તરલ ભટ્ટની જામીન અંગે કાલે સુનવણી: વચેટિયો દીપ શાહ જેલ હવાલે

  • February 29, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુૂનાગઢ કથિત  પોલીસ તોડકાંડ મામલો હજુ પણ તપાસના વમળોમાં અટવાતો જોવા મળી રહ્યો છે. માણાવદરના પૂર્વ સીપીઆઈ તરલ ભટ્ટની પૂછપરછને અંતે એટીએસ દ્વારા મૂળ ભાવનગરના અને હાલ મુંબઈ રહેતા દીપ શાહની નાણાકીય લેવડ દેવડમાં અટકાયત કરવામાં આવી હતી. દીપ શાહને ગઈકાલે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણીમાં ખૂબ જ લંબાણપૂર્વકની દલીલો બાદ જૂનાગઢ કોર્ટે દીપ શાહની રિમાન્ડ અરજી નામંજૂર કરીને જૂનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. સમગ્ર મામલે દીપ શાહે  વચેટીયા તરીકેની ભૂમિકા ભજવી હતી અને તરલ ભટ્ટની લેવડદેવડ તેના દ્વારા જ કરવામાં આવતી હતી તે સામે આવ્યું હતું.

માણાવદરના પૂર્વ સીપીઆઈ તરલ ભટ્ટ અને  પોલીસ પકડમાં આવેલા મુંબઈના દીપ રાજેન્દ્ર કુમાર શાહ બંને મિત્રો છે.
તરલ ભટ્ટનું વતન ભાવનગર હોવાને કારણે પણ બંને એકબીજાના સંપર્કમાં હોવાની વિગતો એટીએસને મળી છે. દીપ શાહની મુંબઈથી એટીએસ દ્વારા અટકાયત કરાઈ હતી અને કોર્ટમાં રજૂ કરાયો હતો. સમગ્ર તોડકાંડ મામલામાં હવાલા મારફતે રૂપિયાની લેતી દેતી થતી હતી. જેમાં દીપ શાહ તરલ ભટ્ટ માટે કામ કરતો હોવાનું સામે આવ્યું છે.

તરલ ભટ્ટ દ્વારા જે બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. આવા તમામ ખાતેદારોનો સંપર્ક તરલ ભટ્ટના કહેવાથી દીપ શાહ દ્વારા કરવામાં આવતો હતો. ફ્રીજ થયેલું બેન્ક એકાઉન્ટ ફરીથી કાર્યરત કરવા માટે ખાતાધારકો પાસેથી દીપ શાહ મોટો તોડ કરતો હતો. દીપ શાહ કેટલીક રકમ આંગડિયા મારફતે તરલ ભટ્ટને મોકલતો હતો. આ માહિતીના આધારે દીપ શાહની એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ગઈકાલે જૂનાગઢ કોર્ટે તેના રીમાન્ડ નામંજૂર કરીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
આંગડિયા પેઢી સાથે થતી લેવડદેવડ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કોર્ટ દ્વારા જુનાગઢ એટીએસના ડીવાયએસપીને પણ એસ ઓ જી પીઆઈ ગોહિલ અને એએસઆઈ જાનીની  ધરપકડ હજુ સુધી કરવામાં ન આવતા ફટકાર લગાવવામાં આવી હતી. જોકે પોલીસ તોડકાંડ મામલે હાલ જેલ હવાલે થયેલા સસ્પેન્ડેડ તરલ ભટ્ટની જામીન મુક્ત થવા અરજી કરવામાં આવી છે જે અંગે  આવતીકાલે શુક્રવારે સુનવણી હાથ ધરવામાં આવશે.


386 પૈકી 355 બેન્ક એકાઉન્ટની એટીએસને વિગતો મળી, ત્રણ પાસેથી નાણા માગ્યા

તોડકાંડ મામલે એકાઉન્ટ ફ્રીઝને અનફ્રીજ કરવા મોટી રકમની માંગ કરી હોવા મામલે તરલ ભટ્ટ દ્વારા એસ ઓ જીને 386 બેંક એકાઉન્ટની વિગતો આપી હોવાનું સામે આવ્યું હતું જે પૈકી એટીએસ ની ટીમને 386માંથી 355 બેન્ક એકાઉન્ટની વિગતો પ્રાપ્ત થઈ છે અને જેમાં મોહમ્મદ જાફર લાખા, વિનોદ વાસુદેવ દલવાણી અને હુસેન રોશન  બોહરી ત્રણ ખાતેદારો પાસેથી બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે નાણા માંગવામાં આવ્યા હોવાનું પણ વિગત ખૂલી છે.

હવાલા મારફત આંગડિયા પેઢી દ્વારા પિયા મળ્યા

દીપ શાહને મુંબઈથી એક હવાલા મારફત મોટી રકમ મળી હતી જેમાં 10 લાખનું કમિશન મળ્યું હતું દીપસાહે તેનો મોબાઇલ મુંબઈ સમુદ્રમાં નાખી દીધો છે અને પંચનામુ કરી વધુ તપાસ માટે પોલીસે રિમાન્ડની માંગ કરી હતી સમગ્ર મામલે દુબઈમાં રહી ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા માણસોના બેન્ક એકાઉન્ટ ફ્રીજ નહીં કરવા માટે હવાલા મારફતે તેણે મુંબઈથી શ્રીનાથજી આંગડિયા મારફત 27.97 લાખ અને પીએમ આંગડિયા મારફત 9.84 લાખથી વધુ ની રકમ મોકલાવેલ હતા. જે રકમ દીપ શાહે પ્રતીક શાહ  મારફત મેળવી હતી અને દસ લાખનું કમિશન મળ્યું હતું. દીપ શાહની વચેટીયા તરીકેની ભૂમિકા ભજવી હતી. સમગ્ર મામલે આંગડિયા પેઢીની પણ પૂછપરછની કાર્યવાહી હાથ ધરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application