પોરબંદરના દરિયામાં જેતપુરના કેમિકલયુક્ત પાણી નાખવાનો પ્રોજેક્ટ રદ કરાવવા અંતે હાઇકોર્ટમાં થઇ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન

  • February 27, 2025 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના દરિયામાં જેતપુરના સાડીઉદ્યોગના કેમિકલયુકત પાણી વહાવવાનો પ્રોજેકટ રદ કરવા માટેની લડત સ્થાનિક કક્ષાએ પોરબંદરમાં આંદોલનાત્મક અને વિવિધ પ્રકારના જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હોવા છતાં સરકાર દાદ દેતી નહી હોવાથી અંતે ખારવા સમાજ અને માચ્છીમાર બોટ એસો.એ હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન દાખલ કરતા તાજેતરમાં જ અરજદારોને સાંભળવામાં આવ્યા હતા અને કેન્દ્ર અને રાજ્ય સત્તાવાળાઓ પાસેથી સરકારે જવાબ માંગ્યો છે. 


ગુજરાત સરકાર દ્વારા જેતપુરના સાડી ઉદ્યોગનું અત્યંત કેમિકલવાળુ પાણી સરકારના કહેવા પ્રમાણે શુધ્ધ કરીને પોરબંદર નજીકના સમુદ્રમાં વહાવવાનું છે અને તે માટે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમીટેડ દ્વારા જે.આઇ.પી.પી.એલ.ને ૬૭૫ કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો અને ૨૪ જાન્યુઆરીએ આ પ્રોજેકટને સી.આર.ઝેડની મંજૂરી પણ આપી દેવામાં આવી હતી.


આ મુદ્દે સેવ પોરબંદર સી કમીટી દ્વારા છેલ્લા પોણા ચાર વર્ષ કરતા વધુ સમયથી આંદોલનાત્મક કાર્યક્રમો અને લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તેમ છતાં સરકારને તેની કોઈ દરકાર નહીં હોય તેવું જણાતા ગુજરાત સમસ્ત ખારવા સમાજ અને પોરબંદર માચ્છીમાર બોટ એસોસિએશન દ્વારા પર્યાવરણીય મુદ્દાઓ અને માચ્છીમારોની આજીવિકાની ચિંતા સેવીને આ પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન દાખલ કરવામાં આવી છે.


એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ થયેલી અરજીમાં એવુ જણાવાયુ હતુ કેપોરબંદરના માચ્છીમાર સમુદાયોએ નવીબંદર નજીક ઉંડા સમુદ્રમાં ગંદા પાણીના નિકાલની યોજના રદ કરવી જોઇએ. કારણકે તેનાથી સમુદ્રી જીવસૃષ્ટિને મોટી હાનિ પહોંચશે. માચ્છીમારો માત્ર આ પ્રોજેકટની મંજૂરી જ રદ કરવા નથી માંગતા પરંતુ ઉદ્યોગો ઉંડા સમુદ્રમાં ગંદા પાણીનો નિકાલ કરે તેવી પ્રવૃત્તિને કાયમી ધોરણે પ્રતિબંધિત કરવી જોઇએ. પોરબંદરના દરિયામાં ટ્રીટેડ ગંદા પાણીનો નિકાલ થશે તો વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ સહિત અનેક અધિનિયમોની જોગવાઇઓનું ઉલ્લંઘન થશે.  માચ્છીમારોએ એવુ પણ જણાવ્યુ હતુ કે આ પ્રોજેકટને કારણે પર્યાવરણ અને પ્રકૃતિને ભયંકર નુકશાન પહોંચશે. અત્યારે પણ સાગરપુત્રોને ઉંડા સમુદ્રમાં માછલા પકડવા જવુ પડે છે.ત્યારે આ પ્રોજેકટને કારણે સાગરપુત્રોની હેરાનગતિ વધશે. 


હાઇકોર્ટ દ્વારા આ મુદ્દે કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે અને પ્રોજેકટ અંગે ૨૦મી માર્ચ સુધીમાં અરજીનો જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે.  
ત્યારે મહત્વની બાબત એ છે કે ગુજરાત સરકારના આ પ્રોજેકટનો લાંબા સમયથી વિરોધ થતો હોવા છતાં ભાજપના નેતાઓએ માચ્છીમારોનો વોટબેન્ક તરીકે ઉપયોગ કર્યો છે પણ તેમની સમસ્યાઓમાં વધારો કરી રહ્યા છે. તેથી ના છૂટકે હવે કોર્ટના દ્વાર ખટખટાવવાની ફરજ પડી છે. 

ન્યાયાધીશ હિરેન વૈષ્ણવ અને ન્યાયાધીશ હેમંત પ્રચ્છકની  ખંડપીઠે કેન્દ્રીય  પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોડ (જી.પી.સી.બી.), ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટી અને જેતપુરના ઔદ્યોગિક પાઇપલાઇનને નોટીસ જારી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application