મહિલાના પગ મળ્યાનું રહસ્ય: હત્યા બાદ કપાયા

  • May 20, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના બાહ્ય વિસ્તાર આજીડેમના કાંઠે ખુલ્લી જગ્યામાંથી થોડા અંતરે મળેલા બે માનવીય પગે પોલીસને દોડતી કરી છે. બન્ને પગ મહિલાના હોવાનો અંદાજ પોલીસે લગાવ્યો છે. બન્ને પગનું ફોરેન્સીક પીએમ કરાવાતા જે તે વ્યકિતના મૃત્યુ બાદ આ પગ કપાયા હોવાનું પ્રાથમીક રીપોર્ટ પોલીસને મળ્યો છે. જેના આધારે એવી આશંકા ઉભી થઈ છે કે, અન્યત્ર હત્યા કરીને શરીરના ટુકડાઓ કરી પગ સહિતના અંગો અલગ અલગ જગ્યાએ ફેકી દેવાયા હોય શકે. અથવા તો આપઘાત કરવા કોઈ પડયું હોય અને જળચર પ્રાણીઓએ પગ શરીરથી અલગ કરી નાખ્યા હોય. જો કે, આ વાત શકય બને તેવી ઓછી છે. તબીબ રીપોર્ટના આધારે હત્યા થઈ હોવાનું તારણ પોલીસને વધુ દેખાઈ રહ્યું છે.

આજીડેમના કાંઠે માનવીય પગ પડયા હોવાની જાણ થતાં ગત સાંજે આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજા તથા સ્ટાફ દોડી ગયો હતો. બે પગ નજીક નજીકના અંતરેથી કોહવાયેલા જેવા મળી આવ્યા હતા. પોલીસે ફોરેન્સીક નિષ્ણાંતોની મદદ મેળવી હતી. પ્રાથમીક દ્રષ્ટ્રીએ પગની સાઈઝ અને આકાર પરથી પોલીસે પગ મહિલાના હોવાનું અનુમાન બાંધ્યું છે. પગ ગોઠણથી નીચેના ભાગેથી કપાયેલા છે. આજીડેમ પટ પાસે ખુલ્લી અવાવરૂ જેવી જગ્યા છે માટે કોઈ પગને ફેંકી ગયું હોઈ શકે. ડેમ કાંઠે પડેલા પગને શ્ર્વાન ઢસડીને લઈ આવ્યાનું અને બચકા ભર્યા હોય તેવા લોહીવાળા નિશાન પણ પોલીસને દેખાયા હતા.

જે રીતે બન્ને પગ ગોઠણ નીચેથી કપાયેલા છે તેમજ નજીકમાં અંતરમાં પોલીસે છાનભીન કરી પરંતુ શરીરના અન્ય કોઈ અંગો મળ્યા નથી તેના પરથી પોલીસે એવો તર્ક લગાવ્યો છે કે, ગેંગરીંગ કે આવી કોઈ બીમારીના કારણે ઓપરેશનથી પગ કાપવા પડયા હોય અને ત્યારબાદ જે તે હોસ્પિટલ દ્રારા મેડિકલ વેસ્ટ (કપાયેલા બન્ને પગ)નો નિયમ મુજબ ડિસ્પોઝ નિકાલ ન કરાયો હોય શકે. બન્ને પગને યોગ્ય રીતે નિકાલ કરવાના બદલે આવી રીતે ખુલ્લી જગ્યામાં પાણીમાં ફેંકી દીધા હોય અને તરતા તરતા કાંઠે આવી ગયા હોવાનો અંદાજ પોલીસે બાંધ્યો છે.

પગ મહિલાના જ છે કે, કેમ ? બન્ને પગ એક જ વ્યકિતના છે કે, અલગ વ્યકિતના ? પગ ઓપરેશન બીમારીના કારણે કપાયેલા હશે કે કોઈએ કોઈ કારણોસર પગ કાપી નાખ્યા હશે અને આવી રીતે ફેંકી દીધા હશે ? તે સહિતના મુદ્દે સ્પષ્ટ્ર કારણ જાણવા બન્ને પગનું ફોરેન્સીક પીએમ કરવા ગતરાત્રે બન્ને પગને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે ફોરેન્સીક તબીબ દ્રારા પીએમ થતાં પ્રાથમીક રીપોર્ટ એવો આવ્યો છે કે, વ્યકિતનું મૃત્યુ થયા બાદ બન્ને પગ કાપવામાં આવ્યા છે. આ રીપોર્ટથી પોલીસ ચોંકી ઉઠી છે. હત્યા કરીને પગ કાપી નાખવામાં આવ્યા હશે કે શરીરના દરેક અવયવો આવી રીતે કાપીને અલગ કરી નખાયા હશે. ? હત્યા કે અન્ય કોઈ ઘટના તે બાબતે હજુ કોઈ પોલીસ અધિકારીઓ કે સ્ટાફ સ્પષ્ટ્રતા કરી શકયું નથી. હત્યાની સાથે એવી પણ આશંકા વ્યકત તપાસનીશ પોલીસે કરી હતી કે, સાર્પ કટીંગ ન હોવાથી કદાચ આત્મહત્યા કરવા પડયા હોય અને જળચર પ્રાણીઓએ શરીરથી પગ ખોતરીને નોખા કરી નાખ્યા હોય. જો કે, આ અનુમાન કે તારણ એટલા માટે પોલીસને પણ ગળે ઉતરતું નથી કે, પગથી નોખું થયેલું શરીર હજુ પોલીસને મળ્યું નથી. મહત્તમપણે તો હત્યા કરાઈ હોવાની શંકા વધુ દેખાઈ રહી છે.

આ અગાઉ પણ આવા માનવ કંકાલના ભેદ અણઉકેલ છે
રાજકોટ શહેરમાં આજી નદી કે તેના કાંઠા વિસ્તારમાં માનવીય અવયવો કે કંકાલ મળવાની ગઈકાલની ઘટના નવી નથી. આ અગાઉ રૂખડીયાપરા પાસે નદીના પટ પરથી માનવીય ખોપડી મળી આવી હતી. પોલીસે જે તે સમયે અનેક પ્રયાસ કર્યા હતા પરંતુ ધડથી ખોપડી નોખી કરી નાખનાર કોણ ? એ તો આજ સુધી શોધી નથી શકાયું. હજુ પણ આ ખોપડી કોની હતી ? ત્યાં સુધી પણ પોલીસ ઓળખ મેળવવા સફળ થઈ નથી. આવી જ રીતે ભીચરી પાસે પણ માનવ કંકાલ મળ્યા હતા. એમાં પણ પોલીસ કે જે તે સમયે મથામણ કરી હતી. ગઈકાલે મળેલા બન્ને પગનો ભેદ રાજકોટ શહેર પોલીસ ઉકેલી શકશે કે કેમ ? તેવી ચર્ચાઓ ચાલવા લાગી છે. લાલપરી પાસેથી પોટલામાં વિંટળાયેલા માનવ કંકાલ મળી આવ્યા હતા. જેમાં પોલીસ ભેદ ઉકેલવામાં સારી એવી કસરત બાદ સળળતા સુધી પહોંચી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application