વીંછિયાના સોમલપરમાં વાલ્વમેન યુવાનની હત્યામાં છ આરોપી ઝબ્બે

  • May 16, 2024 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વીંછિયાના તાલુકાના સોમલપર નજીક ડભાળની ધારે આંબરડી ગામ પાસે પારકા ઝઘડામાં વચ્ચે પડતાં યુવાનને જીવ ગુમાવવો પડો હતો. સોમલપર ગામમાં રહેતા યુવાનને ભડલી ગામની યુવતી સાથે પ્રેમ સંબધં હોય તે મામલે બે પરિવાર વચ્ચે ધોકા–પાઇપ–છરી વડે બઘડાટી બોલી હતી. જેમાં વાલ્વમેન યુવાન અને તેનો ભાઈ ઝઘડો શાંત પાડવા વચ્ચે પડતા તેને છરીનો જીવલેણ ઘા ઝીંકી દેતા તેનું મોત થયું હતું. આ અંગે યુવાનના નાના ભાઈની ફરિયાદ પરથી ભડલી અને સોમલપરના મળી ૭ શખસો સામે ગુનો નોંધાયો હતો.જે પૈકી છ શખસોને પોલીસે ઝડપી લીધા છે. યારે સામાપક્ષે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં મારમારી યુવાનના બંને પગ ભાંગી નાખવા અંગે પાંચ શખસો સામે ગુનો નોંધાયો છે.

હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વીંછિયા તાલુકાના સોમલપર ગામે રહેતો વલ્લભભાઇ તળશીભાઇ ડાભી(ઉ.વ ૪૦) નામનો યુવાન જે સોમલપર ગામની સીમમાં ડભાળની ધારે સંપમાં પાણી છોડવાનું કામ કરે છે. ગઈકાલે બપોરે તે તથા તેનો નાનો ભાઈ રમેશ બંને અહીં પાણી છોડવા માટે ગયા હતા બાદમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે અને ડભાળની ધારે સોમલપર ગામના તથા ભડલી ગામના માણસો વચ્ચે ઝઘડો થઈ રહ્યો હોય જેથી વલ્લભભાઈ તથા તેનો નાનુભાઈ રમેશ ડાભી વચ્ચે પડા હતા. આ દરમિયાન વિપુલ શિયાળ પાસે છરી હતી તે બોલવા લાગ્યો હતો કે અમારા ગામના શું વચ્ચે આવ્યા તેમ કહી હિતેશ અરવિંદ બારૈયાને છરી આપી હતી અને હિતેશએ કહ્યું હતું કે માર એક છરી તો આઘો જાય જેથી હિતેશે વિપુલના કહેવાથી વલ્લભભાઈને પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા તેમના આંતરડા બહાર નીકળી ગયા હતા. બાદમાં તેમને સારવાર માટે જસદણની કે.ડી. પરવડીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા અહીં તેમને મૃત જાહેર કર્યા હતા. આ મારામારીમાં સોમલપરના વનરાજ ઉર્ફે હકો ઠાકરશીભાઈ ડેકાણી અને ગોપાલ રાજાભાઈ ડેકાણીને પણ ઈજા પહોંચી હતી. હત્યાના આ બનાવના પગલે જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી જાની તથા સ્ટાફ તાકીદે બનાવ સ્થળે પહોંચી ગયો હતો.

પારકા ઝઘડામાં વચ્ચે પડતા જીવ ગુમાવનાર વલ્લભ તળશીભાઈ ડાભી ત્રણ ભાઈ ચાર બહેનના પરિવારમાં વચેટ હતા તેમને સંતાનમાં બે પુત્ર છે. બનાવ અંગે મૃતકના નાના ભાઈ રમેશ તળશીભાઈ ડાભી (ઉ.વ ૨૫) ની ફરિયાદ પરથી પોલીસે ભડલીમાં રહેતા રાજુ વશરામભાઈ બારૈયા, રણજીત વલ્લભભાઈ બારૈયા, સાહિલ સવજીભાઈ બારૈયા, હિતેશ અરવિંદભાઈ બારૈયા, હાર્દિક જયંતીભાઈ બારૈયા અને સોમલપરના વિપુલ ભનાભાઈ શીયાળ, વિપુલ મનુભાઈ સોલંકી સામે હત્યા અને રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, ભડલીના હિતેશ બારૈયાની બહેન કિરણ સાથે સોમલપરના મહેશ ભનાભાઈ ભડાણીયાને પ્રેમ સંબધં હોય જે બાબતે બંને પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી અને અહીં ડભાણની ધારે બંને એકબીજા પર હથિયારો વડે તૂટી પડા હતા. દરમિયાન વલ્લભભાઈ વચ્ચે પડતા તેણે જીવ ગુમાવ્યો હતો.આ મામલે જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાનીની રાહબરીમાં સ્ટાફે તપાસ હાથ ધરી વિપુલ મનુભાઇ સોલંકી સિવાયના છ આરોપીઓને ઝડપી લીધા હતાં.
સામાપક્ષે મારમારી બંને પગ ભાંગી નાંખ્યાનો પાંચ સામે ગુનો નોંધાયો
સામાપક્ષે ભડલીના રાજુ વશરામભાઈ બારૈયા (ઉ.વ ૨૯) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સોમલપરના વનરાજ ઉર્ફે હરો ઠાકરશીભાઈ ડેકાણી, ગોપાલ ડેકાણી, કાંતિ વાઘાભાઈ ડાભી, જેન્તી વાઘાભાઈ ડાભી અને કાબા કુબાભાઈ ડેકાણીના નામ આપ્યા છે. જેમાં તેણે જણાવ્યું હતું કે આરોપી વનરાજના મિત્ર મહેશ ભડાણીયાને તેના મોટા બાપુની દીકરી સાથે પ્રેમ સંબધં હોય જે બાબતે બંને પરિવાર વચ્ચે મન દુ:ખ થયું હતું અને તેના લીધે આજરોજ અહીં ફોન કરી બોલાવતા ઝઘડો થયો હતો. જેમાં આરોપીઓએ પાઇપના આડેધડ ઘા મારતા યુવાનના બંને પગે ફેકચર થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application