અટકળોનો અંત આખરે એમકેબી યુનિવર્સીટીના કુલપતિપદે ડો મહેશ છાબરીયાની નિયુક્તિ

  • March 15, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રેગ્યુલર કુલપતિની ખુરશી બે વર્ષથી વધુ સમય સુધી ખાલી રહ્યા બાદ આખરે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના વાઇસ ચાન્સલરપદે અમદાવાદની એલ.એમ.ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ,૩૧ વર્ષનો શૈક્ષણિક અને વહીવટી અનુભવ ધરાવતા તેમજ અમદાવાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શહેર અધ્યક્ષ ડો.મહેશ ટી.છાબરીયાની નિમણૂંક ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવા નિયમ મુજબ કુલપતિપદ માટે યુનિ.માં હવે વાઇચ ચાન્સલરની હોદ્દાની સમયયમર્યાદા પાંચ વર્ષની રહેશે.


   આ અંગે મળતી માહિતી મુજબ એમ.કે.બી. યુનિ.માં કાર્યકારી કુલપતિપદેથી મહેશ ત્રિવેદીએ વિદાઈ લીધી છે અને તેના સ્થાને રેગ્યુલર કુલપતિપદે પણ મહેશભાઈ જ આવ્યા છે.વર્ષ ૨૦૨૨ના માર્ચ માસથી મહારાજા કૃષ્ણકમારસિંહજી ભાવનગર યુનિ.ના કાર્યકારી કુલપતિ તરીકે ડો.મહેશ ત્રિવેદી ફરજ બજાવતા હતા અને બે વર્ષ સુધી કાર્યકારી કુલપતિપદે ફરજ બજાવ્યા બાદ આખરે કાર્યકારીના હોદ્દામાંથી તેમને મુક્તિ મળી છે. 


  ડો.મહેશ ત્રિવેદીના કાર્યકારી કુલપતિના કાર્યકાળમાં નવા કોર્સીસ, પરીક્ષા પદ્ધતિ અને નવા કલેવરને યુનિ. માં લાગુ કરવામાં આવ્યા છે.જ્યારે હવે નવા કુલપતિ હોદ્દો સંભાળે ત્યાર બાદ તેઓની સામે કાયમી કુલસચિવનો કેસ, લો કોલેજના ડીન, એમજે કોલેજનો શૈક્ષણિકનો મુદ્દો તેમજ અન્ય વહીવટી પ્રશ્નો ઉકેલવા તે મુખ્ય પડકારરૂપ બાબતો બની રહેશે.


  એમ. કે.બી.યુનિ.માં હવે સ્થાનિકને બદલે જાણે અમદાવાદથી રેગ્યુલર વાઇસ ચાન્સલર મુકવાની પરંપરા આ વખતે પણ જળવાઈ રહી છે. અમદાવાદના સતત ત્રીજા કુલપતિ ભાવનગર યુનિવર્સિટીમાં મુકાયા છે.જેમાં માર્ચ ૨૦૧૬માં ડો.શૈલેષ ઝાલા, માર્ચ ૨૦૧૯માં ડો.મહિપતસિંહ ચાવડા અને હવે માર્ચ ૨૦૨૪માં ડો.મહેશ છાબરિયાની નિમણુક કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા તેમની ૩ ના બદલે પાંચ વર્ષ માટે સીધી નિયુકિત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application