દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે. બ્લાસ્ટ અંગે વધુ એક નવું કાવતરું સામે આવ્યું છે. આતંકીઓ બે નહીં, પરંતુ ચાર વાહનોનો ઉપયોગ કરવાના હતા. શંકાસ્પદ હુમલાખોરો બે વધુ જૂના વાહનો તૈયાર કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા, જેમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હોત અને ટાર્ગેટ વધુ મોટો બનાવ્યો હોત. આઠ શંકાસ્પદોએ ચાર વાહનો દ્વારા ચાર અલગ અલગ શહેરોમાં હુમલો કરવાની યોજના બનાવી હતી આ ખુલાસો ડૉ. ઉમર અને ડૉ. મુઝમ્મિલની ત્રણ ડાયરીઓ દ્વારા થયો હતો. આ ડાયરીઓમાં 8મી નવેમ્બરથી 12મી નવેમ્બર સુધીની તારીખો છે. ડાયરીઓમાં આશરે 25 લોકોના નામ પણ હતા, જેમાંથી મોટાભાગના જમ્મુ અને કાશ્મીર અને ફરીદાબાદના રહેવાસી છે. આ ડાયરીઓ અલ ફલાહ યુનિવર્સિટીમાં ડૉ. ઉમરના રૂમ નંબર 4 અને મુઝમ્મિલના રૂમ નંબર 13માંથી મળી આવી હતી. પોલીસે મુઝમ્મિલના ભાડાના રૂમમાંથી ડાયરીઓ પણ મળી આવી હતી.
દરમિયાન, ડૉ. ઉમર ઉન નબીનો ડીએનએ તેની માતા સાથે મેચ થયો. તપાસ ટીમોએ ઉમરના દાંત, હાડકાં, લોહીથી ખરડાયેલા કપડાંના ટુકડા અને તેના પગનો એક ભાગ, જે સ્ટીયરિંગ વ્હીલ અને એક્સિલરેટર વચ્ચે ફસાયેલ હતો, કારમાંથી મેળવ્યો હતો.
આનાથી સ્પષ્ટ થાય છે કે વિસ્ફોટ સમયે કારમાં એકમાત્ર ડૉક્ટર ઉમર હાજર હતો. દરમિયાન, કેન્દ્ર સરકારે દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. બુધવારે કેબિનેટની બેઠકમાં આ આતંકવાદી હુમલા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ આ આઠ શંકાસ્પદોએ ચાર વાહનો દ્વારા ચાર અલગ અલગ શહેરોમાં હુમલો કરવાની યોજના બનાવી હતી. આ હેતુ માટે ચાર જૂથો બનાવવામાં આવ્યા હતા, જેમાં દરેકમાં બે સભ્યો હતા. દરેક જૂથ અનેક આઈઈડી (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) વહન કરવાના હતા. યોજના અનુસાર, બધી ટીમો ચાર શહેરોમાં એક સાથે વિસ્ફોટ કરવાના હતા. સુરક્ષા એજન્સીઓ હવે આ શંકાસ્પદોની પ્રવૃત્તિઓ અને નેટવર્કની તપાસ કરી રહી છે.
સૂત્રો અનુસાર, આઈ-20 કાર ચલાવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડૉ. ઉમર હતો. ડીએનએ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ છે. તપાસ એજન્સીઓએ ડૉ. ઉમરની માતાના ડીએનએ સેમ્પલ્સનું આઈ-20 કારમાંથી મળેલા હાડકાં અને દાંત સાથે પરીક્ષણ કર્યું, અને તે મેચ થયા.
વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ત્રણ દિવસ પછી પણ મળી રહ્યા છે માનવ અંગો
દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક વિસ્ફોટ એટલો ભયાનક હતો કે વિસ્ફોટના ત્રણ દિવસ પછી, 13 નવેમ્બરના રોજ, લાલ કિલ્લાથી થોડા અંતરે માનવ શરીરના ભાગો મળી આવ્યા હતા. લાજપત રાય માર્કેટમાં શરીરના ભાગો મળી આવ્યા હતા. લાલ કિલ્લાની બાજુમાં ત્રણ માળનું જૈન મંદિર આવેલું છે. મંદિરની ઇમારતને પાર કરીને લાજપત રાય માર્કેટમાં આ શરીરના ભાગો મળી આવ્યા હતા. આ શરીરના ભાગો શોધી કાઢવામાં આવ્યા છે અને અજાણ્યા મૃતકોની ઓળખ કરવા અને તેમના મૃતદેહ તેમના પરિવારોને સોંપવા માટે ડીએનએ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.