સોમનાથ મંદિરના નામે ઓનલાઈન છેતરપિંડી આચરતા તત્વો સામે શ્રી સોમનાથ ટ્રસ્ટે લાલ આંખ કરી છે અને યાત્રાળુઓ માટે એક મહત્વની ચેતવણી જાહેર કરી છે. દેશભરના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ કેન્દ્ર એવું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર હવે ડિજિટલ યુગમાં ઓનલાઈન ઠગોના નિશાને આવ્યું છે. સોમનાથ દર્શન માટે આવતા ભોળા યાત્રાળુઓને વીઆઈપી (VIP) દર્શન અથવા સ્પેશિયલ એન્ટ્રી અપાવવાના બહાને સોશિયલ મીડિયા અને નકલી વેબસાઈટો મારફતે છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાના કિસ્સા સામે આવ્યા છે. જેને પગલે શ્રી સોમનાથ ટ્રસ્ટે ભક્તોને ભારે સાવચેતી રાખવા અને સતર્ક રહેવા માટે ખાસ અપીલ કરી છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ બાબતે વિગતો આપતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સોમનાથ મંદિરમાં કોઈ VIP દર્શન, સ્પેશિયલ દર્શન કે પૈસા લઈને વિશેષ પ્રવેશ આપવાની કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. સોમનાથ મંદિરમાં આવતા તમામ ભક્તો માટે દર્શનની સમાન વ્યવસ્થા છે. કોઈપણ વ્યક્તિ, એજન્ટ કે થર્ડ પાર્ટી વેબસાઈટ દ્વારા VIP પાસ અથવા ટિકિટના નામે રૂપિયા વસૂલવામાં આવતા હોય તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને નકલી છે. ભક્તોએ આવા કોઈ પણ તત્વોની જાળમાં ફસાવવું નહીં.
ટ્રસ્ટના આઈટી અને સિક્યોરિટી વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ફ્રોડ તત્વો ઓનલાઈન સર્ચ પ્લેટફોર્મ અને ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ ઓનલાઈન સર્ચ એન્જિન પર નકલી લિંક્સ અને જાહેરાતો મૂકીને VIP ટિકિટ ઉપલબ્ધ હોવાનો ભ્રામક દાવો કરી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ભ્રામક અને અસત્ય માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં તો ભક્તોને સીધા ફોન કરીને અથવા ઓનલાઈન પેમેન્ટ લિંક મોકલીને તાત્કાલિક રૂપિયા ટ્રાન્સફર કરાવવાના ગંભીર પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે ભક્તોએ કોઈ પણ પૂજા કે રહેવાની વ્યવસ્થા માટે માત્ર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટનો જ ઉપયોગ કરવો. મંદિર ટ્રસ્ટની ઓનલાઈન સેવાઓ જેવી કે પૂજા બુકિંગ, રૂમ આરક્ષણ (રૂમ બુકિંગ) અને પ્રસાદ ઓર્ડર માટે ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ https://somnath.org/ પર જ બુકિંગ કરવું. ભક્તોને ખાસ સૂચના આપવામાં આવી છે કે આ એકમાત્ર સત્તાવાર વેબસાઈટ સિવાય અન્ય કોઈ પણ અજાણી વેબસાઈટ, મોબાઈલ એપ કે એજન્ટ દ્વારા અપાતી લોભામણી ઓફરો પર જરાય વિશ્વાસ ન કરવો.
આ પ્રકારની સાયબર ક્રાઈમની પ્રવૃત્તિઓને રોકવા માટે સોમનાથ ટ્રસ્ટ હવે કડક પગલાં લઈ રહ્યું છે. ટ્રસ્ટની આઈટી ટીમ આવા ફ્રોડ પર સતત ડિજિટલ વોચ રાખી રહી છે. ગેરમાર્ગે દોરતી તમામ ઓનલાઈન માહિતી અને ભ્રામક નકલી વેબસાઈટ્સને ડિજિટલ પ્લેટફોર્મ પરથી હટાવવા માટે ગૂગલને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે. આ સાથે જ, આ સમગ્ર રેકેટ અને કથિત ઠગાઈમાં સંડોવાયેલા અજાણ્યા તત્વો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે.
અંતમાં, સોમનાથ ટ્રસ્ટ તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી કરે છે કે દર્શન કે અન્ય કોઈ પણ સેવાના બુકિંગ માટે માત્ર સત્તાવાર પ્લેટફોર્મનો જ ઉપયોગ કરો. કોઈપણ અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો. જો કોઈ વ્યક્તિ સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે રૂપિયાની માંગણી કરે, તો તુરંત જ સાવચેત થઈ સંબંધિત પોલીસ તંત્ર અથવા સોમનાથ ટ્રસ્ટના સત્તાવાર હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી જાણ કરો, જેથી ડિજિટલ યુગમાં થતી આવી આર્થિક અને માનસિક ઠગાઈથી બચી શકાય અને તમારી યાત્રા સુખદ બને.