જામનગરમાં એડવોકેટ હત્યા પ્રકરણમાં છ પોલીસ ટુકડીઓ દ્વારા સધન તપાસ

  • March 15, 2024 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપરાંત અન્ય જીલ્લામાં પણ ટુકડીઓ દોડતી કરાવાઇ : સીસી ફુટેજ ચેક કરવા સહિતની જીણવટભરી કાર્યવાહી : ટુંક સમયમાં આરોપીઓ સકંજામાં આવવાની વકી

જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટ હારુન પલેજાને આંતરીને તીક્ષણ હથીયારોથી હુમલો કરી હત્યા નિપજાવવાના ચકચારી પ્રકરણમાં ૧૫ સામે ગુનો દાખલ થતા પોલીસની જુદી જુદી ટુકડીઓ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. દરમ્યાનમાં આરોપીઓ ટુંક સમયમાં પોલીસના સકંજામાં આવી જશે એવો આશાવાદ તપાસનીશ અધિકારીઓ દ્વારા વ્યકત કરવામાં આવ્યો છે.
જામનગરના બેડેશ્ર્વર વાછાણી મીલ રોડ પર સાંજના સુમારે બાઇક લઇને જઇ રહેલા એડવોકેટ હારુનભાઇ પલેજા પર હથીયારોથી હુમલો કરીને ઢીમ ઢાળી દેવામાં આવ્યુ હતું, આ બનાવ બહાર આવતા હોસ્પીટલ ખાતે મોટી સંખ્યામાં લોકો દોડી ગયા હતા એસપી સહિતનો કાફલો દોડી ગયો હતો અને તાકીદના ધોરણે જુદી જુદી ટુકડીઓ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા. અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવા નિર્દેશ એસપીએ આપ્યા હતા.
બીજી બાજુ આ બનાવ અંગે બેડી ખાતે રહેતા નગરસેવક નુરમામદ ઓસમાણભાઇ પલેજા દ્વારા સીટી-બી ડીવીઝનમાં આરોપીઓ બસીર જુસબ સાઇચા, ઇમરાન નુરમામદ સાઇચા, રમઝાન સલીમ સાઇચા, સીકંદર નુરમામદ સાઇચા, રીઝવાન ઉર્ફે ભુરો અસગર સાઇચા, જાબીર મહેબુબ સાઇચા, દીલાવર હુશેન કકકલ, સુલેમાન હુશેન કકકલ, ગુલામ જુસબ સાઇચા, એજાઝ ઉમર સાઇચા, અસગર જુસબ સાઇચા, મહેબુબ જુસબ સાઇચા, રઝાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાણ ચમડીયા અને શબીર ઓસમાણ ચમડીયાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૨, ૧૨૦-બી, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી-બી ડીવીઝનના પીઆઇ એચ.પી. ઝાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, સીટી-બી ડીવીઝન, એલસીબી, એસઓજી સહીતની જુદી જુદી ૬ ટુકડીઓ દ્વારા જામનગર અને આજુબાજુના વિસ્તારો તેમજ અન્ય જીલ્લા સુધી ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. સધન તપાસ ચાલી રહી છે પોલીસ દ્વારા નિવેદનો લેવા ઉપરાંત હુમલા બાદ આરોપીઓ કઇ દીશામાં ભાગ્યા એ સહિતના સીસી કેમેરા ચેક કરવા સહિતની તપાસ ચાલી રહી છે.
જુદી જુદી ૬ પોલીસ ટુકડીઓ દ્વારા અલગ અલગ સ્થળોએ જીણવટભરી તપાસ ચાલી રહી છે બીજી બાજુ ટુંક સમયમાં આરોપીઓ પકડાઇ જશે એવો આશાવાદ તપાસનીશ દ્વારા હાલ વ્યકત કરવામાં આવ્યો છે. એવી પણ વિગતો બહાર આવી છે કે શિક્ષિકા આપઘાત પ્રકરણમાં ફરીયાદ પક્ષે હારુનભાઇ વકીલ હોય જે બાબતના કારણે હત્યા નિપજાવવામાં આવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે, આરોપીઓએ એડવોકેટની હત્યાનો પ્લાન બનાવીને અંજામ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application