રસોડાની રોજિંદી આદતોમાં ભાત રાંધવા એ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ મોટાભાગના ઘરોમાં તેને ધોવાની પદ્ધતિને લઈને આજે પણ અસમંજસ જોવા મળે છે. ચોખાને યોગ્ય રીતે ધોવા પાછળ માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ વિજ્ઞાન અને સ્વાદ પણ છુપાયેલો છે.ચોખાના દાણા જ્યારે મશીનમાં પ્રોસેસ થાય છે, ત્યારે તેની ઉપર સ્ટાર્ચનો એક બારીક પાવડર જામી જાય છે. જો આ પાવડર દૂર કરવામાં ન આવે, તો રાંધતી વખતે ભાત ચીકણો અને ગઠ્ઠા જેવો બની જાય છે. ચોખાને પાણીથી સાફ કરવાથી તેની સપાટી પર રહેલો આ વધારાનો મુક્ત સ્ટાર્ચ દૂર થાય છે, જેનાથી રાંધ્યા પછી ભાતનો દરેક દાણો એકદમ અલગ અને ખિલેલો બને છે.
આ ઉપરાંત, પેકિંગ દરમિયાન લાગેલી ધૂળને દૂર કરવા માટે પણ આ પ્રક્રિયા અનિવાર્ય છે.ચોખાને સાફ કરવા માટે તેને કોઈ મોટા વાસણમાં લઈને પૂરતા પ્રમાણમાં ઠંડું પાણી ઉમેરવું. આંગળીઓ વડે હળવા હાથે ચોખાને પાણીમાં ગોળ ફેરવો. આમ કરવાથી સપાટી પરનો સ્ટાર્ચ મુક્ત થશે અને પાણી દૂધિયા કે સફેદ રંગનું દેખાશે. આ ડોળું પાણી ધીમેથી નિતારી લો. આખી પ્રક્રિયા 3 થી 4 વખત પુનરાવર્તિત કરવી જોઈએ, જ્યાં સુધી વાસણનું પાણી એકદમ પારદર્શક ન દેખાય. સફાઈ પૂરી થયા પછી ચોખાને 30 મિનિટ માટે ચોખ્ખા પાણીમાં પલાળી રાખવાથી દાણા સરસ રીતે ફૂલે છે.
દરેક ચોખાની પ્રકૃતિ અલગ હોય છે, તેથી રસોઈના પ્રકાર મુજબ ધોવાની પદ્ધતિ બદલાય છે. બાસમતી કે જેસ્મીન જેવા લાંબા દાણાવાળા ચોખાને 3 થી 4 વાર ધોવા ખૂબ જ જરૂરી છે જેથી ભાત છૂટો બને.
જો તમારે ક્રીમી ટેક્સચર જોઈતું હોય, જેમ કે ખીર કે ઈટાલિયન વાનગીઓ, તો તેને વધારે ન ધોવા જોઈએ કારણ કે તેનો સ્ટાર્ચ જ વાનગીને ઘટ્ટ બનાવે છે. સુશી માટેના નાના ચોખાને પણ હળવા હાથે ધોવા હિતાવહ છે. બજારમાં મળતા જે પેકેટ પર 'પ્રી-વોશ્ડ' લખેલું હોય તેને ફરી ધોવાની જરૂર નથી. તેમજ 'ઇનરિચ્ડ રાઈસ' એટલે કે પોષક તત્વો ઉમેરેલા ચોખાને ક્યારેય ન ધોવા જોઈએ, નહિતર તેની પર લગાડેલા વિટામિન્સ પાણી સાથે વહી જાય છે.