ભગત ખીજડીયામાં ત્રાસથી કંટાળીને પતિનો આપઘાત

  • July 07, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મરી જવા માટે મજબુર કર્યાની મૃતકની પત્ની સામે ફરીયાદ

કાલાવડના ભગત ખીજડીયા ગામમાં પત્નીના અવાર નવારના ઝઘડા અને ત્રાસથી કંટાળીને પતિએ કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ છે, આ બનાવ સામે આવતા મૃતકના પત્ની સામે આપઘાતની દુષ્પ્રેરણા આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામમાં રહેતા, ખેતીકામ કરતા રતીલાલ ગોવિંદભાઇ ફળદુ (ઉ.વ.૬૦) નામના વૃઘ્ધે ગઇકાલે ગ્રામ્ય પોલીસમાં ભગત ખીજડીયા ખાતે રહેતી રીટાબેન પરસોતમ ફળદુની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૬ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના ભાઇ પરસોતમભાઇની પત્ની રીટાબેન પરસોતમભાઇની સાથે અવાર નવાર નાની નાની બાબતમાં ઝઘડો કરતી અને પરિવારથી અલગ રહેવાની જીદ કરતી હતી જેથી પરસોતભાઇ આશરે એકાદ વર્ષ પહેલા રાજકોટ રહેવા ચાલ્યા ગયા હતા, અને ત્યાં પણ તેણીએ પતિ સાથે બોલાચાલી કરતા પરસોતભાઇ તેનાથી કંટાળીને પરત પોતાના ગામ આવતા રહયા હતા.
તેમના ઘરે આવીને ફરી રીટાબેન પતિ સાથે અવાર નવાર ઝઘડો કરતી હતી અને જમવાનું પણ આપતા ન હોય દરમ્યાન તેણીને છુટા છેડા આપવાનું કહેતા રીટાબેને તેમની પાસે વધારે રુપીયાની માંગણી કરતા હતા, પતિ પાસે વધારે રુપીયા ન હોય જેથી તેઓ પત્ની રીટાબેનના ત્રાસથી કંટાળી જઇ સ્યુસાઇડનોટ લખીને પોતાની મેળે ભગત ખીજડીયા ગામના મોહનભાઇ પટેલની વાડીમાં આવેલા કુવામાં પડી જઇ ડુબી જતા પોતાનું જીવન ટુંકાવી લીધુ હતું.
ઉપરોકત ફરીયાદના આધારે કાલાવડના પીએસઆઇ એચ.વી. પટેલ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, પત્નીના ત્રાસના કારણે આપઘાતનો બનાવ સામે આવતા કાલાવડ વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.
**
ગોરધનપરમાં યુવતિએ ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી: માતા-પિતા અલગ રહેતા હોય જેનું લાગી આવતા પગલુ ભર્યુ
જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં એક યુવતિએ ગઇકાલે ગળાફાંસો ખાઇને જીવતર ટુંકાવી લીધુ હતું, માતા-પિતા અલગ રહેતા હોય જે વાતનું મનોમન લાગી આવતા આ પગલુ ભરી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.
ગોરધનપર ગામમાં રહેતી શિલ્પાબેન સુખાભાઇ પરમાર (ઉ.વ.૨૨) નામની યુવતિ ગઇકાલે ઘરે એકલી હતી ત્યારે દરવાજો અંદરથી બંધ કરી રુમમાં લાકડાની આડસમાં રસ્સી વડે ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ થયુ હતું.
આ અંગે ગોરધનપર ગામમાં રહેતા ડ્રાઇવીંગ કરતા સુખા રઘુભાઇ પરમારએ સિકકા પોલીસમાં જાણ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે તેઓ ગઇકાલે કામધંધે ગયા હતા અને તેની દિકરી શિલ્પા ઘરે એકલી હતી, મરણજનારના માતા પિતા એકબીજાથી અલગ રહેતા હોય જે વાત તેણીને મનોમન લાગી આવતા આ પગલુ ભરી લીધુ હતું. આ વિગતોના આધારે સિકકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application