સ્યૂસાઈડ કેપિટલ રાજકોટ: ત્રણ યુવક-વૃધ્ધાએ જિંદગી ટૂંકાવી

  • March 19, 2025 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રાજ્યનું સ્યુસાઇડ કેપિટલ બન્યું હોય તેમ દિવસને દિવસે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે, ગત વર્ષમાં 900થી વધુ લોકોએ આત્મહત્યા કરી હોવાના આંકડા સામે આવ્યા છે. જેમાં યુવાવયની સંખ્યા વધુ છે. ગઈકાલે વધુ ચાર આપઘાતના બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં ભગતસિંહ ગાર્ડન નજીક આવાસ ક્વાર્ટરમાં રહેતા 30 વર્ષીય નેપાળી યુવકે ગુહક્લેશથી કંટાળી,સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે બાલમુકુન્દ એપાર્ટમેન્ટમાં રહેતા  25 વર્ષીય યુવકે, ગુરુપ્રસાદ ચોકમાં 25 વર્ષીય યુવક અને અયોધ્યા ચોકમાં યોગરાજ નગર-2માં વૃધ્ધાએ સળગી જઈ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. આપઘાતના વધતા બનાવ સતત ચિંતાનો વિષય બની રહ્યા છે. 

ત્રણ માળિયા આવાસ ક્વાર્ટરમાં ગૃહ ક્લેશથી કંટાળી યુવકનો આપઘાત

યુનિવર્સીટી રોડ પર આકાશવાણી ચોક નજીક ભગતસિંહ ગાર્ડન પાસેના ત્રણ માળિયા આવાસ ક્વાર્ટરમાં રહેતો ચક્રબહાદુર ડબલસિંહ વિશ્વકર્મા (ઉ.વ.30) નામના યુવકે ઘરે રૂમમાં પંખાના એંગલમાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 

મૃતકના મામા ચંદનસિંહના કહેવા મુજવ ભાણેજ મહિના પહેલા જ પત્ની અને પુત્રીઓ સાથે રાજકોટ આવ્યો હતો અને હોળીનો તહેવાર હોવાથી ઘરે આવ્યો હતો ત્યારે પોતાને રાજકોટ રેહવું નહતું તેમ કહેતો હતો. અને તેનો ભાઈ તેડવા માટે આવવાનો હતો. કાલે પત્ની કરિયાણું લઇ ઘરે આવતા રૂમ બંધ હોય ખટખટાવવા છતાં પતિ ખોલતા ન હોવાથી પાડોશીને જાણ કરતા આજુબાજુ રહેતા રહેવાસીઓ આવી ગયા હતા અને દરવાજો તોડી જોતા પતિ લટકતો હતો. તાકીદે કોઈએ 108ને જાણ કરતા 108ના ઇએમટીએ સ્થળ પર પહોંચી જોઈ તપાસી યુવકને મૃત જાહેર કરતા ગમગીની છવાઈ હતી. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ ડી.બી.કારેથા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર યુવક મૂળ નેપાળનો વતની હતો અને મહિનો થયે જ રાજકોટ પત્ની અને બાળકો સાથે રહેવા આવ્યો હતો અને પોતે ચોકીદારીનું કામ કરતો હતો. દંપતી વચ્ચે નાની નાની વાતમાં ઝગડો થતો હોય ગઈકાલે પત્ની કરિયાણું લેવા બહાર જતા પાછળથી પગલું ભરી લીધું હતું. યુવકના મોતથી બે પુત્રીઓએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.       

