સ્માર્ટ સિટી રાજકોટ ભરચોમાસે નર્મદા ભરોસે

  • July 08, 2024 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાણી પ્રશ્ને રાજકોટ પરાવલંબી જ રહ્યું છે, હાલ ભરચોમાસે અષાઢ મહિનામાં પણ રાજકોટ નર્મદાનીર આધારિત છે. જો એક પણ દિવસ નર્મદાનીર ન મળે તો રાજકોટ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જ જાય છે. શહેરમાં સામાન્ય વરસાદથી બોર જીવંત થયા છે તેમ છતાં અનેક વિસ્તારોમાં ટેન્કરની હડિયાપટ્ટી યથાવત રહી છે. આજી, ન્યારી અને ભાદર ભરેલા છે પણ તેમાં પાણી તો નર્મદાનું જ છે ! તા.15 જુનથી વિધિવત નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થયાને આજે તા.8 જુલાઇએ 23 દિવસ વિતી ગયા તેમ છતાં રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં વરસાદી પાણીની આવક નહિવત છે.
રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા કુલ 34 ફૂટની ઉંડાઇના ભાદર-1ની સપાટી આજે સવારની સ્થિતિએ 10.90 ફૂટ છે અને ઓવરફ્લો થવામાં હજુ 23.10 ફૂટનું છેટું છે. 521 એમસીએફટી પાણી સંગ્રહિત છે અને ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 7.97 ટકા સુધી ભરેલો છે. મતલબ કે હજુ ભાદર ડેમનું તળિયું પણ ઢંકાયું નથી અને હાલ જે પાણી છે તેમાં ફક્ત દોઢ ફૂટ નવા વરસાદી પાણીની આવક છે અન્ય નવ ફૂટ નર્મદાનીર છે.
જ્યારે રાજકોટના મુખ્ય જળસ્ત્રોત અને કુલ 29 ફૂટની ઉંડાઇના આજી-1 ડેમની સપાટી હાલ 20.50 ફૂટ છે, ડેમમાં 431 એમસીએફટી પાણી સંગ્રહિત છે અને કુલ સંગ્રહ ક્ષમતાની તુલનાએ ડેમ 47.77 ટકા ભરેલો છે. આજ દિવસ સુધીમાં ડેમમાં વરસાદી પાણીની નહીંવત આવક થઈ છે અને હાલ જે પાણી છે તે સૌની યોજના હેઠળ ઠાલવેલું નર્મદાનીર છે.
પશ્ચિમ રાજકોટના મુખ્ય જળસ્ત્રોત અને કુલ 25 ફૂટની ઉંડાઇના ન્યારી-1 ડેમની સપાટી હાલ 14.40 ફૂટ છે, ન્યારી-1માં પણ વરસાદી પાણીની આવક નહીંવત છે અને હાલ જે પાણી ઉપલબ્ધ છે તે પણ સૌની યોજના હેઠળ ઠાલવેલું નર્મદાનીર છે. રાજકોટ શહેર માટે સૌની યોજના હેઠળનું નર્મદાનીર સીધું જળાશયોમાં ઠાલવવામાં આવી રહ્યું છે તેમજ પાઇપ લાઇન મારફતે નર્મદાનીર આપવામાં આવી રહ્યું છે, જો તે નર્મદાનીર એક દિવસ પણ ન મળે તો રાજકોટની હાલત કફોડી થઇ જાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application