અફાટ દરિયામાં ગુમ થયેલા પાયલોટનો પત્તો નહી મળતા ચિંતા વધી

  • September 05, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના સમુદ્રમાં કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર ક્રેશ થવાના બનાવમાં ચાર જવાનો પૈકી બેના મૃતદેહ મળ્યા હતા અને એકનો બચાવ થયો હતો જ્યારે અન્ય એક જવાન લાપતા થયો હતો તેની ભાળ નહી મળતા સુરક્ષા એજન્સીમાં ચિંતા જોવા મળી છે. તો બીજી બાજુ સાંસદ અને ધારાસભ્યએ મૃતક જવાનોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી 
ચાર દિવસ પહેલા મોડી રાત્રે ૧૧ વાગ્યાના સુમારે ભારતીય કોસ્ટગાર્ડને એવી માહિતી મળી હતી કે પોરબંદરથી ૧૦૦ કિ.મી. દૂર સમુદ્રમાં મોટર ટેન્કર (જહાજ) ‘હરિલીલા’માં એક ક્રૂ મેમ્બર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો આથી તેને બચાવવા માટે ઇન્ડીયન કોસ્ટગાર્ડનું એ.એલ.એચ. હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યુ હતુ અને આ ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટર જહાજ સુધી પહોંચે તે પહેલા જ તેને ઇમરજન્સી લેન્ડીંગ કરવાની સમુદ્રમાં જ ફરજ પડી હતી તેથી હેલીકોપ્ટર સાથે ચાર જેટલા કોસ્ટગાર્ડ જવાનો સમુદ્રમાં પડી ગયા હતા તે પૈકી એક જવાનનો બચાવ થયો છે 
પોરબંદરથી ૧૦૦ કિ.મી. દૂર દરિયામાં કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર મેડિકલ ઇમરજન્સી માટે ગયુ ત્યારે ક્રેશ થયાના બનાવમાં આ હેલીકોપ્ટરમાં રહેલા ચાર જવાનો પૈકી એક જે તે સમયે બચી ગયો હતો જેને પોરબંદર લાવવામાં આવ્યો હતો જ્યારે બીજા ત્રણની શોધખોળ હાથ ધરવામાં આવતા તે પૈકી બે કોસ્ટગાર્ડ જવાનના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે કોસ્ટગાર્ડના પાયલોટ રાકેશકુમાર રાણા હજુ લાપતા છે. જેનો ગુરુવારે સવાર  સુધી પતો મળ્યો ન હતો. 
સાંસદ દ્વારા શ્રધ્ધા સુમન
પોરબંદર નજીક દરિયામાં હેલીકોપ્ટર ક્રેશમાં ભારતીય કોસ્ટ ગાર્ડના શહીદ જવાનો ને પોરબંદરના સાંસદ કમ કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયાએ સોશ્યલ મીડિયાના માધ્યમ થી શ્રધ્ધાંજલિ અર્પણ કરી જણાવ્યું છે કે, પોરબંદરના દરિયામાં રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થતાં શહીદ થયેલા જવાનોને ઈશ્ર્વર તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકાકુલ પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ સંવેદના વ્યક્ત કરું છું. રાષ્ટ્રસેવાને સર્વોચ્ચ રાખનાર આ વીર જવાનોના બલિદાનના આપણે સદાય ઋણી રહીશું.
ધારાસભ્ય દ્વારા શ્રધ્ધા સુમન
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ શ્રધ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું છે કે, પોરબંદર નજીક અરબી સમુદ્રમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન હેલીકોપ્ટર ક્રેશ લેન્ડિંગમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (આઇ.સી.જી.)ના જવાનો શહીદ થવાના સમાચાર હૃદયદ્રાવક છે.દુ:ખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. ભગવાન વીર જવાનોની આત્માને શાંતિ આપે.આ ઉપરાંત પૂર્વકેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા અને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા (પટેલ) સહિત જિલ્લા ભાજપના તમામ હોદેદારો એ પણ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના માં શહીદ જવાનો ને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application