યોગરાજનગરમાં શ્વાસની બીમારીથી કંટાળી વૃધ્ધાનો સળગી જઈ આપઘાત

150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યાચોક નજીક યોગીનગર-2માં રહેતા કુંવરબેન ગોવિંદભાઇ રમેડ (ઉ.વ.90) નામના વૃધ્ધાએ ગત રાત્રીના ઘરે બાથરૂમમાં જઈ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી હાથે દીવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લીધું હતું. પરિવારજનો ઉપરના રૂમમાં સુતા હતા દરમિયાન દેકારો થતા નીચે આવી જોતા વૃધ્ધાને સળગતી હાલતમાં જોઈ બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ વૃધ્ધા ભડથું થઇ ગયા હતા. તાકીદે 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા યુનિવર્સીટી પોલીસ દોડી આવી હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. વૃધ્ધાને   શ્વાસની બીમારી હોય જેની દવા પણ ચાલુ હતી બીમારીથી કંટાળી પગલું ભરી લીધું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. વધુ તપાસ યુનિવર્સીટી પોલીસે હાથ ધરી છે.

વતનમાં રહેતી પત્ની સાથે ફોનમાં ઝગડો થયા બાદ યુવકે ફાંસો ખાઈ કર્યો આપઘાત

સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક બાલમુકુંદ-૧ એપાર્ટમેન્ટમાં ભાડાનો રૂમ રાખીને રહેતો મૂળ યુપીનો મનોજ બાબુભાઇ રાજભર (ઉ.વ.25) ના યુવકે રાત્રીના રૂમમાં શર્ટ પંખામાં બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.મોટો ભાઈ રાજુભાઇના જણાવ્યા મુજબ ગઈકાલે મનોજને ફોન કરતો હતો પરંતુ ફોન ઉપાડતો ન હોવાથી કાકાના દીકરાને રૂમ પર તપાસ કરવા માટે મોકલ્યો હતો ત્યાં જઈ જોતા મનોજ લટકતો હતો. તાકીદે 108ને જાણ કરતા ઇમટીએ સ્થળ પર પહોંચી યુવકને તપાસી મૃત જાહેત કરી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.મૃતક મૂળ યુપીનો રહેવાસી હતો અને રાજકોટમાં રહી કલરકામ કરતો હતો.પત્ની અને પુત્ર વતનમાં રહેતા હતાં. પત્ની સાથે ફોનમાં વાતચીત દરમિયાન ઝગડો થતા તેનું લાગી આવવાથી પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.

આઈ લવ યુ, બાબુ, આઈ મિસ યુ બાબુ, હેપ્પી એનિવર્સરી ચિઠ્ઠીમાં લખી યુવાનનો આપઘાત

આનંદ બંગલા ચોકમાં ગુરુ પ્રસાદ ચોક નજીક ભોલેનાથ સોસાયટીમાં રહેતો કરણ મુકેશભાઈ પતરિયા (ઉ.વ.24) નામના યુવકે ઘર પાસે શાકભાજી ભરવા માટે ભાડે રાખેલા રૂમમાં પંખામાં દોરી બાંધી લટકી ગયો હતો. સાંજે કૌટુંબિક ભાઈ શાકભાજી ભરવાના રૂમ પાસેથી નીકળ્યો ત્યારે આટો મારવા જતા કરણ રૂમમાં લટકતો હતો. આ જોઈ બુમાબુમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા અને કોઈએ 108ને જાણ કરતા ઈએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા કલ્પાંત સર્જાયો હતો.બનાવના પગલે માલવીયા નગર પોલીસ દોડી ગઈ હતી. અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી પૂરી કરી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર કરણ બે બહેનનો એકનો એક ભાઈ હતો અને એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા. અને 18 ફેબ્રુઆરીએ એનિવર્સરી હતી. ગઈકાલે માતા અને પત્ની કામે ગયા હતા ત્યારે પાછળથી પગલું ભરી લીધું હતું. ક્યાં કારણોસર પગલું ભર્યું એ અંગે પરિવારજનો પણ જાણતા ન હોવાથી પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. આપઘાત પૂર્વે કરણએ એક ચિઠ્ઠી લખી હતી તેમાં આઈ લવ યુ બાબુ, આઈ મિસ યુ બાબુ, હેપ્પી મેરેજ એનિવર્સરી લખ્યું હતું. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application