અગાઉ ચુકી ગયા હો તો ફરી તક: 'મંથન' ફિલ્મ કાલે ફરી થિયેટરમાં રિલીઝ થશે

  • May 31, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024ના વર્લ્ડ પ્રીમિયરમાં જબરદસ્ત સફળતા અપાવનાર ભારતની પહેલી ક્રાઉડ ફંડેડ ફિલ્મ જોવાનો અવસર
ભારતમાં 50 શહેરોમાં 100 જેટલા થિયેટરમાં 1 અને 2 જૂન 2024ના રોજ ફિલ્મ પુન બતાવાશે શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંથન’ને પુનઃ સ્થાપિત કર્યા બાદ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024ના વર્લ્ડ પ્રીમિયરમાં જબરદસ્ત સફળતા મળી છે. ત્યારેગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા ફિલ્મ ‘મંથન’ રિલીઝ કરવામાં આવી રહી છે.ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા, સુરત, રાજકોટ, મુંબઈ, પુણે, નાગપુર, દિલ્હી, બેંગલુરુ, ચેન્નઈ, કલકત્તા સહિત ભારતમાં 50 શહેરોમાં 100 જેટલા થિયેટરમાં 1 અને 2 જૂન 2024ના રોજ ફિલ્મ રિલીઝ કરાશે.



ફિલ્મ ‘મંથન’માં અસાધારણ ડેરી સહકારી ચળવળની શરૂઆતનું કાલ્પનિક સંસ્કરણ છે, શ્વેત ક્રાંતિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનની પ્રેરણાથી ભારત\ દૂધની અછત ધરાવતા રાષ્ટ્ર માંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક તરીકે પરિવર્તિત થયું છે. ‘મંથન’ ભારતની પ્રથમ ક્રાઉડફંડેડ ફિલ્મ છે. જે પાંચ લાખ ડેરી ખેડૂતો દ્વારા બનાવવામાં આવી છે. જેના માટે દરેક ડેરી ખેડૂતોએ 2 રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ ફિલ્મમાં ગિરીશ કર્નાડ, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, ડૉ. મોહન અગાશે, કુલભૂષણ ખરબંદા, અનંત નાગ અને આભા ધુલિયા સહિતના કલાકારો છે. મંથનનું શૂટિંગ જાણીતા સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક ગોવિંદ નિહલાની દ્વારા કરવામાં આવ્યું છે અને સંગીત જાણીતા સંગીતકાર વનરાજ ભાટિયાએ આપ્યું છે.
મંથન ફિલ્મના નિર્દેશક શ્યામ બેનેગલે જણાવ્યું હતું કે, ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયરમાં પુનઃસ્થાપિત ‘મંથન’ ફિલ્મને મળેલા અદભુત પ્રતિસાદ વિશે સાંભળીને મને ખૂબ આનંદ થયો. આ સાથે મને એ વાતનો વધુ આનંદ છે કે આ ફિલ્મ ફરી દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. મારી ફિલ્મોમાં ‘મંથન’ પ્રથમ રિસ્ટોરેશન હશે જે થિયેટરમાં રિલીઝ થશે. 1976માં જ્યારે ‘મંથન’ રિલીઝ થઈ ત્યારે મોટી સફળતા હતી. નાના શહેરો અને ગામડાઓમાંથી ખેડૂતો બળદગાડામાં લઈને પણ આ ફિલ્મ જોવા આવતા હતા. 48 વર્ષ પછી આ જૂન મહિનાની 1 અને 2 તારીખે રિસ્ટોર કરેલી ફિલ્મ મોટા પડદા પર આવી રહી છે, ત્યારે હું આશા રાખું છું કે ભારતભરના લોકો આ ફિલ્મ જોવા માટે સિનેમાઘરોમાં આવશે.’
ફિલ્મના કલાકાર નસીરુદ્દીન શાહે જણાવ્યું કે, ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મંથનનું પ્રીમિયર જોવુ મારા માટે ખૂબ જ ભાવનાત્મક અનુભવ હતો. હું લગભગ 50 વર્ષ પહેલાની યાદોથી અભિભૂત થઈ ગયો, કેમ કે તે સમયે સિનેમા પરિવર્તનનું માધ્યમ હતું, કાન્સમાં પ્રીમિયરના અંતે સ્ટેન્ડિંગઓવેશનથી આંખમાં આસું આવી ગયા હતા, તે માત્ર મારા માટે જ નહીં પરંતુ ફિલ્મ માટે પણ હતા. મને આનંદ છે કે આ ફિલ્મ ભારતભરના સિનેમાઘરોમાં ફરી વખત રિલીઝ થવાની છે અને મને આશા છે કે લોકો મોટા પડદા પર ઐતિહાસિક ફિલ્મ જોવાની તક નહીં ગુમાવે. હું ફરીથી ફિલ્મ જોવા માટે થિયેટરમાં જઈશ.’

ફિલ્મના દિગ્દર્શક ગોવિંદ નિહલાનીએ જણાવ્યું કે, ‘મંથન ફિલ્મની પુન:સ્થાપના સાથે સંકળાયેલ હોવાને કારણે અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનેપુનઃસ્થાપનમાં મૂળ કામને જાળવવાની ખાતરી સાથે ઘણા મહિનાઓથી પ્રયાસ કર્યા છે, તે જોયા પછી હું ફિલ્મને ફરીથી મોટા પડદા પર જોવા માટેરાહ જોઈ શકતો નથી. શ્યામ અને મેં 50 વર્ષ પહેલા જે કામની કલ્પના કરી હતી તે ફરીથી જીવંત થઇ છે.’
શિવેન્દ્ર સિંહ ડુંગરપુરે જણાવ્યું કે, ‘જ્યારે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન કોઈ ફિલ્મની પુનઃસ્થાપનાનું કામ કરે છે, ત્યારે તેનો ઉદ્દેશ ફિલ્મના મૂળ તત્વોજળવાયેલા રહે તે છે. પાંચ લાખ ડેરી ખેડૂતોના ભંડોળથી બનાવવામાં આવેલ ‘મંથન’ લોકો દ્વારા અને લોકો માટે બનાવવામાં આવેલી ફિલ્મ છે, અને અમે જાણતા હતા કે પુનઃસ્થાપિત ફિલ્મ દર્શકો સુધી પહોંચાડવા માટે ફરીથી મોટા પડદા પર બતાવવામાં આવે તે જરૂરી છે. મને ખૂબ જ આનંદ છે કે મુંબઇ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઇ જેવા મોટા મહાનગરોથી લઇને ધારવાડ, કાકીનાડા, નડિયાદ, ભટિંડા, પાનીપત અને કોઝિકોડ જેવા નાના શહેરોના દર્શકોને સુંદર રીતે પુનઃસ્થાપિત ફિલ્મ જોવાની તક મળશે.’



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application