ગેમ ઝોન અગ્નિકાંડના ચારેય આરોપીની જામીન અરજી ફગાવી દેવાઇ

  • September 30, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોપીઓને જામીન આપવામાં આવે તો સાક્ષી, પુરાવાનો નાશ કરવાની દહેસત વ્યક્ત કરતી સ્પેશિયલ પીપીની દલીલો 


રાજ્યભરમાં ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કુલ 15 આરોપીઓ પૈકી ચાર આરોપી અશોકસિંહ જાડેજા, આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીની મોડી સાંજ સુધીની ભારપૂર્વકની રજૂઆતો દલીલો બાદ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં  ગઇ તારીખ 28/ 5/ 2024ના રોજ  વિનાશક આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું  થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તેમાં ગેમ ઝોનના  ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે  આ દુઃખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું, આ બનાવને  ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર સંચાલક ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, બે જમીન માલિકો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠીયા, બે  ફાયર ઓફિસરો ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા,  ડેપ્યુટી આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ વલભભાઈ ખેર વગેરે સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરે જામીન અરજી દાખલ કરી હતી. જે બંને આરોપી બાદ જેલ હવાલે રહેલા મહાપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ પણ જેલ મુક્ત થવા જામીન અરજી દાખલ કરી હતી. ચારેય આરોપીની જામીન અરજીની આગલી મુદતમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાની જામીન અરજી સામે તપાસનીશ દ્વારા સોગંદનામુ કરવાનું બાકી હોવાથી ચારેય આરોપીની જામીન અરજીમાં 25 મી સપ્ટેમ્બરની મુદત પડી હતી. અગ્નિકાંડમાં સંડોવાયેલા અને હાલ જેલ હવાલે રહેલા ચારેય આરોપીઓએ કરેલી જામીન અરજી  કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની દલીલો  આરોપીના વકીલની દલીલોમાં અગાઉ ફાયર શાખા દ્વારા જીવના જોખમે લોકોના જીવ બચાવ્યા છે. એટીપીના બે અધિકારીઓએ પોતાનો બચાવ તેમના વકીલો દ્વારા રજૂ કર્યો હતો. જ્યારે સરકાર તરફે અને સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી દ્વારા  એન. ઓ. સી. આવી ગયું હોવા છતાં કેમ લાયસન્સ સહિતની કાર્યવાહી કરવામાં આવી ન હતી ? જો જામીન આપવામાં આવશે તો સાક્ષી પુરાવાનો નાશ કરવામાં આવશે, આરોપીઓ દુર્ઘટનામાં જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ તપાસનીશ દ્વારા કરાયેલા ચાર્જશીટમાં હાલના આરોપીઓનો સઘન રોલ છે. તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ ર્કોર્ટ દ્વારા જમીન માલિક અશોકસિંહ જાડેજા, આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી ફગાવી દઇ નામંજુર કરતો હુકમ કરતા સ્પે. પી.પી. તુષાર ગોકાણીએ કલાકો સુધી કરેલ દલીલો ફળી છે અને ચારેય આરોપીઓના જામીન ફગાવી દેવાયા છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા  રોકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application