વિધિની વક્રતા તો જુઓ...આતંકવાદી હુમલામાં સુરતના યુવકનું બર્થ-ડેના એક દિવસ પહેલા જ મોત, ઘોડા પર બેઠા હતો અને ગોળી વાગતા ઢળી પડ્યો

  • April 23, 2025 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. જેમાં સુરતના પણ એક યુવકનું મોત થયું છે. સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા હતા. શૈલેષભાઈ તેના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા અને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા છે. કરૂણતા એ છે કે, શૈલેષનો બર્થ-ડે આજે હતો અને તેના એક દિવસ પહેલા જ મોત થયું છે.


મૃતદેહને સુરત લાવવામાં આવશે 

પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌંદર્યને નિહાળતા હતા ત્યારે જ અચાનક આંતકવાદીઓએ ધડાધડ ગોળીબાર કરતા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય એવી શક્યતા છે. જ્યાં જન્મ દિવસના એક દિવસ પહેલા જ તેઓ મૃત્યુ પામ્યા. પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષભાઈનું આતંકી હુમલામાં મોત નીપજતા મૃતદેહને સુરત લાવવામાં આવશે અને અહીં જ તેની અંતિમક્રિયા કરવામાં આવશે. 


પરિવારના અન્ય સભ્યો સહી સલામત

44 વર્ષીય શૈલેશભાઈ કળથિયા તેમની પત્ની શિતલ, પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા. દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને ગતરોજ 22 એપ્રિલે તેઓ ત્યાંના મિની સ્વિત્ઝરલૅન્ડ ગણાતા સરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતના સૌંદર્યને નિહાળતા હતા. ત્યારે અચાનક આંતકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા કળથિયા પરિવારના ચાર સભ્યોમાંથી મોભી એવા શૈલેશભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પરિવારના અન્ય સભ્યો સહી સલામત છે.


સુરતમાં રહેતા પરિવાજનોમાં આભ તૂટી પડ્યું

શૈલેષભાઈના  મૃત્યુંની જાણ થતાં સુરતમાં રહેતા પરિવાજનોમાં આભ તૂટી પડ્યું છે. મોટા વરાછામાં કસ્તૂરી બંગલોમાં રહેતા હિતેશભાઈને ત્યાં સગા-સંબંધીઓ દોડી ગયા હતા. દરમિયાન શૈલેષભાઈના પિતરાઈભાઈ મયૂર તાકીદે મુંબઈ જવા રવાના થયા હતા. મુંબઈ એરપોર્ટથી તેઓ શ્રીનગર જવા રવાના થયા છે. મૃતદેહને સુરત લાવવામાં આવશે અને અંતિમસંસ્કાર કરવામાં આવશે.


માતાના અવસાન બાદ પિતા બે વર્ષથી વતનમાં રહે છે

શૈલેષભાઈ મૂળ અમરેલીના દામનગરના ધૂફણીયા ગામના વતની છે. જોકે, સુરતના નાના વરાછાના ચીકુવાડી ખાતે આવેલી હરિકુંજ વિભાગ 2માં 29 નંબરનું મકાન તેમનું છે. પિતા પણ ગામમાં રહેતા હોવાથી હાલ ઘર બંધ હાલતમાં છે. જ્યારે પહેલો માળ ભાડે આપેલો છે. શૈલેષભાઈ ચાર બહેનોમાં એકના એક ભાઈ હતા. માતાના અવસાન બાદ પિતા બે વર્ષથી વતનમાં રહે છે. શૈલેષભાઈ એસબીઆઈમાં કામ કરતા હતા. જોકે, છેલ્લા 1 વર્ષથી મુંબઇની એસબીઆઈમાં કામ કરી ત્યાં જ પરિવાર સાથે રહેતા હતા. આ અગાઉ 9 વર્ષ તેમણે વડોદરાની એસબીઆઈમાં કામ કર્યું હતું અને ત્યાં જ રહેતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application