તમને સોનાના નળિયા કરી દેવા છે...રાજકોટમાં વધુ એક શરાફી મંડળીનું કૌભાંડ, સંચાલક અલ્પેશ દોંગા રોકાણકારોના ૧૧ કરોડ ચાઉં કરી ગયો

  • March 12, 2025 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મની પ્લસ શરાફી મંડળીના સંચાલક અલ્પેશ દોંગા સામે અગાઉ છેતરપિંડીની એકથી વધુ ફરિયાદ નોંધાઈ ચૂકી છે તેમજ મંડળીના એક કર્મચારીએ અલ્પેશ દોંગાના લીધે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.આ ફૂલેકાબાજ શખસ સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આશાપુરા રોડ પર રહેતા દરજી વેપારીએ તેમના તથા તેમના સગા સંબંધીઓ તથા અન્ય 50થી વધુ રોકાણકારોના રૂપિયા 11.08 કરોડ અલ્પેશ દોંગા ઓહ્યા કરી ગયા અંગેની હકિકત જણાવી છે. જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી અલ્પેશ દોંગાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


અલ્પેશ દોંગા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
જાણવા મળતી વિગતો મુજબ, કરણસિંહજી હાઇસ્કૂલ પાછળ આશાપુરા રોડ પર રહેતા રશ્મિનભાઈ ચુનીલાલ પરમાર (ઉં.વ 57) નામના વેપારીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં મની પ્લસ શરાફી મંડીના સંચાલક અલ્પેશ દોંગા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને આશાપુરા મેઈન રોડ પર રંગુન ક્લોથ નામની કપડાની દુકાન આવેલી છે. આજથી આઠ વર્ષ પૂર્વે મનસુખભાઈ ગોરસંદીયા કે જેઓ સ્વામિનારાયણના સત્સંગી હોય તેઓ અવારનવાર સત્સંગમાં ભેગા થતા હોય અને તેમણે અલ્પેશ દોંગા અને તેની શરાફી મંડળી વિશે વાત કરી હતી.


છ વર્ષમાં તમારી મૂડી પરત મળી જશે
બાદમાં ફરિયાદી અલ્પેશ દોગાની મની પ્લસ શરાફી મંડળીની ઓફિસ કે જે નાનામાવા રોડ પર સંભવ કોમ્પ્લેક્સમાં આવેલી હોય ત્યાં જતા અલ્પેશ દોંગાએ કહ્યું હતું કે, અમારી આ સહકારી મંડળી ગુજરાતના સહકારી અધિનિયમ હેઠળ નોંધાયેલી છે તમે અમારી મંડળીમાં એફડી કરાવશો તો વર્ષના 12 ટકા લેખે વળતર મળશે અને છ વર્ષમાં તમારી મૂડી પરત મળી જશે. આવી લાલચ આપી હતી જેથી તેના પર વિશ્વાસ કરી ફરિયાદી એ તેમના ભાભી કિશોરીબેન વિનોદકુમાર પરમાર કે જે વિધવા હોય તેમના પતિના અવસાન બાદ આવેલી રકમ સલામત રહે તે માટે રૂપિયા 14 લાખ મંડળીમાં રોક્યા હતા જેનું રેગ્યુલર વળતર મળતું હતું. અલ્પેશ દોંગા અલગ અલગ જગ્યાએ મીટીંગો કરતો હોય જેથી તેના પર વિશ્વાસ આવી ગયો હતો.


60 લાખનું રોકાણ મંડળીમાં કર્યું હતું
આ અલ્પેશ દોંગાએ વેપારીને કહ્યું હતું કે, તમે તમારા સગા વહાલા અને મિત્ર સર્કલમાં પણ વાત કરો કે અમારી સહકારી મંડળીમાં રોકાણ કરે બધાને સોનાના નળિયાવાળા કરી દેવા છે. જરૂર પડે તો બેંકમાંથી લોન લઈને પણ મંડળીમાં મૂકશો તો પણ નફામાં જ રહેશો તેવી વાત કરતા વેપારીને વધુ વિશ્વાસ આવી જતા તેમણે બેંકમાંથી રૂપિયા 40 લાખની લોન લઈ રૂ. 43 લાખનું રોકાણ આ મંડળીમાં કર્યું હતું. તેમજ તેમની પત્નીના રૂપિયા ત્રણ લાખ મળી પરિવારના કુલ રૂપિયા 60 લાખનું રોકાણ મંડળીમાં કર્યું હતું. 


2023થી વળતર મળવાનું બંધ થઈ ગયું હતું
અગાઉ નિયમિત રીતે વળતર બેંક ખાતામાં જમા થઈ જતું હતું. પરંતુ ડિસેમ્બર 2023થી વળતર મળવાનું બંધ થઈ ગયું હતું. ત્યારબાદથી આજદિન સુધી કોઈ રકમ મળી નથી. ત્યારબાદ આ બાબતે ફરિયાદીએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, મની પ્લસ શરાફી મંડળીના અલ્પેશ દોંગા આ પ્રકારે તેમના સહિત અન્ય રોકાણકારો સાથે પણ લલચામણી વાતો કરી મંડળીમાં પૈસાનો રોકાણ કરાવી છેતરપિંડી કરી હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં 50થી વધુ રોકાણકારો સાથે કુલ રૂપિયા 11 કરોડ, 8 લાખ 98000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું હતું. 


અલ્પેશ દોંગાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
જેથી આ બાબતે વેપારી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે આરોપી અલ્પેશ ગોપાલદાસ દોંગા (રહે. સગુન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 201, સત્યમ પાર્ટી પ્લોટની પાછળ, નાનામવા મેઇન રોડ) વિરુદ્ધ જીપીઆઇડી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ. હરીપરા તથા ટીમે તપાસ હાથ ધરી આરોપી અલ્પેશ દોંગાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application