ઉના તાલુકામાં કેસરિયા થી સોનારી તરફ જતાં માર્ગ પર ગઈકાલે વધુ એક ગંભીર માર્ગ અકસ્માતમા મુસાફરો ભરેલી છકડો રિક્ષા કૂતરાને બચાવવા જતાં અચાનક પલટી મારી જતાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત બાદ સ્થળ પર ચીસોચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રા માહિતી મુજબ કેસરિયા ગામથી સોનારી તરફ જઈ રહેલી છકડો રિક્ષા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક શ્વાન રિક્ષા વચ્ચે આડે આવ્યું હતું. શ્વાનને બચાવવાના પ્રયાસમાં રિક્ષા ચાલક રમેશભાઈએ સ્ટેરીંગ ફેરવતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે છકડો રિક્ષા અનિયંત્રિત બની રોડ પરથી પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં સવાર મુસાફરો ફંગોળાઈ ગયા હતા. અકસ્માતના પગલે આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં રાણીબેન તેમજ ચાલક રમેશભાઈ સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોને માથા, હાથ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને મારફત ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઉના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ગંભીર હાલતના ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લ ેખનીય છે કે કેસરિયાથી તડ તરફ જતો માર્ગ અકસ્માત ઝોન તરીકે ઓળખાવા લાગ્યો છે. આ માર્ગ પર અવારનવાર નાના–મોટા અકસ્માતો સર્જાતા રહે છે. અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતોમાં ઘણા લોકો જીવ ગુમાવી ચૂકયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે કેટલાક છકડો રિક્ષા ચાલકો બેફામ ગતિએ વાહન હંકારી માનવ જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. સવારે અને સાંજના સમયે ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરી રિક્ષા દોડાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સાથે કેટલાક ચાલકો સાયલેન્સર નીચા રાખી તથા ઉંચા અવાજમાં ગીતો વગાડી ઘોંઘાટ કરતા હોવાની પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોએ પોલીસ અને આરટીઓ વિભાગ સમક્ષ આવા બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે