હાથ પગ હલાવતાં મળે તે સુખ અને સ્થિર થતાં મળે તે આનંદ: વિશાલ ભાદાણી

  • September 03, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શિશુવિહાર સંસ્થામાં વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા દ્વારા દ્વારા ’સુખ અને આનંદ’ પરિસંવાદમાં મહાનુભાવોનાં વક્તવ્યોમાં સૌએ મોજ માણી. અહીંયા સમાપન ઉદ્બોધન કરતાં  વિશાલ ભાદાણીએ કહ્યું  હતું  કે, હાથ પગ હલાવતાં મળે તે સુખ અને સ્થિર થતાં મળે તે આનંદ છે.
‘સુખ અને આનંદ’ વિષયક પરિસંવાદમાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો દ્વારા વ્યક્તિગત નિચોડ રૂપે ચિંતન સભર અનુભવ જાણવાં મળ્યાં અને સૌએ અહીંયા મોજ માણી હતી.
પરિસંવાદ સમાપનમાં મુખ્ય વક્તા રહેલ લોકભારતી વિશ્વવિદ્યાલયનાં  વિશાલ ભાદાણીએ પોતાની મૂક્ત જીવનશૈલીનો ઉલ્લેખ કરી પોતે મોજમાં રહ્યાનું જણાવી આનંદ અને સુખ માટે વૈશ્વિક વિચારો પ્રકાશનો સાથે તાજેતરમાં દુનિયામાં ચાલતી યુધ્ધ સ્થિતિ અંગે સંવેદના ટકોર કરી કહ્યું  હતું  કે મારી ચામડીનો વિસ્તાર થાય એટલે કે હું તરીકે સમાજમાં ફેલાય ત્યારે સુખ બાદ આનંદ પ્રાપ્ત થાય છે. સારરૂપ વાત કરતાં કહ્યું કે, હાથ પગ હલાવતાં મળે તે સુખ અને તે સ્થિર થતાં જે પ્રસન્નભાવ મળે તે આનંદ છે. સુખ અને આનંદ વિશે સ્વાનુભવો વ્યક્ત કરતાં મહાનુભાવોમાં પર્યાવરણ નિષ્ણાંત ઈન્દ્રભાઈ ગઢવીએ પોતાનો રાજીપો વ્યક્ત કરતાં કહ્યું કે વ્યવસાય અને શોખ બંને પોતાને મળ્યું છે. ભૌતિક સુવિધાથી સુખ મળે છે. પોતાને શોખ પૂરો કરવાની તક મળી તે આનંદ છે તેમ 
સુખમાં ભૌતિક એ ક્ષણિક છે, આધ્યાત્મિક એ શાશ્વત છે. એક બીજાને વહેંચતાં રહેવામાં પોતાને આનંદ મળી રહ્યાનું જણાવ્યું હતું. પરિસંવાદમાં  નિર્મોહીબહેન ભટ્ટે પોતાની કાર્યશૈલી સાથે વાત કારી  હતી  કે, બધું મળ્યાં પછી, બધાં સાથે તાદાત્મ્ય સાધીને જે પ્રાપ્ત થાય તે આનંદ રહેલો છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં અગ્રણી  હસમુખભાઈ પટેલ દ્વારા તો પોતાનાં જન્મથી જ આનંદ રહ્યાનું જણાવી  નાનાભાઈ ભટ્ટ તથા  અજવાળીબા પાસે ખોળામાં રમવાનો લ્હાવો લીધાનું જણાવી વિજ્ઞાન અને જ્ઞાન સાથે ખેતીવાડી ઉદ્યોગ અને સંસ્થાઓનાં અનુભવો વર્ણવ્યાં હતા. 
અહીંયા તબીબ  મહેક મહેતાએ પોતાનાં માતાનાં આલિંગનની અનુભૂતિ સાથે પરિવારને લોહી નહિ પરંતુ હૈયાનાં સંબંધની વ્યાખ્યામાં સાંકળી મૂળ તત્વ તરફની યાત્રા એ જ આનંદ ગણાવી પોતાની અધ્યાત્મ અનુભૂતિ વર્ણવી હતી. આ પ્રસંગે માનવ જ્યોત સંસ્થા મુંબઈ પ્રકાશિત ’ગુજરાતનાં વૃદ્ધાશ્રમો’ માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. 
પરિસંવાદમાં કેન્દ્રમાં રહેલ ’યાત્રા : સુખ અને આનંદની’ નાં લેખક  પ્રવીણચંદ્ર ઠક્કર અને  શ્વેતાબેન જોષી દ્વારા વાચકોને નવી ઊર્જા મળ્યાનો સાનંદ ઉલ્લેખ થયો હતો. આ પ્રકાશન વિશે શ્વેતાબેન જોષીએ વાત કરતાં કહ્યું હતું  કે, ઈશ્વરનાં સ્રોત આનંદ સૌનાં પર વહેતો રહે તેવી લાગણી છે.
આ ઉપક્રમનાં અગ્રણી  પ્રવીણચંદ્ર ઠક્કરે પોતાનાં,  માનભાઈ ભટ્ટ તેમજ  મનુભાઈ પંચોળીનાં જન્મદિવસ સાથે જોડાયેલાં હોવાનો તેમજ પર્યુષણ પર્વ અંગે આનંદ વ્યક્ત કરી પ્રકાશન અંગે વાત કરી. તેઓએ આત્મા તથા પરમાત્મા કેવા હશે ? આમ કહી મન, બુધ્ધિ અને આત્માનાં જોડાણથી આનંદ અને સંતોષ વિશે ઉમેર્યું  હતું કે, આનંદ માટે સ્વઅધ્યયન જરૂરી છે. શિશુવિહાર સંસ્થાનાં મોભી  નાનકભાઈ ભટ્ટે અહીંયાની ભૂમિ નિજાનંદની ગણાવી  માનભાઈ ભટ્ટનાં સંવેદના શિક્ષણ અને જણાવી આ કાર્યક્રમ માટે રાજીપો વ્યક્ત કર્યો હતો.
પ્રારંભમાં  દેવચંદભાઈ સાવલિયાએ સૌ મહાનુભાવોને મહેમાન નહિ પણ પરિવારનાં જ સભ્યો હોવાનું જણાવી આવકાર આપ્યો અને અહીંના પ્રકાશન તથા તે માટે શ્રી કુલીનભાઈ લોટિયાનાં સહકાર વિશે માહિતી આપી હતી. જસ્મીનબેન મહેતા દ્વારા પ્રાર્થના ’પ્રેમળ જ્યોતિ તારો દાખવી...’ ગાન સાથે પરિસંવાદ પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રવીણભાઈ ઠક્કરનાં જન્મદિવસ પ્રસંગે  રાજુભાઈ દવે દ્વારા શુભેચ્છા ભેટ અર્પણ કરવામાં આવેલ.  સંચાલનમાં  નરેન્દ્રભાઈ ધામેલિયા રહ્યાં હતાં. આભારવિધિ  પ્રવિણાબેન વાઘાણી દ્વારા કરવામાં આવી. સંકલનમાં  જયશ્રી બેન સાવલિયા સાથે શિશુવિહાર પરિવાર રહેલ.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application