રાજકોટમાં સીજીએસટી કચેરીમાં જીએસટી નંબર અને ખોટા બિલો અંગે ગયેલી અરજીનો કેસ હળવો કરી પતાવટ કરવા ૨૦ લાખની લાંચના ગુનામાં ઝડપાયેલા સેન્ટ્રલ જીએસટીના કલાસ વન અધિકારી અને વચેટિયા ટેક્સ કન્સલ્ટન્ટને સ્પેશિયલ અદાલત દ્વારા ૩૬ કલાકના રિમાન્ડ મંજૂર કરી એસીબી પોલીસને સોંપવામાં આવ્યા છે. આ અંગેની હકિકત મુજબ, ફરીયાદી ધનેશકુમાર પારેખ સામે જી.એસ.ટી. નંબર ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે અરજી થઈ હતી. આ અરજીમાં કોઈ મોટો કેસ નહીં કરવાના અવેજ પેટે સી. જી.એસ.ટી. સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશકુમાર મનબોધકુમારે આ.૨૫ લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં રૂા. ૨૦ લાખમાં સેટલમેન્ટ કરેલું હતું અને આ રકમ ટેક્ષ કન્સલટન્ટ આકાશ રમેશભાઈ કલોલીયાને આપી દેવા જણાવેલ. આ લાંચ ધનેશ પારેખ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી, એસીબી દ્વારા તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ ગોઠવાયેલા છટકામાં અધિકારી વતી કન્સલ્ટન્ટ આકાશે રૂા. ૨૦ લાખની લાંચની રકમ સ્વીકારેલ હતી, જેથી એ.સી.બી.એ બંને આરોપીઓ વિરુધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરી રિમાન્ડની માંગણી કરી હતી. તેમાં બંને આરોપીઓના વકીલે ત રિમાન્ડ અરજી નામંજુર કરવા રજુઆતો કરવામાં આવેલ હતી. જે સામે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, બંને આરોપીઓએ પોતાના કે પોતાના પરિવારના નામે શું શું મિલકતો છે તે જણાવેલ નથી. આ ઉપરાંત સી.જી.એસ.ટી.ના વર્ગ-૧ ના અધિકારી ૨૦ લાખની રકમ તેમના વતી સ્વીકારવા માટે કોઈ કન્સલ્ટન્ટને પસંદ કરે તે હકિકત સ્પષ્ટપણે સુચિત કરે છે કે ભુતકાળમાં આ મુજબના ઘણા વ્યવહારો પાર પાડવામાં આવેલ છે. આ કારણે આ અધિકારીની મિલકતો અંગેની ઉંડાણપુર્વક તપાસ કરવા તેમની હાજરીની જરૂર છે. આ તમામ દલીલોને અંતે ખાસ અદાલતના જજ શ્રી ટી.એસ. બ્રહમભટ્ટ બંને આરોપીઓને ૩૬ કલાકના એસીબી પોલીસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કરેલ છે. આ કેસમાં શ્રી સરકાર વતી જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા છે.