ચુનારાવાડમાં ત્રણ શખસોએ હુમલો કરી યુવાનને છરીનો ઘા ઝીંકી દીધો
ચુનારાવાડમાં ત્રણ શખસોએ હુમલો કરી યુવાનને છરીનો ઘા ઝીંકી દીધો
May 04, 2026 08:51 PM
રાજકોટ શહેરના ચુનારાવાડ વિસ્તારમાં યુવાનને ત્રણ શખસોએ ગાળો આપી છરીનો ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આરોપીઓ યુવાનના ભાભી સાથે મકાનના સોદા બાબતે ઝઘડો કરતા હોય યુવાન વચ્ચે પડતા તેના પર હુમલો કર્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ, ચુનારાવાડ શેરી નંબર ૨ રાવણ ચોક પાસે રહેતા કલ્પેશભાઈ મનુભાઈ ડોડીયા (ઉ.વ. ૨૦) નામના યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં ચુનારાવાડમાં જ રહેતા રોહિત, મેહુલ અને પરસોત્તમભાઈનું નામ આપ્યું છે. યુવાને કરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તે મોટા બાપુ પપ્પુભાઈ, કૌટુંબિક ભાઈ કિશન સાથે ગીર સોમનાથના ધુસિયા ગામથી રાત્રિના ૧૧:૦૦ વાગ્યા આસપાસ ભાભી સંજનાબેન જે અહીં રાવણ ચોકમાં જ રહેતા હોય તેના ઘર પાસે પહોંચતા તેના ભાભી સંજનાબેન તથા તેના બહેન રંજનાબેન સાથે રોહિત તેનો ભાઈ મેહુલ તથા પરસોત્તમ ઝઘડો કરતા હતા. જેથી તેને આ બાબતે પૂછતા કહેવા લાગ્યા હતા કે, મેં સંજનાબેનના માતા જ્યોત્સનાબેનને મકાનના સોદા પેટે ૨૦.૧ લાખ દોઢ વર્ષ પહેલાં આપ્યા છે અને હવે મારે એ મકાન લેવું નથી અને મને બે લાખ રૂપિયા પરત આપો. આ બાબતે ઝઘડો ચાલતો હોવાનું કહ્યું તું જેથી યુવાને ઝઘડો કરવાની ના કહેતા આ ત્રણેય શખસો તેને કહેવા લાગ્યા હતા કે, તારે અમારી વાતમાં વચ્ચે આવવું નહીં તેમ કહી ત્રણેય ગાળો આપવા લાગ્યા હતા. દરમિયાન પુરુષોત્તમ તથા મેહુલે યુવાનને પકડી રાખ્યો હતો અને રોહિતે નેફામાંથી છરી કાઢી યુવાનને પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા તે અહીં પડી ગયો હતો. બાદમાં તેને ૧૦૮ મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી ઘોરાળા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી....