સંસ્થાના વ્યવસ્થાપકોને પૂરી તક આપી છે અને આજ સાંજ સુધીમાં બંને ધાર્મિક સ્થળોની જગ્યા ખાલી કરવાની કામગીરીને અનુરૂપ ખુલ્લી કરી દેવાનું અલ્ટીમેટમ અપાયું છે. જે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકાની ટીમ જાતે જ ઉપરોક્ત ધાર્મિક સ્થળ વાળી જગ્યાને ખુલ્લી કરાવશે તેમ જાણવા મળી રહ્યું છે.