વાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ

  • June 07, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
બે દિવસ પૂર્વે વાવડીમાં પારકા ઝગડામાં નિર્દોષ યુવકની પાંચ શખ્સોએ પાઇપના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી બનાવમાં તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યામાં સામેલ કાયદાથી સંઘર્ષીત કિશોર સહીત પાંચ શખ્સોની અટકાયત કરી કાયદેસરની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સોમાં ચાર માંથી ત્રણ જુદા જુદા ત્રણથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. જયારે એક આરોપી સામે બે ગુના નોંધાયેલા છે.

મળતી વિગત મુજબ બે દિવસ પૂર્વે સ્પીડવેલ પાર્ટી પ્લોટ લક્ષમણ ટાઉનશીપમાં રહેતા શકીલભાઈ મહોમદશાહ શાહમદાર અને તેની સાથે ક્લીનર તરીકે કામ કરતા અને પીપળીયા હોલ પાસે વાલ્કેશ્વર સોસાયટીમાં રહેતા વિપુલભાઈ જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.40)ના મિત્ર વાવડીમાં ખોડિયાર પેલેસમાં રહેતા શકીલભાઈના મોટાભાઈના ઘરે હતા ત્યારે ત્યાંજ ઉપરના માળે રહેતા ભગીરથસિંહ વાઘેલાને શકીલભાઇના ભત્રીજા પાસેથી ભાડાના પૈસા લેવાના હોય તે બાબતેની બોલાચાલી શકીલભાઈ અને તેના મિત્ર વિપુલભાઈ સાથે થઇ હતી જેમાં ભગીરથસિંહ વાઘેલા અને તેની સાથેના અજાણ્યા ચાર શખસોએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા પાઇપના ઘા વિપુલ મકવાણાને માથાના ભાગે લાગી જતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને સારવાર માટે સિવિલમાં ખસેડાતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના મિત્ર શકીલભાઇ શાહમદારની ફરિયાદ પરથી પોલીસે ભગીરથસિંહ વાઘેલા સહિતના અજાણ્યા ચાર શખ્સો સામે ગુનો નોંધી તાલુકા પોલીસએ મુખ્ય આરોપી ભગીરથસિંહ વનરાજસિંહ વાઘેલાને ગણતરી કલાકમાં રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા તેની સાથે અર્જુનસિંહ ઘનશ્યામસિંહ સરવૈયા તેનો ભાઈ કરણસિંહ ઘનશ્યામસિંહ સરવૈયા ( બંને રહે-ખોડિયારનગર, ચામુંડા સોસાયટી શેરી નં-3, 150 ફૂટ રિંગ રોડ), સુરેશ તેજાભાઈ સીસા (રહે-હાલ વિશ્વકર્મા સોસાયટી, નીતાબાનો ઓરડીમાં ભાડેથી, મૂળ ગોલીડા,તા.ચોટીલા), તેમજ એક સગીર હોવાનું જણાવતા પોલીસે ચારેયને ઝડપી લઇ કાયદેસરની ધરપકડ કરી હતી.

આ કાર્યવાહી તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ.હરીપરાની રાહબરીમાં પીએસઆઇ એમ.એચ.મહારાજ, એલસીબી ઝોન-2ના પીએસઆઇ જે.વી.ગોહિલ સહિતની ટિમ દ્વારા કરવામાં આવી હતી.



ત્રણેય આરોપીઓ સામે ચોરી અને દારૂના ગુનાઓ

પોલીસની વિશેષ તપાસમાં ભગીરથસિંહ વાઘેલા સામે માલવિયાનગર, ગાંધીગ્રામ, યુનિવર્સીટી, થોરાળા પોલીસમાં ચોરીના તેમજ રાજકોટ ડીસીબી અને સાયલા પોલીસમાં દારૂના એક એક ગુના નોંધાયેલા છે. જયારે અર્જુનસિંહ સરવૈયા સામે માલવિયાનગર પોલીસમાં દારૂના ચાર ગુના તેમજ સુરેશ સીસા સામે માલવિયા અને તાલુકા પોલીસમાં દારૂના એક એક ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application