દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનનું આજે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. સવારે અમદાવાદથી 130ની સ્પીડે આ ટ્રેન નોનસ્ટોપ મુંબઈ સુધી દોડી હતી. આ ટ્રાયલ સફળ રહેતા ટૂંક સમયમાં જ ટ્રેન દોડતી થશે. હવે અમદાવાદથી નોનસ્ટોપ પાંચ કલાકમાં પહોંચાડશે.
આ ટ્રેનમાં 16 કોચ છે, જેના રેકમાં ફેરફાર કરાયેલી બોગીઓ છે. વંદે ભારત ટ્રેનથી પણ વધુ અદ્યતન સુવિધાઓ સ્લીપર વંદે ભારે ટ્રેનમાં કરવામાં આવી છે. આ ટ્રેન શરૂ થતાં હવે માત્ર 5 કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે.
પશ્ચિમ રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગત 11 નવેમ્બરના રોજ સ્લીપર વંદે ભારત ટ્રેનના રેક અમદાવાદ આવવા માટે રવાના થયા હતા. 13 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેના સાબરમતી યાર્ડ ખાતે સ્લીપર વંદે ભારત ટ્રેનના રેક આવી ગયા હતા. ત્યાર બાદ એમાં જરૂરી ટેક્નિકલ તપાસ કરવામાં આવી હતી. આ સાથે આરડીએસઓની ટીમે ઇન્સ્ટ્રુમેન્ટ ટેન્શન અને સલામતીની તપાસ શરૂ કરી દીધી હતી.
અમદાવાદથી 130ની સ્પીડે મુંબઈ સેન્ટ્રલ સુધીની ટ્રાયલ
આજે સવારે 9:00 વાગ્યે દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદથી 130ની સ્પીડે મુંબઈ સેન્ટ્રલ સુધીની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. સ્લીપર વંદે ભારત ટ્રેન 15 નવેમ્બર અથવા 16 નવેમ્બરના રોજ મુંબઈથી પરત અમદાવાદ આવશે. અમદાવાદથી ઊપડેલી સ્લીપર વંદે ભારત ટ્રેન 130ની સ્પીડે વડોદરા, સુરત અને ત્યાર બાદ મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી.
ડેટા રેકોર્ડિંગ, સેન્સર અને સલામતીનાં ઉપકરણોનું પરીક્ષણ કરાયું
આ ટ્રાયલ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગો, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન સહિતના વિભાગો દ્વારા ટ્રાયલમાં કામગીરી કરવામાં આવી હતી. આ ટ્રાયલ દરમિયાન ડેટા રેકોર્ડિંગ, સેન્સર અને સલામતીનાં ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આર.ડી.એસ.ઓ અને આઈ. સી. એફ.ની સંયુક્ત ટીમને સમગ્ર રૂટ પર ગતિ, સ્થિરતા અને સલામતીનાં ધોરણોનું નિરીક્ષણ કર્યું છે. અમદાવાદથી મુંબઈ સુધીનું દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની બીજી ટ્રાયલ પણ સફળ રહી છે.